
બિહાર વિધાનસભાની ચૂંટણીઓ જોરશોરથી ચાલી રહી છે. બધા પક્ષો ચૂંટણી રેલીઓ કરી રહ્યા છે. આ દરમિયાન જાપાન, ઇન્ડોનેશિયા, ડેનમાર્ક, ઓસ્ટ્રેલિયા, બ્રિટન, ભૂતાન અને દક્ષિણ આફ્રિકાના રાજદ્વારી પ્રતિનિધિઓનું એક પ્રતિનિધિમંડળ ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી પ્રચારની પ્રત્યક્ષ સમજ મેળવવા માટે બિહારની 2 દિવસની મુલાકાતે છે. ભારતમાં આ પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી આપી હતી અને પક્ષના નેતાઓ સાથે મુલાકાત કરી હતી.

ભાજપના વિદેશ વિભાગના પ્રભારી વિજય ચૌથાઈવાલેએ જણાવ્યું હતું કે, ‘પ્રતિનિધિમંડળે આરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર રેલીમાં હાજરી આપી હતી, જ્યાં તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકોની વ્યાપક ભાગીદારી અને ઉર્જા જોઈ. રવિવારથી શરૂ થયેલી તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન, રાજદ્વારીઓએ ભાજપના વરિષ્ઠ નેતાઓ રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન અને વિનોદ તાવડે સાથે મુલાકાત કરી અને વાતચીત કરી હતી.
જમીની સ્તર પર ડોર-ટુ-ડોર પ્રચાર ગતિવિધિઓનું નિરીક્ષણ કર્યું. તેમણે કહ્યું કે, ‘બાદમાં, તેમણે પટનામાં ભાજપ રાજ્ય મુખ્યાલયની મુલાકાત લીધી અને પાર્ટીના સંગઠન, સંચાર રણનીતિ અને ચૂંટણી વ્યવસ્થાપન પ્રણાલીને સમજવા માટે વરિષ્ઠ રાજ્ય નેતાઓ સાથે વાતચીત કરી હતી.

ઉલ્લેખનીય છે કે, બિહારમાં ચૂંટણીઓ 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે, જેની મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે. પ્રથમ તબક્કામાં 121 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે, જ્યારે બીજા તબક્કામાં 122 બેઠકો પર મતદાન થશે.

