
ગુજરાત સરકારે ફાઈનલી કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે પેકેજની જાહેરાત કરી દીધી છે. આ અંગે રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી કે, ખેડૂતો માટે 10 હજાર કરોડના રાહત પેકેજનું હું જાહેરાત કરું છું. તેમણે કહ્યું કે, ગુજરાતમાં ગત બે દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થતા રાજ્યના વિવિધ જિલ્લાના ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે.
પેકેજની જાહેરાત કરતા તેમણે કહ્યું કે, આ સંદર્ભે મેં તથા મારા સાથી મંત્રીઓએ જુદા-જુદા જિલ્લાઓમાં જઈને અસરગ્રસ્ત ખેડૂતોની સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી. કુદરતી આપત્તિની આ ઘડીમાં ધરતીપુત્રોની વ્યથાને સમજીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
2.jpg?w=1110&ssl=1)
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, રાજ્યભરના ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાન સામે તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રો માટે આશરે રૂપિયા 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરું છું. આ ઉપરાંત રાજ્ય સરકાર 9 નવેમ્બરથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે રૂ. 15,000 કરોડથી વધુના મૂલ્યની મગફળી મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવા પણ જઈ રહી છે. અન્નદાતાઓની આર્થિક સુખાકારીની ચિંતા પોતાના માથે લઈને રાજ્ય સરકાર તેમની સહાયતા માટે હંમેશા પ્રતિબદ્ધ હતી, છે અને રહેશે તેવો વિશ્વાસ આપું છું.

ઉલ્લેખનીય છે કે, ભારે વરસાદ પડવાને કારણે ગુજરાતના ખેડૂતોનો આખેઆખો પાક ધોવાઈ ગયો હતો. કપાસ અને મગફળીના પાકને સૌથી વધુ નુકસાન થયું હતું. ત્યારબાદ ગુજરાત સરકારના મંત્રી અને ધારાસભ્યોએ પાક નુકસાની અંગે સરવે કર્યો હતો અને વિપક્ષના નેતાઓએ પણ સરકાર પર પ્રેશર ઉભું કર્યું હતું કે, ખેડૂતોને જેમ બને તેમ જલદી સહાય આપવામાં આવે. જો કે હેક્ટર દીઠ કેટલા રૂપિયા કોને કોને સહાય આપવામાં આવશે, તે અંગે હજુ માહિતી સામે આવી નથી.

