
ગુજરાત સહિત 12 રાજ્યોમાં SIRની પ્રક્રિયા ચાલી રહી છે. એવામાં કામમાં દબાણ વધતા BLO પોતાનું જીવન ટૂંકાવી લેવાની ઘટના પણ સામે આવી રહી છે. તેમણે પોતાનું જીવન ટૂંકાવવા દરમિયાન નોટ પણ લખી છે, જેમાં જણાવ્યું છે કે, તેઓ SIRની કામગીરીથી કંટાળી ગયા હતા અને તેના કારણે ઉદ્ભવેલા માનસિક તણાવને લીધે તેમણે આ પગલું ભર્યું છે. આ દરમિયાન જૂનાગઢમાં એક વિવાદ સામે આવ્યો છે.
જૂનાગઢમાં BLO તરીકે ફરજ બજાવતા 200થી વધુ સુપરવાઇઝર અને શિક્ષકોને જિલ્લા પ્રાંત કચેરી ખાતે મોડી રાત સુધી કામગીરી માટે બોલાવવામાં આવતા શિક્ષક સંઘમાં ભારે રોષ ફેલાયો છે. એક તરફ તંત્ર ચોકસાઈ અને ઝડપનો દાવો કરે છે, તો બીજી તરફ શિક્ષક સંગઠનો આ રીતને કારણે રાજ્યના શિક્ષણકાર્ય પર ગંભીર અસર પડતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આ અયોગ્ય કાર્યપદ્ધતિ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. મહાસંઘના પ્રાંત સંગઠન મંત્રી જયદેવ શિશાંગીયાએ મીડિયા સમક્ષ શિક્ષકોની વ્યથા રજૂ કરી હતી. તેમણે જણાવ્યું કે, BLOની કામગીરીમાં 90% જેટલા શિક્ષકો જોડાયેલા છે. આ શિક્ષકો સવારના 8:00 વાગ્યાથી લઈને સતત ફિલ્ડમાં SIR ફોર્મનું વિતરણ કરીને તેને ભેગા કરે છે. આખો દિવસ થાકવી નાખનાર ફિલ્ડ વર્ક છતા તેમને મોડી રાત્રે પ્રાંત કચેરી ખાતે ડેટા એન્ટ્રી માટે બોલાવવામાં આવે છે.
શિક્ષકો આ ફરજને કારણે નિયમિત શાળામાં જઈ શકતા નથી. જેના કારણે શાળામાં અભ્યાસ કરતા બાળકોનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે. તેમણે ચિંતા વ્યક્ત કરી કે, ‘આગામી બોર્ડની પરીક્ષાઓ નજીક છે, ત્યારે શિક્ષકો શાળાએ જઈ શકતા ન હોવાથી બાળકો કેવી રીતે સારી રીતે પરીક્ષા આપી શકશે? લગભગ તમામ શિક્ષક હાલ BLOની કામગીરી કરી રહ્યા છે, જેના કારણે બાળકો શિક્ષણ વગરના રખડી પડ્યા છે. ગુજરાત સરકારે તાત્કાલિક શિક્ષણની ચિંતા કરીને શિક્ષકોને વહેલામાં વહેલી તકે આ SIRની કામગીરીમાંથી મુક્ત કરવા જોઈએ.
હાલ જે BLOની કામગીરી કરતા શિક્ષકો છે, તેમને હેરાનગતિ ન થાય અને તેઓ સરળતાથી કામગીરી પૂર્ણ કરી શકે તેવી વ્યવહારિક પદ્ધતિ અપનાવવામાં આવે. શિક્ષકોને કોઈપણ પ્રકારની ધાક-ધમકી આપવામાં ન આવે અને ધરપકડના વોરંટ કે નોટિસ આપીને દબાણ ઊભું ન કરવામાં આવે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ વતી તેમણે ગુજરાત સરકારને વિનંતી કરી છે કે જલ્દીમાં જલ્દી આ કામગીરી પૂરી કરવામાં આવે અને શિક્ષકો તથા સુપરવાઇઝરની કામગીરીમાં સરળતા લાવવામાં આવે.

શિક્ષક સંગઠનના આક્રોશ અને વિરોધ બાદ જુનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આ રાત્રિ કામગીરી પાછળનું તર્ક અને તંત્રનો પક્ષ રજૂ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં હાલ 86 વિધાનસભામાં SIRની કામગીરી ચાલી રહી છે. ફિલ્ડમાંથી ફોર્મ કલેક્શન કર્યા બાદ ઓનલાઈન પ્રક્રિયામાં ઘણી વખત ટેક્નિકલ સમસ્યાઓ આવતી હોય છે, જેને કારણે BLO મૂંઝવણ અનુભવતા હોય છે. સરળતાથી કામ થાય અને ઝડપી સમય મર્યાદામાં ચોકસાઈપૂર્વક કામગીરી કરવામાં આવે તેવા હેતુથી BLOને પ્રાંત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા. અહીં તેમને હાઇસ્પીડ ઇન્ટરનેટ કનેક્શન પણ આપવામાં આવ્યું છે. જેથી ડિજિટાઇઝેશનમાં વિલંબ ન થાય. અહીં BLOને મૂંઝવતા પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ લાવી શકાય છે, જેથી આખા દિવસ દરમિયાન કલેક્ટ થયેલા ફોર્મ્સને સાંજે ડિજિટલાઇઝ કરવામાં આવે છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આજે પ્રથમ દિવસે રાત્રે આ કામગીરી માટે BLOને બોલાવવામાં આવ્યા છે. તેમણે કર્મચારીઓને યાદ કરાવ્યું કે, ચૂંટણી અને મતદાર યાદી જેવી મહત્ત્વની સરકારી કામગીરીમાં ઘણી વખત મોડી રાત સુધી પણ કામગીરી કરવી પડતી હોય છે, જેને લઇ દરેક સરકારી કર્મચારીની ફરજ છે કે જે સોંપવામાં આવેલી કામગીરી હોય, તે કરવા માટે તેઓ તત્પર રહેવું જોઈએ.

