fbpx

ગુજરાતમાં અધિકારીઓ ધારાસભ્યો-મંત્રીઓનું સાંભળતા નથી, મહારાષ્ટ્ર જેવું થવું જોઇએ?

Spread the love

ગુજરાતમાં અધિકારીઓ ધારાસભ્યો-મંત્રીઓનું સાંભળતા નથી, મહારાષ્ટ્ર જેવું થવું જોઇએ?

ગુજરાત, જેને લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટીનો અજેય ગઢ માનવામાં આવે છે, ત્યાં હાલ આંતરિક અસંતોષનો અસાધારણ માહોલ જોવા મળી રહ્યો છે. આ મોસમમાં વિરોધ પક્ષ નહીં, પરંતુ જાતે જ BJPના લોકોમાં નારાજગી દેખાઇ રહી છે. જન પ્રતિનિધિઓ અને પ્રશાસનિક તંત્ર વચ્ચેના તણાવ કારણે આ પરિસ્થિતિ ઉદ્ભવી છે.

છેલ્લા સમયમાં અનેક BJP ધારાસભ્યો અને મંત્રીઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે અધિકારીઓ તેમની વાત નથી સાંભળતા, ફોન સ્વીકારતા નથી, અને વિકાસ કાર્યોની ફાઈલોમાં મહિનાઓ સુધી વિલંબ કરતા રહે છે. તેઓ કહે છે કે લોકો વચ્ચે કરેલા વચનો પૂરાં ન કરી શકવાના કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થાય છે.

ધારાસભ્યો કહે છે– અધિકારીઓ સાંભળતા નથી

દિવ્યભાસ્કર અખબાર દ્વારા તાજેતરમાં યોજાયેલા ટેલિફોનિક સર્વેમાં 101 BJP ધારાસભ્યોમાંથી દર પાંચમા ધારાસભ્યએ સ્વીકાર્યું કે અધિકારીઓના અતિ-અહંકાર અને ન સાંભળવાની વૃત્તિને કારણે કામો અટકી રહ્યા છે. ઘણા ધારાસભ્યોનું કહેવું છે કે ગાંધીનગર સુધી મુદ્દો પહોંચાડ્યા સિવાય ફાઈલોમાં કોઈ હલચલ થતી નથી.

મધ્ય ગુજરાતના એક વરિષ્ઠ ધારાસભ્યએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું:

“અમે નાના-નાના કામ માટે હંમેશાં વિનંતિ કરવી પડે છે. ગાંધીનગર દબાણ વગર ફાઈલો હલતી જ નથી.”

આવી જ ફરિયાદો આખા ગુજરાતમાંથી બીજા નેતાઓએ પણ કરી:

હાર્દિક પટેલ (વીરમગામ)એ ચેતવણી આપી કે લટકેલા વિકાસ કાર્યો તાત્કાલિક શરૂ ન થાય તો તેઓ ઉપવાસ-પ્રદર્શન કરશે.

પ્રકાશ વરમોરા (હલવદ-ધ્રાંગધ્રા)ને લોકો દ્વારા જાહેરમાં ST બસ સેવા બંધ થવા મુદ્દે પ્રશ્નો પૂછાયા.

અરવિંદ લાડાણી (માણાવદર) પોલીસ સ્ટેશન ખાતે ધરણા પર બેઠા અને આરોપ મૂક્યો કે પોલીસ જુગારખાનાઓને રક્ષણ આપે છે.

કુમાર કાનાણી (વરાછા)એ વારંવાર અધિકારીઓ પર ખરાબ રસ્તા અને ટ્રાફિક અવ્યવસ્થાને લઈને પસ્તાળ પાડી

સોશિયલ મીડિયા પર એવા વિડિઓઝ વાયરલ થયા છે જેમાં નાગરિકો ધારાસભ્યોને કહે છે:

“ચૂંટણી વખતે જ આવો છો. કામ કઈ નથી થતું. હવે ચૂંટણીમાં જવાબ મળશે.”

અગાઉ પણ આવી જ પરિસ્થિત હતી. તેને ધ્યાને લઇને ઓગસ્ટ 2023માં રાજ્ય સરકારે GAD દ્વારા એક મહત્ત્વપૂર્ણ પરિપત્ર જારી કર્યો હતો જેમાં સૂચના આપવામાં આવી હતી કે:

– અધિકારીઓએ ચૂંટાયેલા પ્રતિનિધિઓના ફોન નંબર સેવ કરવાના.

– ઓફિસ લેન્ડલાઇન પર ફોન આવે અને અધિકારી વ્યસ્ત હોય તો પછી તરત જ કોલ રિટર્ન કરવો.

-પીએ/સચિવોએ આવા કોલની નોંધ રાખવી અને અધિકારીને જણાવવું.

– તમામ વિભાગો, બોર્ડ, કોર્પોરેશન્સ અને મહાનગર પાલિકાઓને કડક પાલન કરવાનું કહેવામાં આવ્યું.

પરંતુ ધારાસભ્યો કહે છે કે વાસ્તવમાં કંઈ બદલાયું જ નથી.

શું મહારાષ્ટ્ર જેવી પ્રોટોકોલ નીતિ જરૂરી?

મહારાષ્ટ્ર સરકારે GR દ્વારા અધિકારીઓને સૂચના આપી છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓને ઉભા થઇને આવકારવા, સન્માનપૂર્ણ ભાષા વાપરવી અને ઝડપથી જવાબ આપવા. આ તમામ બાબતો ફરજિયાત બનાવાઇ છે.

તો શું ગુજરાતમાં આવી જ વ્યવસ્થા લાગુ કરવા સમય આવી ગયો છે?

“જો પ્રશાસન જન પ્રતિનિધિઓનો જવાબદાર નથી, તો કોને છે?” — એક BJP ધારાસભ્યનો પ્રશ્ન.

ગુડ ગવર્નન્સનો ગર્વ ધરાવતા ગુજરાત માટે આનો જવાબ મહત્વપૂર્ણ છે.

error: Content is protected !!