
જન સૂરાજના સ્થાપક અને પૂર્વ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (PK)એ બિહાર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટીની કારમી હાર બાદ પહેલી વાર ખૂલીને નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી ‘રિગ્ડ’ એટલે કે પ્રભાવિત કે ગરબડી લાગે લાગે છે, જોકે તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે હાલમાં તેમની પાસે કોઈ નક્કર પુરાવા નથી. ઇન્ડિયા ટૂડે ટીવીના અહેવાલ મુજબ કિશોરે કહ્યું કે, તેમની પાર્ટીની હાર જેટલી મોટી દેખાઈ રહી છે, જમીની વાસ્તવિકતા સાથે બિલકુલ મેળ ખાતી નથી. તેમના મતે જન સૂરાજની મહિનાઓની સફર દરમિયાન મળેલો જનતાનો ઉત્સાહ, સમર્થન અને ફિડબેક ખૂબ જ સકારાત્મક હતો, પરંતુ મતદાન પરિણામોમાં એ ન દેખાયા.
PKએ કહ્યું કે ચૂંટણીમાં એવા પરિણામો જોવા મળ્યા જેનો કોઈ તાર્કિક આધાર ન દેખાયો. કેટલીક અદૃશ્ય તાકતો હતી. એવી પાર્ટીઓને લાખો મત મળ્યા, જેમને લોકો જાણતા પણ નહોતા. કેટલાક લોકો મને કહી રહ્યા છે કે EVM સાથે છેડછાડ કરવામાં આવી હતી, પરંતુ મારી પાસે આનો કોઈ પુરાવો નથી. છતા ઘણી બધી બાબતો મેળ ખાતી નથી. પહેલી નજરે એવું લાગે છે કે કંઈક ખોટું થયું છે, પરંતુ શું તે ખબર નથી.’ મતદાન પેટર્ન અને ગ્રાઉન્ડ રિપોર્ટ બિલકુલ મેળ ખાતા નથી, જે આ શંકાને વધુ ઘેરી બનાવે છે.

પ્રશાંત કિશોરે બીજો ગંભીર આરોપ લગાવતા કહ્યું કે NDAએ હજારો મહિલાઓને 10,000 રૂપિયા રોકડામાં વહેંચ્યા, અને આ સિલસિલો ચૂંટણીની જાહેરાતથી લઈને મતદાનના દિવસ સુધી ચાલુ રહ્યું. તેમના મતે આ રકમ ફક્ત પહેલો હપ્તો હતો.
તેમણે આરોપ લગાવ્યો કે, ‘મહિલાઓને કહેવામાં આવ્યું હતું કે તેમને કુલ 2 લાખ રૂપિયા મળશે. 10,000 રૂપિયા અગાઉથી આપવામાં આવ્યા હતા અને તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ NDAને, નીતિશ કુમારને મત આપશે, તો તેમને બાકીની રકમ પછીથી મળશે. મેં ક્યારેય કોઈ સરકાર, ફક્ત બિહારમાં જ નહીં, પરંતુ દેશમાં, મહિલાઓને આવા પૈસા વહેંચતી જોઈ નથી. PKના મતે, આ એક મહત્ત્વપૂર્ણ પરિબળ હતું જેણે ચૂંટણી પરિણામને પ્રભાવિત કર્યું.

PKએ સ્વીકાર્યું કે ચૂંટણીના અંતિમ તબક્કા સુધીમાં મતદારોમાં એવી ધારણા બનવા લાગી જન સૂરાજ જીતવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું, લોકોને ડર હતો કે જો તેમણે અમને મત આપ્યા અને અમે નહીં જીતીએ, તો લાલુ પ્રસાદ યાદવનું જંગલ રાજ પાછું આવી શકે છે. આ ડરથી પણ મત સરકી ગયા. તેમનું માનવું છે કે આ ભાવના ઘણા ક્ષેત્રોમાં નિર્ણાયક સાબિત થઈ.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ઘણા રાજકીય વિશ્લેષકોએ તેમની રાજકીય સફરનો ઓબિચ્યુરી લખવાનું શરૂ કરી દીધું છે, તો PKએ કહ્યું, ‘જે લોકો આજે મારી ટીકા કરી રહ્યા છે, તેઓ જ મારી જીત પર તાળી વગાડતા હતા. ટીકા તેમનું કામ છે અને હું મારું કામ કરી રહ્યો છું. જો હું સફળ થઈશ, તો તે જ લોકો ફરીથી પ્રશંસા કરશે. આ બધું દર્શાવે છે કે કહાની પૂરી થઈ નથી; હજુ કહાની બાકી છે.’
બિહારની 243 બેઠકોમાંથી 238 બેઠકો પર જન સૂરાજના ઉમેદવારો ઉતારવામાં આવ્યા હતા. પાર્ટી એક પણ બેઠક જીતી શકી નહીં. વોટ શેર માત્ર 2-3 ટકા હતો. મોટાભાગના ઉમેદવારોએ તેમની ડિપોઝીટ ગુમાવી દીધી. પ્રશાંત કિશોરે તેને કારમી હાર ગણાવી, પરંતુ ભારપૂર્વક કહ્યું કે આ અંત નથી.

