fbpx

શું ભાજપનું ‘મિશન બંગાળ’ શરૂ થઈ ગયું છે?

Spread the love

શું ભાજપનું 'મિશન બંગાળ' શરૂ થઈ ગયું છે?

લોકસભામાં PM નરેન્દ્ર મોદી બોલે તે પહેલાં જ બિહારના શક્તિશાળી નેતા ગિરિરાજ સિંહે બંગાળ વિધાનસભાની ચૂંટણીઓનો સૂર ગોઠવી દીધો. જી હા, તેમણે કહ્યું, ‘જો ભારતના સૌથી મોટા લોકશાહીના મંદિરમાં વંદે માતરમની ચર્ચા નહીં થાય, તો તેની ચર્ચા ક્યાં થશે? કેટલાક લોકો વંદે માતરમમાં માનતા નથી. તેઓ બાબરી મસ્જિદમાં માને છે. વંદે માતરમનો જન્મ થયાને 150 વર્ષ થઈ ગયા છે. આઝાદીનું આ ગીત બંગાળમાં ઉદ્ભવ્યું હતું. તેના પર ચર્ચા થવી જોઈએ. આ તો ભારતનો વારસો છે. જ્યારે બાબરી વિશે આગળનો પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે ગિરિરાજે ગર્જના કરતા કહ્યું, ‘હુમાયુ કબીરે બાબરી મસ્જિદનો પાયો નાખ્યો નથી; CM મમતા બેનર્જીએ નંખાવ્યો છે, અને હવે તેઓ હવે નાટક કરી રહ્યા છે અને તેમના સાંસદોને તેમની વિરુદ્ધ નિવેદનો કરાવવા માટે મજબૂર કરી રહી છે. CM મમતા બેનર્જી બંગાળની ભૂમિને હિન્દુઓ અને મુસ્લિમો વચ્ચે વિભાજીત કરવાનો છુપાયેલો એજન્ડા ચલાવી રહ્યા છે.’

આ પછી, PM નરેન્દ્ર મોદીએ ગૃહમાં કોંગ્રેસની આકરી ટીકા કરી, પરંતુ બંગાળી ઓળખ અને રાષ્ટ્રીય ગૌરવની વાત કરીને BJPના મિશન 2026 અભિયાન માટે જમીન પણ તૈયાર કરી.

BJP Mission Bengal

હા, જેમ જેમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેમ તેમ ધ્રુવીકરણ વધુ તીવ્ર બનતું જાય છે. એક તરફ, બાબરી મસ્જિદનો હોબાળો છે, કોલકાતામાં સામૂહિક ગીતા પાઠ શરુ થઇ ગયો છે, અને હવે સંસદમાં વંદે માતરમની ચર્ચા થઈ રહી છે. આવામાં સવાલ એ ઉભો થાય છે કે, શું BJPએ બંગાળની ચૂંટણીઓ પર કામ શરૂ કરી દીધું છે. તો ચાલો આપણે તબક્કાવાર સમજીએ કે, BJPએ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ માટે કેવી રણનીતિ બનાવવાનું શરૂ કર્યું છે.

વંદે માતરમ પર ચર્ચા શરૂ કરતા, PM નરેન્દ્ર મોદીએ ભગવાન રામની પંક્તિ ‘જનની જન્મભૂમિશ્ચ સ્વર્ગાદપી ગરીયસી…’નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ જ વંદે માતરમ હતું જેણે 1947માં દેશને આઝાદી અપાવી હતી. સ્વતંત્રતા સંગ્રામનું ભાવનાત્મક નેતૃત્વ વંદે માતરમના નારામાં હતું… અહીં કોઈ પક્ષ-પ્રતિપક્ષ નથી, આ આપણા બધા માટે એ સ્વીકારવાનો અવસર છે કે વંદે માતરમ, જેના કારણે આપણા લોકો સ્વતંત્રતા ચળવળનું નેતૃત્વ કરી રહ્યા હતા, તે જ કારણ છે કે આપણે આજે અહીં છીએ. PM નરેન્દ્ર મોદીએ વારંવાર બંકિમ દાને યાદ કર્યા હતા.

બંગાળના વતની બંકિમ ચંદ્ર ચેટર્જી માટે PM નરેન્દ્ર મોદીના આદર અને ગર્વના શબ્દો ખાસ કરીને બંગાળીઓના હૃદયને સ્પર્શી ગયા હશે. તેમણે કહ્યું કે, બંકિમ દાએ ભારતમાં પ્રવર્તતી હીન ભાવનાને હચમચાવી દીધી. વંદે માતરમે ભારતની શક્તિ પ્રગટ કરી. પોતાના સંબોધનમાં, PM નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા ચળવળમાં બંગાળ અને બંગાળીઓના યોગદાનનો સ્વીકાર કરતા કહ્યું કે, એક સમય હતો જ્યારે બંગાળની બૌદ્ધિક શક્તિ દેશને શક્તિ, પ્રેરણા અને દિશા પૂરી પાડતી હતી. અંગ્રેજો જાણતા હતા કે બંગાળની શક્તિ દેશનો મુખ્ય ભાગ છે, તેથી જ તેઓ બંગાળને વિભાજીત કરવાનું વિચારતા હતા. 1905માં જ્યારે અંગ્રેજોએ બંગાળનું વિભાજન કર્યું, ત્યારે વંદે માતરમ બંગાળની એકતા માટે એક નારો બની ગયો. PM નરેન્દ્ર મોદીએ તેમનું આખું ભાષણ બંગાળ પર કેન્દ્રિત રાખ્યું હતું.

BJP Mission Bengal

આજે સંસદમાં જ્યારે PM નરેન્દ્ર મોદી બોલ્યા, ત્યારે TMCના સાંસદોએ તેને એકધ્યાનથી સાંભળ્યું, તેઓ કઈ બોલી શક્યા નહીં. PM નરેન્દ્ર મોદી બંગાળ વિશે ખુબ વખાણ કર્યા. તેમણે અનેક બંગાળી દિગ્ગજોના નામ લીધા અને તેમના યોગદાનનો ઉલ્લેખ કર્યો. કોઈ પણ પ્રશ્ન ઉઠાવવાનો ન રહેતા, TMC સાંસદ સૌગત રોયે PM નરેન્દ્ર મોદીને અટકાવીને કહ્યું, ‘તમારે બંકિમ દા નહીં, બંકિમ બાબુ કહેવું જોઈએ.’ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, ‘ઠીક છે, ઠીક છે.’ અને પછી ‘બંકિમ બાબુ’ કહેવાનું ચાલુ રાખ્યું.

સંસદમાં વંદે માતરમ પર ચર્ચા અંગે, પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જીએ કહ્યું, ‘…મેં BJPના કેટલાક લોકોને કહેતા સાંભળ્યા કે, તેઓ નેતાજીને પસંદ નથી કરતા. જો તમને નેતાજી, મહાત્મા ગાંધી કે રાજા રામમોહન રોય પસંદ નથી, તો તમને કોણ ગમે છે?’

મજાની વાતતો એ છે કે, બંગાળી માટી અને લોકોની વાત કરનારા CM મમતા બેનર્જી પર BJP દ્વારા વંદે માતરમના 150 વર્ષ પુરા થવા આવ્યા પરંતુ તે નિમિત્તે તૃણમૂલ કોંગ્રેસ તેના પૂરતું માન નથી આપી રહ્યું. સુવેન્દુ અધિકારીએ બંકિમચંદ્ર ચેટરજીના માનમાં ઉત્તર કોલકાતામાં એક રેલીનું આયોજન કર્યું હતું. નિષ્ણાતો માને છે કે, BJPએ બંગાળમાં ઉદ્ભવેલા આ રાષ્ટ્રીય સૂત્રનો સંપૂર્ણ લાભ ઉઠાવ્યો છે.

BJP Mission Bengal

હા, પહેલી નજરે, આ આશ્ચર્યજનક લાગે છે. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પછી પ્રસ્તાવિત મસ્જિદનું કામ હજુ શરૂ થઈ શક્યું નથી, છતાં સેંકડો કિલોમીટર દૂર રહેલા પશ્ચિમ બંગાળમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં એક નહીં, પરંતુ ત્રણ બાબરી મસ્જિદ બનાવવાની યોજના રજૂ કરવામાં આવી છે. શિલાન્યાસ પણ થઈ ગયો છે. સસ્પેન્ડ કરાયેલા TMC ધારાસભ્ય હુમાયુ કબીર મુસ્લિમોના મસીહા બનવા માંગે છે. તેઓ તણાવ વધારી રહ્યા છે. BJPના નેતાઓ આરોપ લગાવી રહ્યા છે કે, આ પાછળ CM મમતા બેનર્જીનો હાથ છે. બાબરી મસ્જિદ બનાવવાનો પ્રયાસ ભલે સાંપ્રદાયિક કહેવાતો હોય, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. CM મમતા બેનર્જીએ ભલે તેમને સસ્પેન્ડ કરીને આ મામલાથી હાથ ધોઈ લીધા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 200,000થી વધુ લોકો મસ્જિદ માટે ઈંટો લઈને આવ્યા હતા. બાબરીનો પાયો નાખવામાં આવ્યો છે. સાઉદી અરેબિયાના ધાર્મિક નેતાઓએ મુલાકાત લીધી છે. દાન પણ એકત્રિત કરવામાં આવી રહ્યું છે. હાલ માટે, પક્ષો આ મુદ્દાને વધુ ગરમ થવા દે છે. હુમાયુએ ઓવૈસી સાથે જોડાણની વાત જે રીતે કરી છે, તે સ્પષ્ટ કરે છે કે બાબરી મુદ્દો વધતાં વધુ ધ્રુવીકરણ તીવ્ર બનશે. અને આનાથી, કેટલીક રીતે, BJPને ફાયદો થશે. આ જ કારણ છે કે, દિલ્હીથી કોલકાતા સુધીના BJPના નેતાઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

BJP Mission Bengal

જ્યારે એક તરફ બાબરી મસ્જિદનો મુદ્દો ગરમાઈ રહ્યો છે, ત્યારે કોલકાતામાં ભગવદ ગીતાના સામૂહિક પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. પાંચ લાખ શ્રદ્ધાળુઓએ ભાગ લીધો હોવાનો દાવો કરવામાં આવે છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ CV આનંદ બોઝ, બાબા રામદેવ અને ધાર્મિક નેતા ધીરેન્દ્ર શાસ્ત્રી જેવા સંતો અને ઋષિઓએ ગીતાના પાઠમાં ભાગ લીધો હતો. ખુબ વધારે પ્રમાણમાં ભીડ જોવા મળી હતી. જ્યારે તેના એક દિવસ પહેલા જ, મુર્શિદાબાદના બેલડાંગામાં અયોધ્યામાં બાબરી મસ્જિદના મોડેલ પર બનેલી મસ્જિદનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. તેની સાથે સાથે આકરા નિવેદનો પણ શરૂ થઈ ગયા હતા.

BJP Mission Bengal

પાછલી ચૂંટણીઓની જેમ, ગૃહમંત્રી અમિત શાહ બંગાળની ચૂંટણીઓ માટે વ્યક્તિગત રીતે રણનીતિ બનાવી રહ્યા છે. BJPના IT સેલના વડા અને રાજ્યમાં પાર્ટીના સહ-પ્રભારી અમિત માલવિયા દરેક ઘટના પર નજર રાખી રહ્યા છે અને સોશિયલ મીડિયા દ્વારા CM મમતા બેનર્જી સરકારને નિશાન બનાવી રહ્યા છે. માલવિયાએ આરોપ લગાવ્યો છે કે, CM મમતા બેનર્જી મુસ્લિમ લાગણીઓનું ધ્રુવીકરણ કરવા માટે હુમાયુનો ઉપયોગ કરી રહ્યા છે. બંગાળ પોલીસ હુમાયુને ટેકો આપી રહી છે અને તેમને સુરક્ષા પૂરી પાડી રહી છે. શાહે મિશન 2026 માટે સંપૂર્ણ યોજના પહેલાથી જ બનાવી દીધું છે અને આગામી થોડા દિવસોમાં તેઓ બંગાળ પ્રવાસ શરૂ કરવા માટે તૈયાર છે. તેઓ બંગાળમાં ચૂંટણીલક્ષી વાતાવરણ બનાવશે, સંગઠનને સક્રિય કરશે અને બૂથ લેવલ સુધી કાર્યકરોને તૈયાર કરશે. ગઈ વખતે, BJPએ તેની બધી તાકાત લગાવીને 77 બેઠકો જીતી હતી. આ વખતે, રણનીતિ પહેલેથી જ ઘડવામાં આવી રહી છે, જે CM મમતા બેનર્જી માટે ચેતવણીનો સંકેત છે.

BJP Mission Bengal

જી હા, ગયા વખતની બંગાળ ચૂંટણીમાં CM મમતા બેનર્જીની પાછળ PKનું દિમાગ હતું. ત્યારે પ્રશાંત કિશોરે જ તેમની ચૂંટણી રણનીતિ ઘડી હતી. CM મમતા PK પર એટલા નિર્ભર હતા કે જ્યારે ઘણા નેતાઓ એક પછી એક પાર્ટી છોડવા લાગ્યા, ત્યારે CM મમતાએ PKને એક પ્રકારનું અલ્ટીમેટમ આપ્યું હતું. આના પર પ્રશાંત કિશોરે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ લખ્યું હતું, ‘ધ્યાન રાખો કે BJP બેવડા આંકડાને પાર કરી શકશે નહીં.’ આવું કહીને તેમણે લોકોને વિનંતી કરી કે, CM મમતા માટે ઝટકો આપતા મીડિયા અહેવાલો પર વધુ ધ્યાન ન આપે. ત્યારે તો CM મમતા બેનર્જીની સત્તા બચી ગઈ હતી, પરંતુ આ વખતે શું થશે?

આ વખતે, CM મમતા બેનર્જીની સાથે PK નથી, અને આ કારણે તેમણે કાળજીપૂર્વક તેમની રણનીતિ તૈયાર કરવી પડશે. ગઈ વખતે, BJPએ CM મમતા બેનર્જીના ગઢને હચમચાવી તો દીધો હતો, પરંતુ તેમની સ્થિતિને પડકારવામાં નિષ્ફળ ગયો હતો. આ વખતે, તે વધુ તૈયારી સાથે આગળ વધી રહ્યું છે. જે મુદ્દાઓ ઉઠાવવામાં આવી રહ્યા છે અને બનાવવામાં આવી રહ્યા છે, તે સ્પષ્ટપણે દર્શાવે છે કે બંગાળમાં ધ્રુવીકરણની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ છે.

error: Content is protected !!