fbpx

ઝડપી છૂટાછેડા કેટલા વાજબી? પરસ્પર સંમતિથી છૂટાછેડામાં ‘કુલિંગ ઓફ’ સમયગાળામાં આપેલી છૂટછાટથી શું બદલાશે?

Spread the love

ઝડપી છૂટાછેડા કેટલા વાજબી? પરસ્પર સંમતિથી છૂટાછેડામાં 'કુલિંગ ઓફ' સમયગાળામાં આપેલી છૂટછાટથી શું બદલાશે?

લગ્ન… બે દિલનું પવિત્ર બંધન, આ સંબંધ જીવનને નવો અર્થ આપે છે. તેનાથી વિપરીત, છૂટાછેડા એ એટલું જ પીડાદાયક અને દિલ તોડનારો શબ્દ છે. ભારતમાં, તો ઘણીવાર કૌટુંબિક કોર્ટ ફાઇલોમાં આ જ સંબંધ એક લાંબી, થકવી નાખતી કાનૂની લડાઈ બની જતો હોય છે. હવે, જ્યારે છેલ્લા કેટલાક વર્ષોમાં, સુપ્રીમ કોર્ટે તેના વલણમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે. 17 ડિસેમ્બરે, દિલ્હી હાઈકોર્ટે છૂટાછેડાની પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરી છે. તો ચાલો આપણે જાણી લઈએ કે, આ નવું પરિવર્તન શું છે અને તે કોર્ટ, વાદી-પ્રતિવાદી અને સમાજ પર કેવી અસર કરી શકે છે.

સૌથી પહેલા તો તમને જણાવીએ કે છૂટાછેડા માટે તો ઘણા કાનૂની આધારો છે. તેમાંથી, પરસ્પર સંમતિથી છૂટાછેડા એ એક પદ્ધતિ છે, જેમાં બંને પક્ષો પરસ્પર સંમતિથી છૂટાછેડા માંગે છે. હિન્દુ લગ્ન અધિનિયમ 1955ની કલમ 13B(2) પરસ્પર સંમતિથી છૂટાછેડાની જોગવાઈ કરે છે. આ કિસ્સામાં, એક વર્ષથી અલગ રહેતા દંપતી પ્રથમ દરખાસ્તમાં છૂટાછેડાની અરજી દાખલ કરે છે. પ્રથમ દરખાસ્ત પછી, છ મહિનાનો કૂલિંગ-ઓફ પીરિયડ આપવામાં આવે છે, જેમાં એમ માની લેવામાં આવે છે કે, કંઇક એવું બને કે બંને પક્ષો આખરે સમાધાન કરી લે. બંને એ કોઈ ગુસ્સામાં આવીને નિર્ણય લીધો હોય તો, તેઓ તેના પર વિચાર કરીને આવશે.

Mutual Divorce

આ છ મહિનાનો સમયગાળો કોર્ટમાં જનારા ઘણા પક્ષો માટે બોજ તરીકે જોવામાં આવતો હતો. ત્યારપછી, 2017માં, સુપ્રીમ કોર્ટે તેને બિન-ફરજિયાત જાહેર કર્યો. અમરદીપ સિંહ વિરુદ્ધ હરવીન કૌર (2017) 8 SCC 746માં, સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે, કલમ 13B(2) હેઠળ છ મહિનાનો સમયગાળો ફરજિયાત નથી, પરંતુ ડાયરેક્ટરી છે. જો કોર્ટને લાગે કે, લગ્ન પુરી રીતે તૂટી ગયા છે, અને સમાધાન કરવાનો અથવા સાથે રહેવા માટે હવે કોઈ અવકાશ જ નથી, અને પક્ષકારો સમાધાન પર પહોંચી ગયા છે, તો આવા કિસ્સાઓમાં છ મહિનાનો સમયગાળો માફ કરી શકાય છે. આ કલમ 142 હેઠળ કોર્ટની સત્તાઓ દ્વારા શક્ય છે.

હવે 17 ડિસેમ્બરના રોજ, દિલ્હી હાઈકોર્ટે શિક્ષા કુમારી વિરુદ્ધ સંતોષ કુમાર કેસમાં સ્પષ્ટતા કરી હતી કે, પરસ્પર સંમતિથી છૂટાછેડા માંગતા પતિ-પત્ની માટે એક વર્ષ માટે અલગ રહેવાની શરત ફરજિયાત નથી. કોર્ટે જણાવ્યું હતું કે, હિન્દુ લગ્ન અધિનિયમ, 1955 હેઠળ નક્કી કરવામાં આવેલો આ સમયગાળો, જો બંને પક્ષો સંમત થાય તો માફ કરી શકાય છે.

આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, કોર્ટ પ્રક્રિયાને ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, જેમાં અગાઉ એક વર્ષ અને છ મહિનાનો કૂલિંગ-ઓફ સમયગાળો જરૂરી હતો, જે કુલ દોઢ વર્ષ હતો. ઉદાહરણ તરીકે, જો કોઈ પતિ-પત્ની પરસ્પર સંમતિથી છૂટાછેડા માટે કોર્ટનો સંપર્ક કરે છે અને જણાવે છે કે તેઓએ બાળકની કસ્ટડી અથવા ભરણપોષણ માટે વાટાઘાટો કરી છે, અને કોર્ટ આની પુષ્ટિ કરે છે, તો છૂટાછેડામાં વધુ સમય લાગશે નહીં. છૂટાછેડા ફક્ત થોડા મહિનામાં અથવા કેટલાક કિસ્સાઓમાં, એક કે બે અઠવાડિયામાં પણ થઈ શકે છે.

Mutual Divorce

આમ જોવા જઈએ તો ‘ફટાફટ છૂટાછેડા’ એવા લોકો માટે સારા સમાચાર લાગે છે, જેઓ જીવવાનું ઝેર જેવું લાગે એવા સંબંધમાં એટલા ઊંડાણપૂર્વક ફસાયેલા છે કે, તેઓ શક્ય તેટલી વહેલી તકે છૂટાછેડા લેવા માંગે છે. તેમના માટે, એક વર્ષ અલગ રહેવું અને પછી છ મહિનાનો કૂલિંગ-ઓફ પીરિયડ સમયનો બગાડ જેવું લાગે છે. રોજિંદા ઘરેલું ઝઘડાઓથી મુક્તિ મેળવવા માંગતા યુગલો અથવા બાળકો ધરાવતા યુગલો માટે જે તેમના બાળકોને કોર્ટરૂમની ઝંઝટથી પ્રભાવિત કરવા માંગતા નથી, આ પ્રક્રિયા પણ રાહત આપે છે. તેઓ છૂટાછેડા મેળવીને સરળતાથી અને ઝડપથી તેમના જીવનમાં આગળનો માર્ગ શોધી શકે છે. ઘણા ન્યાયાધીશો પોતે સ્વીકારે છે કે, આવા કિસ્સાઓમાં, કોર્ટ ફક્ત સમય પસાર કરાવવાનું કારણ બની જાય છે.

તેના ઘણા સકારાત્મક પાસાઓ હોવા છતાં, તેના બીજા પાસાઓને અવગણી શકાય નહીં. ઉદાહરણ તરીકે, જો છૂટાછેડા એટલા સરળ બને છે, તો છૂટાછેડાના કેસોની સંખ્યા વધી શકે છે. NJDG ડેટા અનુસાર, કોર્ટમાં કુલ પેન્ડિંગ કેસ 5 કરોડથી પણ વધુ છે, જેમાંથી લગ્નના કેસ (છૂટાછેડા સંબંધિત) લાખોમાં છે. આમાં વધુ વધારો થવાની ધારણા છે. કેટલાક અંદાજ મુજબ, દેશમાં દરરોજ લગભગ 100 છૂટાછેડાના કેસ (પરસ્પર સંમતિવાળા કેસ સહિત) દાખલ થાય છે. તાજેતરના વર્ષોમાં શહેરી વિસ્તારોમાં છૂટાછેડા દર અથવા કેસ ફાઇલિંગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે (કેટલાક અહેવાલોમાં 30-40 ટકા સુધી). હવે, જો કોઈ પક્ષ છૂટાછેડાની પ્રક્રિયામાં પાછળથી સંમતિ પાછી ખેંચી લે છે, તો પ્રક્રિયા વધુ મુશ્કેલ બનશે જ, સાથે કોર્ટનો ભાર પણ વધશે.

Mutual Divorce

બીજો ગેરલાભ એ છે કે, યુવાન યુગલોમાં ઘણીવાર લાગણીઓ વધુ હોય છે. કૂલિંગ-ઓફ પીરિયડથી તેમાં  સમાધાન થવું શક્ય બને છે. એવું પણ જોવા મળ્યું છે કે ક્યારેક, પરિવારના હસ્તક્ષેપથી અથવા થોડા મહિનાઓ માટે પોતાને દૂર રાખીને, યુગલ સમાધાન કરી શકે છે. પરંતુ જો તેઓ આ પહેલી દરખાસ્ત, એટલે કે, એક વર્ષ અને છ મહિનાનો કૂલિંગ-ઓફ પીરિયડ, પૂર્ણ કરવામાં સફળ થાય છે, તો ઘણા લગ્નો ગુસ્સો, રોષ અને સંઘર્ષમાં ખોવાઈ જવાની ઘણી મોટી સંભાવના છે. આનાથી કોર્ટની જવાબદારી વધી જતી હોય છે કે તેઓ આવા કેસોને કેવી રીતે હેન્ડલ કરે છે. આપણે એક સમાજ તરીકે પરિવર્તન માટે તૈયાર છીએ, પરંતુ પ્રશ્ન એ છે કે શું આપણે છૂટાછેડાના કલંકને સંપૂર્ણપણે સ્વીકારી શકીશું? શહેરી વિસ્તારોમાં, જ્યાં પતિ-પત્ની બંને આર્થિક રીતે સ્વતંત્ર છે, શું ત્યાં છૂટાછેડા લેવા એક પરંપરા નહીં બનવા લાગે?

error: Content is protected !!