
ઉત્તરાખંડના કોટદ્વારના મોહમ્મદ દીપક હાલમાં દેશભરના સમાચારમાં છવાયેલા છે. તે ‘મોહમ્મદ’ અને ‘દીપક’ કેવી રીતે એક થયા તે વિશે નથી, પરંતુ એક ઘટના વિશે છે, જેમાં તેણે એક મુસ્લિમ દુકાનદારને મદદ કરી હતી. આ મામલો ત્યારે શરૂ થયો જ્યારે બજરંગ દળના કેટલાક કાર્યકરોએ વકીલ અહેમદ સલમાનીની દુકાન પર વાંધો ઉઠાવ્યો, પ્રશ્ન કર્યો કે એક મુસ્લિમ માણસ તેની દુકાનનું નામ ‘બાબા’ કેવી રીતે રાખી શકે. ત્યારપછી દીપક આગળ આવ્યો અને વિરોધીઓનો સામનો કર્યો. જ્યારે તેનું નામ પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો, ‘મારું નામ મોહમ્મદ દીપક છે.’
મીડિયા સૂત્રો સાથેની એક મુલાકાતમાં, દીપક કુમારને સૌપ્રથમ રાહુલ ગાંધીના સમર્થન વિશે પ્રશ્ન કરવામાં આવ્યો. દીપકે કહ્યું કે, રાહુલ ગાંધી જેવા અગ્રણી નેતા તરફથી સમર્થન મળવું એ આનંદની વાત હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમણે કંઈ ખોટું કર્યું નથી. તેમણે ઉમેર્યું, ‘મેં જે કંઈ કર્યું તે માનવતાના નામે હતું, અને જો ભવિષ્યમાં પણ કંઈ ખોટું થતું હશે, તો હું પાછળ હટીશ નહીં અને મારો અવાજ ઉઠાવતો રહીશ.’

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ રાહુલ ગાંધીને એક નેતા તરીકે પસંદ કરે છે, ત્યારે દીપકે કહ્યું કે, તેમને રાહુલ ગાંધીની વિચારસરણી અને લોકો સાથે જોડાવાની રીત ગમે છે. તેમના મતે, રાહુલ ગાંધી નાની ઉંમરના-વડીલો, અમીર અને ગરીબ વચ્ચે ભેદ નથી બતાવતા અને સામાન્ય લોકો સાથે પણ એ જ આત્મીયતાથી વાત કરે છે.
દીપકે મીડિયા સૂત્રને બતાવ્યું કે, ઘટના પહેલા, તેમને સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ધમકી આપવામાં આવી હતી. તેમણે આ પોસ્ટ પોલીસને પણ મોકલી હતી. તેમના મતે, 31મી તારીખે, મોટી સંખ્યામાં લોકો આવ્યા, તેમના પરિવાર પર અપશબ્દો બોલ્યા અને અપમાન કર્યું. દીપકે કહ્યું કે જ્યારે પરિવારને અપશબ્દો કહ્યા, ત્યારે તે ચૂપ રહી શક્યો નહીં અને નીચે આવીને તેમનો સામનો કર્યો.

દીપકે બતાવ્યું કે, જ્યારે બજરંગ દળના સેંકડો કાર્યકરો તેમના જીમની બહાર ભેગા થયા, ત્યારે પણ તેમણે ડરને બદલે પોતાના અંતરાત્માની વાત સાંભળવાનું પસંદ કર્યું. તેઓ કહે છે કે તેઓ લોકોને જાતિ કે ધર્મ દ્વારા નહીં, પણ એક માનવ તરીકે જુએ છે. દીપકે કહ્યું, ‘જો મેં તે દિવસે મારો અવાજ ઉઠાવ્યો ન હોત, તો હું મારી જાતને માણસ ન માનત.
1 ફેબ્રુઆરીના રોજ, પોલીસે દીપક વિરુદ્ધ FIR દાખલ કરી. FIR મુજબ, દીપક અને તેના સાથીઓ વિરુદ્ધ અપશબ્દો, જાતિવાદી અપશબ્દોનો ઉપયોગ કરવા અને મારવાના ઈરાદાથી હુમલો કરવા બદલ ફરિયાદો દાખલ કરવામાં આવી છે.

દીપકે આ અંગે નારાજગી વ્યક્ત કરી. તેમણે કહ્યું કે તેમણે કંઈ ખોટું કર્યું નથી, પરંતુ ફક્ત એક માનવી તરીકેની પોતાની ફરજ બજાવી છે. દીપકે જણાવ્યું કે FIRમાં ચોરીના આરોપો હતા, જોકે તેમણે પોલીસને CCTV ફૂટેજ સબમિટ કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે હંગામો કરનારાઓ સામે કેસ ‘અજાણ્યા’ તરીકે નોંધવામાં આવ્યો છે.
ઘટના પછી, ‘આઈ એમ સપોર્ટ મોહમ્મદ દીપક’ અને ‘આઈ એમ ઓલસો મોહમ્મદ દીપક’ જેવા ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યા છે. દીપકે કહ્યું કે ફક્ત ઉભા રહેવું પૂરતું નથી; ખોટું કામ કરનારા સામે બોલવું પણ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે જ્યાં પણ ખોટું થઈ રહ્યું છે, ત્યાં વ્યક્તિએ બોલવું જોઈએ, પછી ભલે તે સંડોવાયેલા વ્યક્તિનો ધર્મ કે જાતિ ગમે તે હોય.
દીપકે કહ્યું કે ‘બાબા’ શબ્દ કોઈ એક ધર્મનો નથી. દરેક ધર્મમાં બાબા હોય છે, પીર બાબા, સાંઈ બાબા, અને ઘરોમાં પણ વડીલોને ‘બાબા’ કહેવામાં આવે છે. તેમણે કોટદ્વારમાં પીર બાબાની મઝારનું ઉદાહરણ આપ્યું, જ્યાં બધા ધર્મોના લોકો દર્શન કરે છે. દીપકે સ્પષ્ટપણે કહ્યું કે, તે હિન્દુ છે, પરંતુ તેનો ધર્મ નફરત કે દુર્વ્યવહાર શીખવતો નથી.

બાંગ્લાદેશમાં લઘુમતીઓ સામે થતી હિંસા અંગે, દીપકે કહ્યું કે કોઈ પણ જગ્યાએ કોઈ એક સમુદાયને નિશાન બનાવવો ખોટું છે, પછી ભલે તે ભારતમાં હોય કે બાંગ્લાદેશમાં. તેમણે કહ્યું કે તેઓ દરેક જગ્યાએ અન્યાય સામે અવાજ ઉઠાવે છે અને આમ કરતા રહેશે.
અંતમાં, દીપકે કહ્યું કે દેશની પ્રગતિ માટે માનસિકતા બદલવી પડશે. જો દરેકને ધર્મના ચશ્માથી જોવામાં આવે તો દેશ પ્રગતિ કરી શકતો નથી. તેમણે કહ્યું કે પહેલા માનવ બનો અને સારું વર્તન કરો, કારણ કે ભારત દરેકનું છે, ફક્ત એક ધર્મનું નહીં.
