fbpx

ગોરખપુરના મેડિકલ કેમ્પમાં ઓપરેશન પછી ચેપ લાગવાને કારણે 9 દર્દીઓની આંખો કાઢી નાંખવી પડી

Spread the love

ગોરખપુરના મેડિકલ કેમ્પમાં ઓપરેશન પછી ચેપ લાગવાને કારણે 9 દર્દીઓની આંખો કાઢી નાંખવી પડી

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવેલી ખાનગી હોસ્પિટલ, ન્યૂ રાજેશ હાઇ-ટેક હોસ્પિટલે એક મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું. મોતિયાની સર્જરી કરાવ્યા પછી ઘણા દર્દીઓને નવો ચેપ લાગી ગયો હતો. તેમાંથી ઘણા હવે દિલ્હી, લખનઉ અને વારાણસીની હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. આમાંથી નવ દર્દીઓને આંખમાં ચેપ એટલો ગંભીર થઇ ગયો કે તેમની આંખો કાઢી નાખવાની ફરજ પડી હતી. હવે સવાલ એ ઊભો થાય છે કે, આ સમગ્ર ઘટના માટે કોણ જવાબદાર છે? આંખ કેમ્પનું આયોજન કરનાર હોસ્પિટલ કે પછી મોતિયાની સર્જરી કરનારા ડોકટરો.

Gorakhpur-Cataract Infection

મીડિયા સૂત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, 1 ફેબ્રુઆરીના રોજ આયોજિત આઈ કેમ્પમાં 30 લોકોએ  મોતિયાની સર્જરી કરાવી હતી. પરંતુ, 24 કલાકની અંદર જ, લગભગ બધાની હાલત બગડવા લાગી હતી. 18 લોકોને આંખમાં ચેપ લાગી ગયો હતો અને તેમને ગોરખપુરની બહાર દિલ્હી, લખનઉ અને વારાણસીની સુપર-સ્પેશિયાલિટી હોસ્પિટલોમાં રિફર કરવામાં આવ્યા હતા. આંખમાં ચેપ લાગનારા લોકોના પરિવારોએ આ ઘટનાની જાણ કરી હતી. દીપુએ કહ્યું હતું કે, તેની મોટી માને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, ત્યારપછી તેમને ચેપ લાગ્યો હતો અને હવે તેમની સારવાર AIIMS દિલ્હીમાં ચાલી રહી છે. તે કહે છે, ‘મારી મોટી મા આંખના ઓપરેશન પછી સાંજે ઘરે પરત ફર્યા. રાત્રે, તેમને આંખોમાં ભારે દુખાવો થતો હતો. અમે તેમને ત્યાં લઈ ગયા, પરંતુ ત્યાં કોઈ ડૉક્ટર નહોતા. એક કમ્પાઉન્ડરે તેમને ઈન્જેક્શન આપ્યું, જેનાથી થોડી રાહત થઈ. બીજા દિવસે, ડૉક્ટર આવ્યા અને તેમને દિલ્હી લઈ જવાનું કહ્યું. ત્યારપછી તેમની સારવાર AIIMS દિલ્હીમાં કરવામાં આવી, જ્યાં તેમની આંખ કાઢી નાખવામાં આવી.’

Gorakhpur-Cataract Infection

એક બીજો માણસ કે જે તેમની ભાભીનું ઓપરેશન કરાવવા ગયો હતો, તેમને પણ ચેપ લાગ્યો અને હવે તેમની AIIMS દિલ્હીમાં સારવાર ચાલી રહી છે. તે કહે છે, ‘ઓપરેશન પછી, તેમની આંખોમાંથી પાણી નીકળવાનું ચાલુ જ રહ્યું બંધ ન થયું. જ્યારે અમે તેમને ગોરખપુર લઈ ગયા, ત્યારે ડૉક્ટરે કહ્યું કે ત્યાં તેમના હાથની વાત રહી નથી. તેમને AIIMS દિલ્હીમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં ડૉક્ટરે કહ્યું કે, તેમનો જીવ બચાવવા માટે તેમની આંખો કાઢી નાખવી પડશે. તેથી, તેમની આંખ કાઢી નાખવી પડી.’

Gorakhpur-Cataract Infection

જ્યારે આ સમાચાર ફેલાયા, ત્યારે આરોગ્ય વિભાગે આ બાબતની નોંધ લીધી અને તપાસ માટે ગોરખપુરમાં એક ટીમ પહોંચી. આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ચેપ હોવાનું બહાર આવ્યું. મોતિયાના ઓપરેશન કરનારા ડોકટરો સામે મેજિસ્ટ્રેટ તપાસ શરૂ કરવામાં આવી છે. સર્જરી કરાવનારા દર્દીઓ અને તે કરનારા ડોકટરો બંનેના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. ગોરખપુરના CMO ડૉ. રાજેશ ઝાએ જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ ચાલી રહી છે. ‘અમને 4 તારીખે ખબર પડી કે 1 તારીખે આશરે 30 સર્જરી કરવામાં આવી હતી. આ દર્દીઓને ચેપ લાગ્યો હતો. તેના આધારે, એક જિલ્લા સ્તરીય સમિતિની રચના કરવામાં આવી હતી. અમે તે જ દિવસથી તેના પર કામ કરવાનું શરૂ કર્યું હતું, પરંતુ કમનસીબે, ઘણા લોકોએ તેમની દૃષ્ટિ ગુમાવી દીધી હતી. કેટલાકને બીજી જગ્યાએ રિફર કરવામાં આવ્યા છે. અમે તેમના ઓપરેશન થિયેટરનું માઇક્રોબાયોલોજીકલ પરીક્ષણ કરાવ્યું છે. આ ઉપરાંત મેજિસ્ટ્રેટ સ્તરની તપાસ પણ ચાલી રહી છે. તપાસ રિપોર્ટના આધારે કાર્યવાહી કરવામાં આવશે.’

Gorakhpur-Cataract Infection

જ્યારે, ગોરખપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક મીણાએ તાત્કાલિક અસરથી હોસ્પિટલને બંધ કરી દીધી છે. તપાસ રિપોર્ટ એક કે બે દિવસમાં આવી જશે. તે રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે પણ આ મામલે પ્રતિક્રિયા આપી હતી. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘ગોરખપુરમાં લોકો પોતાની દૃષ્ટિ ગુમાવી રહ્યા છે, અને કોઈ પાછળ બેસીને બડાઈ મારી રહ્યું છે. જ્યારે CM ગોરખપુર આવે છે, ત્યારે શું તેઓ કોઈ કાળજી લે છે કે હિસાબ રાખે છે, કે પછી તેઓ ફક્ત આમ તેમ જોઈને નીકળી જાય છે? આ વખતે, જનતા તેમને ગોરખપુરમાં પણ હરાવશે અને બતાવશે કે દીવા નીચે અંધારું કેવું હોય છે.’

હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે. અધિકારીઓ કહે છે કે, કોઈને પણ છોડવામાં આવશે નહીં.

error: Content is protected !!