fbpx

જરાક તો શરમ કરો… અમદાવાદમાં પ્રદૂષણ ન પકડાય એટલે AQI મશીનની આસપાસ પાણી છાંટવામાં આવી રહ્યું છે

Spread the love

જરાક તો શરમ કરો... અમદાવાદમાં પ્રદૂષણ ન પકડાય એટલે AQI મશીનની આસપાસ પાણી છાંટવામાં આવી રહ્યું છે

અમદાવાદ સહિત ગુજરાતના ઘણા શહેરોમાં પ્રદૂષણનું સ્તર કથળતું જઇ રહ્યું છે. પરંતુ અમદાવાદમા વહીવટી આંકડા છૂપાવવાના પેંતરા કરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. શહેરની 8 GIDCઓ દ્વારા કરવામાં આવતું વાયુ પ્રદૂષણ વચ્ચે લોકોના ફેફસા ગૂંગળાઈ રહ્યા છે, ત્યારે પ્રદૂષણ માપવા માટે મુકાયેલા સફર એર મોનિટરિંગ સ્ટેશનો’ પોતે જ ગીચ વનસ્પતિઓ અને ઝાડી-ઝાંખરાઓમાં કેદ થઈ ગયા છે. તંત્ર સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના ખુલ્લેઆમ ધજાગરા ઉડાવીને જનતાને ગેરમાર્ગે દોરી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. SOP મુજબ એક- બે મશીનો જમીનથી ફૂટ ઊંચાઈએ હોવા જોઈએ, પરંતુ અમદાવાદમાં તેનું પાલન કરવામાં આવતું નથી.

સંદેશ ન્યૂઝના રિપોર્ટમાં ચોકાવનારા ખુલાસા થયા હતા. નિંષ્ણાતોના મતે, વનસ્પતિ કુદરતી રીતે જ ઓઝોન અને નાઇટ્રોજન ઓક્સાઇડ જેવા પ્રદૂષકોને શોષી લે છે. જ્યારે સ્ટેશન ગીચ ઝાડીઓ વચ્ચે હોય, ત્યારે તે સમગ્ર વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવાને બદલે માત્ર તે ‘માઇક્રો-ક્લાઇમેટ’ની જ હવા માપે છે. આ કારણે ટ્રાફ્કિ અને ઉદ્યોગોનું વાસ્તવિક પ્રદૂષણ સ્ટેશન સુધી પહોંચતું જ નથી. પરિણામે, ડેટામાં પ્રદૂષણનું સ્તર વાસ્તવિકતા કરતા ઘણું ઓછું દેખાય છે, જે ડેટા મેનીપ્યુલેશન સમાન છે.

ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધ્યક્ષ આર.બી. બારડના જણાવ્યા મુજબ, એર મોનિટરિંગ સ્ટેશનની આસપાસના વૃક્ષો ધૂળ-ધૂમાડાને રોકી શકે છે, જેનાથી પ્રદૂષણના આંકડામાં ફેરફાર આવી શકે છે. સચોટ પરિણામો માટે ગાંધીનગરની કચેરીમાં સ્ટેશન ધાબા પર મુકાયું છે. અમદાવાદમાં કાર્યરત સફર સ્ટેશનોનું સંચાલન પુણેની IITM સંસ્થા દ્વારા સીધું કરાય છે. આ પ્રોજેક્ટમાં AMCની ભૂમિકા માત્ર જગ્યા ફાળવવા પૂરતી મર્યાદિત છે તેમ જણાવી AMC તો હાથ ઊંચા કરી રહી છે! સફરના સ્ટેશનો માટે માત્ર જગ્યા ફળવીને સત્તાધીશો પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા છે. ડેટા કલેક્શનનું કામ પુણેની સંસ્થા પર ઢોળી દેવાયું છે.

ahmedabad

sandesh.comના અહેવાલ મુજબ, શહેરના રખિયાલના શ્રમિક ક્રાંતિ ગાર્ડન, રાયખડના વિક્ટોરિયા ગાર્ડન, ચાંદખેડાનું કલ્ચરલ સેન્ટર ગાર્ડન અને નવરંગપુરાના સરદાર પટેલ સ્ટેડિયમ જેવા વિસ્તારોમાં એર મોનિટરિંગ સ્ટેશનો વૃક્ષો વચ્ચે ઢંકાયેલા છે. આટલું જ નહીં, રાયખડ જેવા વિસ્તારોમાં તો આ વૃક્ષો પર દર કલાકે પાણીનો છંટકાવ કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો મુજબ, મોનિટરિંગ સ્ટેશનની આસપાસ કોઈ અવરોધ ન હોવો જોઈએ, પરંતુ અહીં તો કૃત્રિમ રીતે હવાને ફ્લ્ટિર કરીને માપવામાં આવી રહી છે.

તંત્રની આ નિષ્ફ્ળતા શહેરીજનો માટે જીવલેણ સાબિત થઈ શકે છે. જ્યારે પ્રદૂષણનો સાચો આંકડો જ સામે આવતો નથી, ત્યારે લોકો યોગ્ય સમયે હેલ્થ એડવાઇઝરીથી વંચિત રહી જાય છે. અમદાવાદમાં દિલ્હી જેવી સ્થિતિ હોવા છતા કાગળ પર બધું ‘ઓલ રાઈટ’ બતાવીને તંત્ર પોતાની જવાબદારીમાંથી છટકી હોય તેમ લાગી રહ્યું છે. પ્રશાસનની આ નીતિને કારણે હૃદય રોગનું પ્રમાણ વધી રહ્યું છે, જે જન આરોગ્ય સામે ખેલવાડ થઈ રહ્યો છે.

આ મામલે AMCના ઉચ્ચ અધિકારીના મતે AQI મશીનની જાળવણી જવાબદારી AMCની નથી. કોર્પોરેશનની જવાબદારી ફક્ત સફરના એર મોનિટરિંગ સ્ટેશનો માટે શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં જગ્યાઓ ફાળવી આપવા પુરતી સીમિત છે. શહેરના પ્રદૂષણની સ્થિતિ જાણવા માટે તે મશીનો વિવિધ વિસ્તારોમાં મૂકવામાં આવ્યા છે. આવા મશીનોને AMCના બગીચાઓમાં મૂકવામાં આવ્યા છે. અને તેની સારસંભાળ SAFARના અધિકારીઓ કરતા હોય છે. આ મશીનો થકી પ્રદૂષણના આંકડા કોર્પોરેશન, GPCBને મોકલવામાં આવતા હોય છે.

ahmedabad

તો SAFARના અધિકારીએ જણાવ્યુ, એર મોનિટરિંગ સાઇટ્સ WHO અને IMDના પ્રોટોકોલ મુજબ નક્કી થાય છે. પરંતુ, સમય જતા સ્ટેશનોની આસપાસ વધેલા વૃક્ષો અને ઇમારતો હવે અવરોધ બની રહ્યા છે. વૃક્ષો પર પાણી છાંટવાથી તે ‘ડસ્ટ સિંક’ બની જાય છે, જે PM 2.5 અને PM 10ના સ્તરને વાસ્તવિકતા કરતા ઓછા દર્શાવે છે. હવાની ગુણવત્તાનો સાચો અંદાજ મેળવવા હવે બ2 જ વિકલ્પો છેઃ ક્યાં તો આ સંવેદનશીલ સાધનોને અન્યત્ર ખસેડવા અથવા વૃક્ષોની ડાળીઓ કાપીને સૂર્યપ્રકાશ અને વાયુ પ્રવાહ સુનિશ્ચિત કરવો. પ્રદૂષણના સચોટ ડેટા માટે સાઇટનું વાતાવરણ પ્રોટોકોલ મુજબ જળવાવું પણ અનિવાર્ય છે.

બગીચા અથવા ઝાડીઓની અંદર તાપમાન ઓછું અને ભેજ વધુ હોય છે. AQMSના સેન્સર આ સ્થાનિક વાતાવરણને માપે છે. જે આખા શહેરની ગરમી કે પ્રદૂષણની સ્થિતિથી અલગ હોય છે. સ્ટેશનની આસપાસ 5-10 મીટરની અંદર ગીચ વૃક્ષો હોય તો PMના રજકણો સ્ટેશન સુધી પહોંચતા પહેલા જ પાંદડા પર જમા થઇ જાય છે. પરિણામે AQI વાસ્તવિક કરતા ઘણો સારો દેખાઇ શકે છે.

જો કોઇ વિસ્તારમાં વાસ્તવિક PM 25નું સ્તર POOR શ્રોણીમાં હોય પરંતુ ઝાડી-વૃક્ષોના કારણે સ્ટેશન તેને મોડરેટ બતાવે તો હૃદય અને ફેફસાની બીમારી ધરાવતા લોકોને આ ખોટી માહિતી પહોંચે અને તેમનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાય છે. જો ડેટા ખોટો હોય તો શાળાઓને રમતગમત બંધ કરવાની, લોકોને માસ્ક પહેરવાની સૂચના સમયસર મળી શકતી નથી. જ્યારે પ્રદૂષણ દેખીતી રીતે હવામાં દેખાતું હોય પણ સરકારી ડેટા તેને ઓછો બતાવે ત્યારે લોકોનો સિસ્ટમ પરથી વિશ્વાસ ઉઠી જાય છે.

ahmedabad

વાયુ પ્રદૂષણને કારણે વિઝિબિલિટી ઓછી હોય તો અકસ્માતો થવાની પણ ભીતી રહે છે. જો ખરેખર AQI મશીનોની આસપાસ પાણી નાખીને આંકડાઓ સાથે ચેડાં કરવામાં આવી રહ્યું હોય તો જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવા હિતાવહ છે. જો આમ નહીં કરવામાં આવે તો શ્વસન અને હૃદય સંબંધિત સંબંધિત બીમારીઓ પણ વધશે અને જેમને પહેલાથી જ આવી કોઈ બીમારી હોય તો તેમના જીવ જોખમમાં મુકાશે તો તેના માટે જવાબદાર કોણ રહેશે તંત્ર કે પછી લોકો પોતે?

Leave a Reply

error: Content is protected !!