
T20 વર્લ્ડ કપ 2026ના સુપર-8 સ્ટેજમાં દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાને 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો, જેથી સેમીફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂબ મુશ્કેલ થઇ ગયો છે. ગ્રુપ-1માં ભારતની સ્થિતિ એવી છે કે, તેણે હવે બાકીની બંને મેચ જીતવી પડશે અને સેમીફાઇનલમાં પહોંચવા માટે તેની નેટ રન રેટ (NRR) પર નિર્ભર રહેવું પડશે. રસપ્રદ વાત એ છે કે, દક્ષિણ આફ્રિકા જ આ મુશ્કેલ સમયમાં ભારતનો તારણહાર સાબિત થઈ શકે છે અને સેમીફાઇનલમાં જગ્યા અપાવી શકે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ બાદ, ગ્રુપ-1ની સ્થિતિ આ મુજબ છે.
સેમીફાઇનલમાં પહોંચવા માટે ભારતીય ટીમ માટે સમીકરણ
દક્ષિણ આફ્રિકાએ એક મેચ જીતી છે, 2 પોઈન્ટ અને +3.800ની શાનદાર NRR છે. તો, ભારતનો 0 પોઈન્ટ અને -3.800ની NRR છે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડીઝ અને ઝિમ્બાબ્વેએ હજુ સુધી તેમના સુપર-8 અભિયાન શરૂઆત કરી નથી. ભારત પાસે હવે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઈન્ડીઝ સામે 2 મેચ બાકી છે. જો ભારત આ બંને મેચ જીતે છે, તો તેના કુલ 4 પોઈન્ટ થઇ જશે. જોકે, NRR અહીં મુખ્ય ભૂમિકા ભજવશે. આટલી મોટી હાર બાદ, ભારતની NRR એટલી ખરાબ થઇ ગઇ છે કે માત્ર તેને જીતોથી સુધારવી મુશ્કેલ થઇ જશે.

એવામાં, જો દક્ષિણ આફ્રિકા તેની બાકીની બંને મેચ (વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વે સામે) જીતી જાય, તો પ્રોટિયાઝના 6 પોઈન્ટ થઇ જશે અને તે ગ્રુપમાં ટોચ પર રહીને સેમીફાઇનલમાં જગ્યા નક્કી કરી લેશે. આ સ્થિતિમાં ભારત પાસે 4 પોઈન્ટ હશે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેને મહત્તમ 2-2 પોઈન્ટ જ મળી શકશે. પરિણામે, ભારત 4 પોઈન્ટ સાથે ગ્રુપમાં બીજા સ્થાને રહેશે, કારણ કે અન્ય ટીમોના પોઈન્ટ ઓછા હશે. જોકે, જો દક્ષિણ આફ્રિકા એક મેચ હારી જાય છે, તો ગ્રુપ પોઈન્ટ પર બરાબરી કરી શકે છે, જ્યાં NRR મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે, અને ભારતની -3.800 NRR તેને નુકસાન પહોંચાડી શકે છે.

આ હાર ટીમ માટે એક મોટો પાઠ છે. હવે, રોહિત-વિરાટ યુગ બાદ, સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ટીમે માત્ર જીત જ નહીં, પરંતુ વિરોધી ટીમોને મોટા માર્જિનથી હરાવવી પડશે. આગામી મેચોમાં, વાપસી કરવા માટે આખી ટીમને બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગમાં એકજૂથ થઇને કમબેક કરવાની જરૂર છે. જો ટીમ ઈન્ડિયા બંને મેચ મોટા માર્જિનથી જીતે છે, તો તેની નેટ રન રેટ પણ સુધરી શકે છે. આવી સ્થિતિમાં દક્ષિણ આફ્રિકાની હાર બાદ પણ, ટીમ ઈન્ડિયા સેમીફાઇનલમાં પ્રવેશ કરી શકે છે.
