
સામાન્ય રીતે સમાજમા કોઇ શુભ પ્રસંગ હોય, કોઇકના ઘરે દીકરા-દીકરીની પધરામણી થઇ હોય ત્યારે કિન્નર સમાજના લોકો આર્શીવાદ લેતા હોય છે અને ક્ષમતા મુજબ રૂપિયા દાન આપતા હોય છે, પરંતુ અમદાવાદના બાવળામાં કિન્નર સમાજનું ઉમદા અને પ્રેરણાદાયી કામ સામે આવ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો કિન્નર સમાજના વખાણ કરી રહ્યા છે.
અમદાવાદના બાવળમાં સમુહલગ્નનું 12 ફેબ્રુઆરીના દિવસે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કિન્નર સમાજે 11 દીકરીઓના પિતાની ભૂમિકા નિભાવી હતી. કિન્નર સમાજે દરેક દીકરીને 3-3 લાખ રૂપિયાનું કરિયાવર આપ્યું જેમાં ઘરવખરી અને જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સામેલ હતી. ઉપરાંત સોના-ચાદીનું પણ કિન્નરો તરફથી કરિયાવર આપવામાં આવ્યું. કિન્નરોની આ પહેલને કારણે 11 દીકરીઓના ચહેરા પર ખુશી આવી ગઇ હતી.
