
IPL શરૂ થાય તે પહેલાં, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ફેન્સને મોટો ઝટકો લાગ્યો છે. CSKનો દિગ્ગજ ખેલાડી M.S. ધોની, લગભગ બે અઠવાડિયા સુધી ટીમ સાથે જોડાઈ શકશે નહીં. શનિવાર 28 માર્ચે, CSK ફ્રેન્ચાઇઝીએ પુષ્ટિ કરી હતી કે ધોની પગની પિંડીમાં ખેંચાણને કારણે શરૂઆતની મેચોમાંથી બહાર રહેશે.
અહેવાલો અનુસાર, M.S. ધોની આ સીઝનની પ્રથમ 4 મેચોમાંથી બહાર થઈ શકે છે. ધોનીની ગેરહાજરીમાં ટીમ માટે વિકેટકીપિંગ કરવાની જવાબદારી સંજુ સેમસન અથવા ઉર્વિલ પટેલને મળી શકે છે. એવી શક્યતા છે કે ધોની સીઝનના ઓછામાં ઓછા પ્રથમ 4 મેચો મિસ કરશે.

આ મેચોમાં બહાર થઈ શકે છે ધોની
30 માર્ચ: ચેન્નાઈ સુપર કિંગ્સ Vs રાજસ્થાન રોયલ્સ
3 એપ્રિલ: ચેન્નાઈ સુપર કિંગ્સ Vs પંજાબ કિંગ્સ
5 એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ Vs રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરું
11 એપ્રિલ: ચેન્નઈ સુપર કિંગ્સ Vs દિલ્હી કેપિટલ્સ
ધોનીની ગેરહાજરી સીઝનની શરૂઆતમાં CSKની ટીમ માટે મોટી કસોટી હશે, ખાસ કરીને નેતૃત્વ અને ફિનિશિંગ ક્ષમતાઓના સંદર્ભમાં.
નોંધનીય છે કે ધોનીએ વર્ષ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી, પરંતુ તે સતત IPLમાં રમતો રહે છે. ગત સીઝનમાં, તેણે બધી 14 મેચ રમી હતી અને 135થી વધુના સ્ટ્રાઈક રેટથી 196 રન બનાવ્યા હતા. જ્યારે ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે બહાર થઈ ગયા બાદ તેણે કેપ્ટનશીપની જવાબદારી પણ સંભાળી હતી.

44 વર્ષની ઉંમરે પણ, ધોની લીગનો સૌથી પ્રભાવશાળી ખેલાડીઓમાંથી એક છે. જો તે આ સીઝનમાં વાપસી કરે છે, તો તે IPLમાં રમનાર સૌથી મોટી ઉંમરનો ભારતીય ખેલાડી બનશે. હાલમાં, CSKને તેમના સૌથી મોટા આઇકોન વિના શરૂઆતી ચરણમાંથી પસાર થવું પડશે અને બધાની નજર એ વાત પર હશે કે ટીમ તેની ગેરહાજરીમાં કેવી રીતે ઢળે છે.
