
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી માટે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. છતાં પણ, લાખો લોકો એવા છે કે, તેઓ મતદાન કરી શકશે કે નહીં. આમાંના એક મુર્શિદાબાદના ફરક્કાથી કોંગ્રેસના ઉમેદવાર મોહતાબ શેખ પણ હતા. અહીં ‘હતા’ શબ્દનો એટલા માટે કે, તેઓ હવે બંગાળમાં માન્ય મતદાર થઇ ગયા છે. મોહતાબ બંગાળમાં પ્રથમ વ્યક્તિ છે, જે ટ્રિબ્યુનલના આદેશ પછી મતદાર બન્યા છે. મતદાનના પ્રથમ તબક્કા માટે મતદાર યાદીને અંતિમ સ્વરૂપ આપવા માટે માત્ર એક દિવસ બાકી છે. જોકે, સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી, મોહતાબે રાહતનો શ્વાસ લીધો, કારણ કે તેમને એવી સુનાવણી મળી જે બંગાળમાં ક્યારેય કોઈને મળી નથી.
મતદાર યાદીના ખાસ સઘન સંશોધન (SIR) અને ન્યાયિક અધિકારી દ્વારા તપાસ પછી, મોહતાબ શેખનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું. મોહતાબે દાવો કર્યો હતો કે, તેમણે ચૂંટણી પંચ અને ન્યાયિક અધિકારી સમક્ષ તેમના પાસપોર્ટ સહિત અનેક દસ્તાવેજો રજૂ કર્યા હતા, તો પણ તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું હતું.

કોંગ્રેસે ફરક્કા વિધાનસભા મતવિસ્તારમાંથી મોહતાબ શેખને ઉમેદવાર બનાવ્યા હતા. જોકે, લિસ્ટમાંથી નામ કપાઈ જવાને કારણે મોહતાબને તેમની ઉમેદવારી ગુમાવવી પડી શકે તેમ હતી. સૌથી મોટો ખતરો ભારતીય મતદાર હોવાનો તેમનો અધિકાર ગુમાવવાનો હતો. મોહતાબે હિમ્મત ન હારી. તેમણે દેશની સર્વોચ્ચ અદાલત, સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો.
2જી એપ્રિલે, સુપ્રીમ કોર્ટે મોહતાબનો કેસ ઉકેલવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટે સંબંધિત ટ્રિબ્યુનલને કેસ સંભાળવાનો અને ચૂંટણી પંચની મદદથી 6ઠ્ઠી એપ્રિલના રોજ બપોર સુધીમાં તેનો ઉકેલ લાવવાનો આદેશ આપ્યો. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી, પશ્ચિમ બંગાળમાં પહેલીવાર ટ્રિબ્યુનલ બોલાવવામાં આવી, જેમાં મોહતાબના પક્ષમાં ચુકાદો આવ્યો. મોહતાબ સિવાય અન્ય કોઈને હજુ સુધી ટ્રિબ્યુનલનો સંપર્ક કરવાની તક મળી નથી.
મળે પણ કેવી રીતે? બંગાળમાં 19 ટ્રિબ્યુનલ લાખો મતદારોની અપીલો સંભાળવાના છે. આ 19 ટ્રિબ્યુનલ્સ 2જી એપ્રિલે કામ શરૂ કરવાના હતા, પરંતુ એવું થયું નહીં. સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપ પછી જ ટ્રિબ્યુનલે મોહતાબ માટે ખાસ સુનાવણી યોજી.
કોલકાતા હાઈકોર્ટના નિવૃત્ત મુખ્ય ન્યાયાધીશ T.S. શિવજ્ઞાનમે સોલ્ટ લેકમાં મોહતાબ શેખના કેસની સુનાવણી કરી. સુનાવણી દરમિયાન મોહતાબ શેખ પણ હાજર હતા. તેમણે પોતાનો પાસપોર્ટ રજૂ કર્યો અને દાવો કર્યો કે, તેમણે SIR તરીકેના કાર્યકાળ દરમિયાન પણ તે જમા કરાવ્યો હતો.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ન્યાયાધીશ શિવજ્ઞાનમે બધા દસ્તાવેજોની ફરીથી તપાસ કરી અને તેમના આદેશમાં નોંધ્યું કે, ભારતીય ચૂંટણી પંચ (ECI)એ તપાસ દરમિયાન ‘ટેકનિકલ કારણો’નો ઉલ્લેખ કરીને મતદાર યાદીમાંથી તેમનું નામ ‘કાઢી નાખવા’નું કારણ જાહેર કર્યું નથી. તેમના નામમાં જોડણીની ભૂલ હતી, જેની તેમણે 2002માં એક સોગંદનામામાં ચૂંટણી પંચને જાણ કરી હતી.
જસ્ટિસ શિવજ્ઞાનમે ચુકાદો આપ્યો કે, મોહતાબ શેખ દ્વારા રજુ કરવામાં આવેલો પાસપોર્ટ પૂરતો હતો. તેમણે ચૂંટણી પંચને આદેશ આપ્યો કે, 5 એપ્રિલ, રવિવાર રાત્રે 8 વાગ્યા સુધીમાં મોહતાબ શેખને એક અલગ યાદી દ્વારા મુર્શિદાબાદનો માન્ય મતદાર જાહેર કરે.
મોહતાબ શેખના વકીલ ફિરદૌસ શમીમે મીડિયા સૂત્રને જણાવ્યું હતું કે, ‘ટ્રિબ્યુનલ સમક્ષ આ પહેલો કેસ છે, જે સાબિત કરે છે કે મતદાર યાદીમાંથી સાચા મતદારોના નામ કેવી રીતે દૂર કરવામાં આવ્યા છે.’
બંગાળમાં મતદાર યાદીમાંથી બાકાત રાખવામાં આવેલા 60 લાખથી વધુ લોકોના કેસોને સંભાળવા માટે 700થી વધુ ન્યાયિક અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) મનોજ અગ્રવાલના કાર્યાલય અનુસાર, શનિવાર, 4 એપ્રિલ સુધીમાં આ 60 લાખ કેસોમાંથી 57 લાખ કેસોની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી.

ચૂંટણી પંચે હજુ સુધી ખુલાસો કર્યો નથી કે, આમાંથી કેટલા કેસોમાં નામ કાઢી નાખવાનો સમાવેશ થાય છે. આ અગાઉ, જ્યારે આશરે 49 લાખ કેસોનો ઉકેલ લાવવામાં આવ્યો હતો, ત્યારે ચૂંટણી પંચના અધિકારીઓએ 45 ટકા અથવા 22 લાખ નામો કાઢી નાખવાનો અંદાજ લગાવ્યો હતો.
ચૂંટણી પંચે 19 ન્યાયિક ટ્રિબ્યુનલની સ્થાપના કરી હતી, જેનું નેતૃત્વ હાઈકોર્ટના ન્યાયાધીશો અથવા મુખ્ય ન્યાયાધીશો કરતા હશે. જેથી કરીને મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવામાં આવ્યા હતા તેવા લોકોની અપીલ પર નિર્ણય લઇ શકાય. પરંતુ, સત્ય એ છે કે, આ ટ્રિબ્યુનલને હજુ સુધી કાર્યરત કરવામાં આવ્યા નથી.
શરૂઆતમાં, 19 અલગ અલગ ચૂંટણી જિલ્લાઓમાં 19 ટ્રિબ્યુનલની સ્થાપના થવાની હતી. હવે, આમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તે બધા એક જ સ્થળે, જોકા, કોલકાતામાં શ્યામા પ્રસાદ મુખર્જી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર એન્ડ સેનિટેશનમાં સેટ કરવામાં આવ્યા છે.