
ઉત્તર પ્રદેશ વિજિલન્સ વિભાગના કાનપુર એકમે વાણિજ્યિક કર વિભાગના ભૂતપૂર્વ એડિશનલ કમિશનર કેશવ લાલ સામે અપ્રમાણસર સંપત્તિનો કેસ દાખલ કર્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, કેશવ લાલે તેમના સેવાકાર્ય દરમિયાન ભ્રષ્ટાચાર દ્વારા કરોડો રૂપિયાની બેનામી સંપત્તિ એકઠી કરી હતી. તેમની કુલ સંપત્તિ 100 કરોડથી વધુની હોવાનું કહેવાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેશવ લાલની ગેરકાયદેસર સંપત્તિનો સૌપ્રથમ ખુલાસો 2017માં થયો હતો. તે સમયે, તેઓ કાનપુરમાં પોસ્ટેડ હતા, અને આવકવેરા વિભાગે તેમના નોઈડા નિવાસસ્થાન પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન, પૂજા રૂમ, કબાટ, પલંગના ગાદલા અને બાથરૂમ ફ્લશની ટાંકીમાંથી ચલણી નોટોના બંડલ મળી આવતા અધિકારીઓ સ્તબ્ધ થઈ ગયા. તે સમયે આશરે 10 કરોડ રૂપિયા રોકડા અને 3 કરોડના દાગીના જપ્ત કરવામાં આવ્યા હતા.
વિજિલન્સ તપાસ અહેવાલ મુજબ, કેશવ લાલની સમગ્ર કારકિર્દી દરમિયાન કાયદેસર આવક ફક્ત રૂ. 1.34 કરોડ હતી. તેનાથી વિપરીત, તેમણે રૂ. 18.27 કરોડથી વધુ ખર્ચ અને રોકાણ કર્યું, જે તેમની વાસ્તવિક આવક કરતાં રૂ. 17.26 કરોડ (1282 ટકા) વધુ છે. આ મોટા પાયે ગેરરીતિને કારણે, સરકારે તેમને 2017માં નિવૃત્ત કરી દીધા હતા.

આ ગેરકાયદેસર રીતે મેળવેલી આ આવક ઉત્તર પ્રદેશના ઘણા મોટા શહેરોમાં ફેલાવેલી છે. વિજિલન્સ તપાસમાં જાણવા મળ્યું કે, કેશવ લાલ લખનઉમાં બે વૈભવી મકાનો, નોઈડા, ગાઝિયાબાદ, કાનપુર અને પ્રયાગરાજમાં કિંમતી જમીન અને મકાનો ધરાવે છે, અને તેમના ગૃહ જિલ્લા ચંદૌલીમાં પણ કરોડોનું રોકાણ કરેલું છે. આ બધી મિલકતોના દસ્તાવેજો પ્રાપ્ત કર્યા પછી, વિજિલન્સે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ FIR દાખલ કરી.
ઓગસ્ટ 2023માં શરૂ થયેલી સંપૂર્ણ તપાસ પછી, વિજિલન્સ વિભાગે સરકાર પાસેથી પરવાનગી માંગી હતી. હવે, પરવાનગી મળ્યા પછી, કડક કાર્યવાહી કરવામાં આવી છે. વિભાગ માને છે કે તેમની સ્થાવર મિલકતોનું બજાર મૂલ્ય રૂ. 100 કરોડથી વધુ હોઈ શકે છે.

અહીં તમને બતાવી દઈએ કે, વાણિજ્યિક કર વિભાગની બેઠક દરમિયાન CM યોગી આદિત્યનાથના કડક આદેશ પછી, વિભાગના ઉચ્ચ અધિકારીઓએ એક મોટો નિર્ણય લીધો છે. કાનપુરના ઝોન 1ના એડિશનલ કમિશનર ગ્રેડ-2 કેશવ લાલને હવે તેમનું પેન્શન મળશે નહીં. વિગતવાર તપાસ પછી, સરકારે તેમના પેન્શનમાં 100 ટકા ઘટાડો કરવાનો આદેશ બહાર પાડ્યો છે.