fbpx

જબરા છે… જે આરોગ્ય કેન્દ્રમાં એક પણ બાળકનો જન્મ નથી થયો ત્યાં 250 જન્મ પ્રમાણપત્રો આપી દેવાયા, મોટો ખેલ ખબર પડી

Spread the love
જબરા છે... જે આરોગ્ય કેન્દ્રમાં એક પણ બાળકનો જન્મ નથી થયો ત્યાં 250 જન્મ પ્રમાણપત્રો આપી દેવાયા, મોટો ખેલ ખબર પડી

મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે સંકળાયેલી એક મોટી છેતરપિંડી પ્રકાશમાં આવી છે. રામગઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લગભગ 250 જન્મ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા, જ્યારે ત્યાં કોઈ બાળકનો જન્મ થયો જ ન હતો. આ નકલી પ્રમાણપત્રોનો ઉપયોગ આધાર કાર્ડ પર નામ અને જન્મ તારીખ બદલવા માટે કરવામાં આવ્યો હતો. પોલીસે આ કેસના સંદર્ભમાં છ લોકોની ધરપકડ કરી છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, ફેબ્રુઆરીમાં આરોગ્ય કેન્દ્રમાં કોઈ બાળકનો જન્મ થયો ન હતો, છતાં કમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટરનો ઉપયોગ કરીને 137 જન્મ પ્રમાણપત્રો બહાર પાડી દેવામાં આવ્યા હતા. બ્લોક મેડિકલ ઓફિસરને શંકા જતાં આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. ત્યારપછી ફેબ્રુઆરીમાં જ આના સબંધિત ઓપરેટરને દૂર કરવામાં આવ્યો. 6 એપ્રિલે માચલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પછી, પોલીસે તપાસ શરૂ કરી. આશ્ચર્યજનક રીતે, આ નાના આરોગ્ય કેન્દ્રમાં ફેબ્રુઆરીમાં 137 જન્મ નોંધાયા હતા, જ્યારે હકીકતમાં ત્યાં કોઈ ડિલિવરી થઈ જ ન હતી.

Health-Department-Fraud3

તપાસમાં જાણવા મળ્યું કે, ફક્ત એક મહિનો જ નહીં, પરંતુ 1950થી 1980 દરમિયાનના પણ નકલી જન્મ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા, પરંતુ તે સમયે તો ગામમાં ન તો આરોગ્ય કેન્દ્ર હતું કે ન તો ડિલિવરી સેવાઓ થતી હતી. તપાસમાં એ પણ બહાર આવ્યું કે, રાજસ્થાન, સિક્કિમ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના લોકોના નામના પણ પ્રમાણપત્રો બહાર પાડવામાં આવ્યા હતા. કુલ મળીને 250થી વધુ નકલી જન્મ પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓએ આ પ્રમાણપત્રોનો ઉપયોગ આધાર કાર્ડ પર નામ અને જન્મ તારીખ બદલવા માટે કર્યો હતો. આ માટે, જાહેર સેવા કેન્દ્રો અને આધાર કેન્દ્રો દ્વારા લોકોને જોડવામાં આવ્યા હતા. તેઓએ દરેક પ્રમાણપત્ર માટે 500થી 1000 રૂપિયા વસૂલ્યા હતા.

Health-Department-Fraud1

પૂછપરછ દરમિયાન, આરોપીઓએ આશરે 250 નકલી પ્રમાણપત્રો બનાવીને 35,000 રૂપિયા કમાવવાની કબૂલાત કરી હતી. પોલીસે મુખ્ય આરોપી અર્જુન બૈરાગી સહિત 6 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી મોબાઇલ ફોન અને આરોગ્ય કેન્દ્રનું કમ્પ્યુટર પણ જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, નકલી દસ્તાવેજો બનાવવા અથવા મેળવવા એ ગુનો છે અને તેથી, હંમેશા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરો.

બુધવારે પોલીસ કંટ્રોલ રૂમમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં ASP KL બંજરેએ જણાવ્યું હતું કે, 6 એપ્રિલના રોજ, જીરાપુરના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના BMO ડૉ. સુનિલ ચૌરસિયાની ફરિયાદ પર, આરોપીઓ વિરુદ્ધ માચલપુર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 318(4), 338 અને 336(3) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!