
દિલ્હી લિકર પોલિસી (આબકારી નીતિ) કેસમાં પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઈકોર્ટમાં એક નવું સોગંદનામું (Additional Affidavit) દાખલ કરીને ન્યાયિક પ્રક્રિયામાં નવો વળાંક લાવ્યો છે. કેજરીવાલે જસ્ટિસ સ્વર્ણકાંત શર્માને આ કેસની સુનાવણીમાંથી હટી જવા (Recusal) માટે ભારપૂર્વક વિનંતી કરી છે.
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કથિત લિકર પોલિસી કૌભાંડમાં CBI દ્વારા નોંધાયેલા કેસની સુનાવણી કરી રહેલા જસ્ટિસ સ્વર્ણકાંત શર્મા સામે વાંધો ઉઠાવ્યો છે. કેજરીવાલે દલીલ કરી છે કે જસ્ટિસ શર્માના સંતાનો કેન્દ્ર સરકારની પેનલમાં વકીલ તરીકે હોવાથી ‘હિતોનો સંઘર્ષ’ (Conflict of Interest) ઉભો થાય છે.

12.jpg?w=1110&ssl=1)
સોગંદનામામાં કરાયેલા મુખ્ય ખુલાસાઓ
અરવિંદ કેજરીવાલે પોતાના સોગંદનામામાં RTI (માહિતી અધિકાર) દ્વારા મેળવેલી વિગતો રજૂ કરતા ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. કેજરીવાલના જણાવ્યા મુજબ, જસ્ટિસ સ્વર્ણકાંત શર્માના પુત્રી દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારની પેનલ વકીલ છે અને પુત્ર સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકાર માટે પેનલ કાઉન્સેલ તરીકે કાર્યરત છે. તેમણે RTI ના આંકડા ટાંકીને જણાવ્યું છે કે જસ્ટિસ શર્માના પુત્રને 2023 થી 2025 દરમિયાન કુલ 5,904 કેસ ફાળવવામાં આવ્યા છે.
કેજરીવાલે દલીલ કરી છે કે આ કેસોની ફાળવણી સોલિસિટર જનરલ તુષાર મહેતાની ઓફિસ દ્વારા કરવામાં આવે છે, જેઓ આ જ કેસમાં CBI તરફથી દલીલો કરી રહ્યા છે. આ સંબંધ ‘જીવંત અને વ્યાવસાયિક’ હોવાથી નિષ્પક્ષતા પર સવાલ ઉઠે છે.
સોગંદનામામાં જણાવાયું છે કે જ્યારે જજના નજીકના પરિવારના સભ્યો તે જ પક્ષકાર (કેન્દ્ર સરકાર/CBI) પાસેથી આર્થિક અને વ્યાવસાયિક લાભ મેળવતા હોય જે પક્ષકાર કેજરીવાલ વિરુદ્ધ લડી રહ્યા છે, ત્યારે ન્યાયિક પૂર્વગ્રહની આશંકા રહે છે. કેજરીવાલે સ્પષ્ટ કર્યું કે તેઓ જજની પ્રામાણિકતા પર સવાલ નથી ઉઠાવી રહ્યા, પરંતુ સામાન્ય નાગરિકના મનમાં ન્યાયિક પ્રક્રિયાની નિષ્પક્ષતા જળવાઈ રહે તે માટે જસ્ટિસ શર્માએ આ કેસમાંથી હટી જવું જોઈએ.

CBI અને કેન્દ્ર સરકારનો વિરોધ
CBI તરફથી હાજર રહેલા વકીલોએ આ સોગંદનામાનો સખત વિરોધ કર્યો હતો. તેમણે આ પગલાને ‘તિરસ્કારજનક’ અને કોર્ટ પર દબાણ લાવવાનો પ્રયાસ ગણાવ્યો છે. કેન્દ્ર સરકારે દલીલ કરી હતી કે આ પ્રકારના વ્યક્તિગત આક્ષેપો ન્યાયતંત્રની ગરિમાને ઠેસ પહોંચાડે છે.
જસ્ટિસ સ્વર્ણકાંત શર્માએ આ મામલે તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. હવે જોવાનું એ રહેશે કે શું હાઈકોર્ટ આ વિનંતીને સ્વીકારે છે કે કેજરીવાલની અરજી ફગાવી દેવામાં આવે છે.
તમને જણાવી દઈએ કે ‘Recusal’ એ એવી પ્રક્રિયા છે જેમાં કોઈ જજ પોતાને કેસમાંથી અલગ કરી દે છે જો તેમને લાગે કે તેમનો કોઈ અંગત સંબંધ અથવા હિત કેસના પક્ષકાર સાથે જોડાયેલું છે.

આ કેસમાં અગાઉ 27 ફેબ્રુઆરીએ ટ્રાયલ કોર્ટે કેજરીવાલ, મનીષ સિસોદિયા સહિત 21 લોકોને છૂટા કર્યા હતા, કારણ કે CBI પાસે પ્રાથમિક પુરાવા પણ નહોતા. જોકે CBIએ હાઈકોર્ટમાં આ નિર્ણયને પડકાર્યો છે. 9 માર્ચે હાઈકોર્ટએ CBI અધિકારી વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગેના ટ્રાયલ કોર્ટના આદેશ પર સ્ટે આપ્યો હતો અને EDની કાર્યવાહી પણ રોકી હતી.
13 માર્ચે ચીફ જસ્ટિસ ડી.કે.ઉપાધ્યાયે કેસને બીજા જજને સોંપવાની અરજી ફગાવી દીધી હતી, જેના પછી કેજરીવાલ અને અન્યોએ recusal અરજી દાખલ કરી. તાજેતરમાં ચાર કલાકથી વધુ ચાલેલી સુનાવણી બાદ ન્યાયમૂર્તિ શર્માએ આ અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ