
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો માહોલ જામ્યો છે. આજે ફોર્મ ખેચવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સુરતના વોર્ડ નંબર-16ના આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર અને પૂર્વ કોર્પોરેટર પાયલ સાકરિયાએ સત્તાધારી પક્ષ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પાયલ સાકરિયાએ જણાવ્યું હતું કે, ‘2021થી અત્યાર સુધી અમે લોકો વચ્ચે રહીને સેવા કરી છે. સુરત મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકેની જવાબદારી નિભાવીને અમે વિસ્તારમાં કરોડોના કામો કરાવ્યા છે. જે કામો ભાજપ શાસનમાં 30 વર્ષમાં નથી થયા, તે અમે વિપક્ષમાં રહીને 5 વર્ષમાં કરી બતાવ્યા છે. આ વિકાસ જોઈને હવે ભાજપના પેટમાં તેલ રેડાયું છે.
તેમણે કહ્યું કે, ‘આજે 2026 એટલે કે 5 વર્ષ પૂર્ણ થયા બાદ ફરી વખત સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આ ચૂંટણીમાં વોર્ડ નંબર-16માંથી મેં ઉમેદવારી કરી છે. લોકોનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે, પરંતુ ભાજપના પેટમાં તેલ રેડાય છે કે જે પ્રમાણે અમારા કામ વિસ્તારની અંદર બોલે છે કે 380 કરોડના કામ અમે 5 વર્ષ દરમિયાન કરાવી શક્યા છીએ, જે કામ 30 વર્ષની સત્તામાં પણ એમના માણસો કે એમના નેતાઓ નથી કરાવી શક્યા એ કામ અમે વિપક્ષમાં રહીને કરાવી શક્યા છીએ. જેનો પેટમાં દુઃખાવો મંત્રીજીને થઈ રહ્યો છે જેના કારણે અમારા AAPના કાર્યકર્તાઓને એન-કેન પ્રકારે લલચાવવા માટે એમના માણસોને મોકલી રહ્યા છે કે ભાજપમાં આવી જાવ, ભાજપમાં આવી જાઓ.

આટલાથી શાંતિ નથી થતી પણ જે જગ્યાઓ ઉપર લોકો અમને કાર્યાલય માટેની જગ્યા આપી રહ્યા છે કે આ કાર્યાલય આ જગ્યા પર તમે કરો, તો એમને પણ એમના માણસો ધમકાવવામાં આવે છે કે જો કાર્યાલય માટે AAPવાળાને જગ્યા આપી તો તમારી જગ્યા તોડી નાખીશું, તમારી દુકાન તોડી નાખીશું, તમારું બાંધકામ નહીં થવા દઈએ, તમારા ધંધા-રોજગાર ભાંગી નાખીશું.
પાયક સાકરીયાએ કહ્યું કે, ‘તો તમે આ જે ગુંડાગર્દી જે લોકશાહીની જે હત્યા કરી રહ્યા છો, ગુંડાગર્દી કરી રહ્યા છો, લોકોને ધમકાવી રહ્યા છો તો એમનાથી સાહેબ તમને મત નહીં મળે. અમે લોકોની વચ્ચે સતત રહ્યા છીએ, લોકોના આશીર્વાદ અમને સતત મળતા રહ્યા છે અને આવનારી ચૂંટણીમાં એ તમામ લોકો તમને જવાબ આપશે, તમારી ગુંડાગર્દીને જવાબ આપશે, તમારી આ તાનાશાહીને જવાબ આપશે.’
તેમણે કહ્યું કે, ‘અમે ખૂબ ગર્વ સાથે કહીએ છીએ કે અમે જ્યારે 2021માં લોકોની વચ્ચે આવ્યા, સંકલ્પ લીધો હતો કે અમે રાજનીતિ બદલવા માટે આવ્યા છીએ, સિસ્ટમ બદલવા માટે આવ્યા છીએ. આજે આપણો ભારત દેશ યુવાનોનો દેશ છે અને આજે ઘણી મોટી સંખ્યામાં યુવાનો આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રહ્યા છે અને પરિવર્તનની રાજનીતિમાં જ્યારે અમે આગળ વધ્યા છીએ ત્યારે છેલ્લે પાંચ વર્ષની અંદર અમે કામની રાજનીતિ કરીશું એવું અમે કીધું હતું. આજે ભાજપના કાર્યકર્તાઓ, ભાજપના મોટા મોટા મંત્રીઓ અને નેતાઓએ વિસ્તારની અંદર ફરવું પડે છે અને કહેવું પડે છે કે વરાછામાં અમે આ કામ કરાવ્યા, વરાછાની અંદર આ શાળા બનાવી, વરાછાની અંદર આ હોસ્પિટલ બનાવી.’

એટલા માટે કહેવું પડે છે કારણ કે વરાછાની અંદર AAPના કોર્પોરેટરો હતા. ગુજરાતની અંદર અલગ ઘણી બધી મહાનગરપાલિકાઓ છે, કેમ કોઈ જગ્યા પર શાળાઓ બાબતે વાત નથી થતી? કેમ કોઈ જગ્યા પર હોસ્પિટલો બાબતે વાત નથી થતી? કેમ કોઈ જગ્યા પર રોડ-રસ્તા બાબતે વાત નથી થતી?
તેમણે વધુમાં કહ્યું કે, ‘હું ખૂબ ગર્વ સાથે એટલા માટે કહું છું કે વરાછાના લોકો અને કતારગામના લોકોએ અમને જે સપોર્ટ અને અમારા ઉપર જે વિશ્વાસ મૂકીને આશીર્વાદ આપ્યા હતા, 5 વર્ષમાં અમે તમામ કામો ઉપર સફળ નીવડ્યા છીએ. આજે વરાછાની અંદર તમામ રોડ-રસ્તા સારા છે, હોસ્પિટલની સારી સુવિધાઓ અમે કરાવી શક્યા છીએ, શિક્ષણ માટે લાખો-કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને અમે સારામાં સારી શાળાઓ ડેવલોપ કરી શક્યા છીએ. ત્યારે આ મંત્રીઓને પોતે કોર્પોરેશનની ચૂંટણીમાં ઈન્ટરફિયર કરવું પડે છે અને કહેવું પડે છે કે આમ આદમી પાર્ટીવાળાને કાર્યાલય નહીં આપતા. આમ આદમી પાર્ટીમાં જે ઉમેદવારી કરી રહ્યા છે એમને ફોર્મ પાછું ખેંચાવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે, એમના માણસો આવી રહ્યા છે, આગળ-પાછળ દોડી રહ્યા છે કે તમે ફોર્મ પાછું ખેંચી લો.’
કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે ‘તમારી ટીમ સાથે ભાજપમાં જોડાઈ જાવ, અમે આ કરીશું, તે કરીશું… તમે ભાવ બોલો, પૈસા બોલો. શું તમે પૈસાથી ચૂંટણી લડવા આવ્યા છો? 30 વર્ષથી તમને લોકોએ મત આપ્યા છે તો કામ કરીને બતાવોને? તો તમારે પૈસા વહેંચવાની કે ખરીદવાની જરૂર ન પડતી.

પાયલે વધુમાં કહ્યું કે, ‘હું એટલું જ કહેવા માંગુ છું કે તમારું પૈસાનું ઘમંડ અને સત્તાનું ઘમંડ વોર્ડ નંબર 16ના લોકો તોડીને બતાવશે. 2021માં કામની રાજનીતિ પર વિશ્વાસ મૂકીને લોકોએ મત આપ્યો હતો અને પાંચ વર્ષ અમે જે કામગીરી કરી છે એ જોઈને લોકો અમને મત આપવાના છે. તમે કાર્યાલય માટે જગ્યા નહીં આપવા દો, લોકોને ધમકાવશો પણ અમે લોકોના ઘર-ઘર સુધી છીએ. લોકો અમને આશીર્વાદ આપે છે, તમે એમાં કઈ રીતના અટકાવી શકશો? આ લોકશાહી ચાલી રહી છે સાહેબ, ક્યારે તમારી સત્તાનો પાયો ડગમગી જશે અને ક્યારે તમે ખુરશીની નીચે આવી જશો એ ખબર નહીં પડે. એટલે બસ એટલી જ વિનંતી છે કે કર્મ સારા કરો, લોકોના કામ કરો એટલે તમારે છે ને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને ખરીદવાની જરૂર નહીં પડે અને કાર્યાલયો માટે લોકોને ધમકાવવાની જરૂર નહીં પડે.
બીજી તરફ કોંગ્રેસે પોતાના ઉમેદવારોને કોઈ ‘ખેલ’ કે પક્ષાંતરનો ભોગ બનતા અટકાવવા માટે ગુપ્ત સ્થળે ખસેડવાની વ્યૂહરચના અપનાવી છે. એવામાં અમદાવાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસને વધુ એક ફટકો પડ્યો છે. સરખેજ વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર વારિસ સૈયદે ઉમેદવારી પરત ખેંચી છે. જ્યારે વડોદરામાં વોર્ડ 11ના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ પ્રજાપતિએ ફોર્મ પરત ખેંચ્યું છે.
ફોર્મ પરત ખેંચવાનો આજે છેલ્લો દિવસ
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતની 26 એપ્રિલે ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ઉમેદવારી પત્રકોની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થતાં જ હવે આજે 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે. આજે બપોર સુધીમાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થશે.
પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ