
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘામો આજે શાંત થઈ જવાના છે. અને પછી 26 એપ્રિલે મતદાન થશે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે કેટલાક એવા વિસ્તારોની ચર્ચા થઈ રહી છે, જ્યાં વિકાસ હજી સુધી કોસો દૂર છે. અહીના લોકો વિકાસ માટે વલખાં મારી રહ્યા છે. આપણે અહી આજે એક એવા જ ગામની ચર્ચા કરવા જઇ રહ્યા છીએ, જ્યાં ગ્રામજનો વિકાસથી વંચિત છે. આપણે અહીં વાત કરવાના છીએ છોટાઉદેપુરના એક ગામની.
ન્યૂઝ18ના અહેવાલ મુજબ, છોટાઉદેપુરના નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ પીપલવાણી ગામમાં આઝાદીના દાયકાઓ બાદ પણ વિકાસ કોસો દૂર છે. એક તરફ સમગ્ર રાજ્યમાં ‘રોડ નહીં તો વોટ નહીં’ના સૂત્ર સાથે ગામો ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યા છે, ત્યારે પીપલવાણી ગામના લોકો આજે પણ આશાની એક કિરણ સાથે મતદાન કરે છે, પરંતુ તેમને અંતે તો નિરાશા જ મળે છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી જવાની છે પરંતુ આ દરમિયાન પણ આ ગામમાં કોઈ નેતા પ્રચાર માટે આવ્યા નથી. ગ્રામજનો કહે છે કે, અમે અત્યાર સુધી ક્યારેય કોઈ નેતાને અમારા ગામમાં જોયા નથી. આ ગામ સુધી કોઈપણ પક્ષના નેતા પહોંચ્યા નથી, અને ન તો કોઈ અધિકારી અહીં જાય છે. લોકો વર્ષોથી મતદાન કરે છે, માત્ર એ આશા સાથે કે ક્યારેક તો કોઈ તેમની સમસ્યા સાંભળશે.
ગ્રામજનો પોતાની વ્યથા જણાવતા કહે છે કે, પીપલવાણી ગામ સુધી પહોંચવું એ મોટો પડકાર જેવું છે. ગામથી મુખ્ય માર્ગ સુધીનું અંતર 3 કિલોમીટર છે. જો તમારે રસ્તા પર જવું હોય તો તમારે 3 કિમી ચાલીને જવું પડે. આ ત્રણ કિલોમીટર ડુંગરના ઢોળાવ અને કાચા રસ્તાઓ પરથી પસાર થવું પડે છે. બે કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં જવા માટે નાના બાળકો રોજ પગપાળા જવા મજબૂર છે.

કોઈ વ્યક્તિ બીમાર પડે અથવા સગર્ભા મહિલાને હોસ્પિટલ લઈ જવાની જરૂર પડે, તો ઝોલામાં ઊંચકીને 3 કિમીનું અંતર કાપવું પડે છે. આટલું જ નહીં જો 108 એમ્બ્યુલન્સમાં પણ દર્દીને લઈ જવા હોય તો તેમને 3 કિમી તો ઝોળીમાં લઈ જવા પડે છે. આ સ્થિતિ ગામના લોકો માટે રોજની બની ગઈ છે.
ગામના લોકો વર્ષોથી તંત્ર અને નેતાઓ પાસે રસ્તાની માંગણી કરી રહ્યા છે. અનેક રજૂઆતો છતા આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. લોકોનું કહેવું છે કે તેમના ગામ સુધી પહોંચવું મુશ્કેલ હોવાથી કોઈ નેતા કે અધિકારી અહીં આવવા તૈયાર નથી. પરિણામે પીપલવાણી ગામના લોકો આજે પણ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે.

એક તરફ વિકાસના મોટા મોટા દાવા કરવામાં આવે છે તો બીજી તરફ પીપલવાણી જેવા ગામોની હકીકત કંઈક અલગ જ છે. સવાલ માત્ર એ છે કે શું આ વખતની ચૂંટણીમાં આ ગામના લોકોની આશા પૂર્ણ થશે કે ફરી એકવાર વાયદાઓ જ મળશે? કેમ કે અહીંના લોકો આજે પણ ‘વિકાસ’ની રાહ જોઈ રહ્યા છે. ગામલોકો પાકા રસ્તાની અને વિકાસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.