
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને શુક્રવારે પંજાબ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો, ત્યારબાદમાં એક ખાસ સત્ર દરમિયાન સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. જોકે આમ આદમી પાર્ટી (AAP) 117 બેઠકોવાળા ગૃહમાં 94 બેઠકો છે અને ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે, તેમ છતા તેમણે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય લીધો.
વિપક્ષે ક્યારેય આ માંગણી કરી નહોતી, પરંતુ કેટલાક ધારાસભ્યોના પક્ષ બદલવાની અફવાઓ અને દાવાઓને ધ્યાનમાં રાખીને AAP સરકારે આજે, 1 મેના રોજ વિધાનસભામાં વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો નિર્ણય લીધો હતો. વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, ‘એમાં કોઈ શંકા નથી કે અફવાઓ અને દાવાઓ ફેલાઈ રહ્યા છે કે AAP એકજૂથ નથી અથવા કેટલાક ધારાસભ્યો પક્ષ બદલી શકે છે. એટલે, આ બધા દાવાઓને રદિયો આપવા માટે અમે આ વિશ્વાસ પ્રસ્તાવ લાવવાનો નિર્ણય લીધો છે.’

ત્યારબાદ ઘણા કેબિનેટ મંત્રીઓ અને ધારાસભ્યોએ વાત કહી એને તેમણે સર્વાનુમતે બોલતા ખોટા દાવા કરવા બદલ વિપક્ષની ટીકા કરી. જોકે, જ્યારે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે, શિરોમણી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના નેતાઓ ગૃહમાં હાજર નહોતા, અને થોડા સમય પછી સર્વાનુમતે પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો. AAPના 94 ધારાસભ્યોમાંથી 88 ધારાસભ્યો ગૃહમાં હાજર હતા.
વિશ્વાસ પ્રસ્તાવ સર્વાનુમતે પસાર થયા પછી પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, ‘AAP ધારાસભ્યો વિશે કેટલીક અફવાઓ ફેલાઈ રહી હતી. દાવા કરવામાં આવી રહ્યા હતા કે 65 ધારાસભ્યો અન્ય લોકોના સંપર્કમાં હતા. આજે, આ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો અને સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો. મારામાં વિશ્વાસ રાખવા બદલ હું બધા ધારાસભ્યો અને મંત્રીઓનો આભાર માનું છું.’
તેમણે વધુમાં જણાવ્યું કે, 2027માં પણ લોકોનો વિશ્વાસ એટલો જ રહેશે. કોંગ્રેસ બધી અફવાઓ ફેલાવી રહી હતી, અને આજે વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો ત્યારે તેઓ ગૃહમાં હાજર નહોતા. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ભારતના રાષ્ટ્રપતિને વિશ્વાસ પ્રસ્તાવની નકલ સુપરત કરશે. ભગવંત માનની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત 5 મેના રોજ થવાની છે.
AAP શા માટે વિશ્વાસ પ્રસ્તાવ લાવી?
રાજ્યસભાના 7 સભ્યો AAP છોડીને ભાજપમાં જોડાયા બાદ, પાર્ટીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો. બધાની નજર પંજાબમાં AAP એકમ પર હતી. સાંસદ રાઘવ ચઢ્ઢાએ દાવો કર્યો હતો કે તેઓ AAPના કેટલાક ધારાસભ્યો સાથે સંપર્કમાં છે, અને એવું લાગ્યું કે AAP માટે હવે સૌથી મોટો પડકાર તેના ધારાસભ્યોને એકજૂથ રાખવાનો છે. એટલે, AAPએ તેની તાકાત અને એકતા દર્શાવવા માટે આ વિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો.
વિપક્ષના નેતા પ્રતાપ સિંહ બાજવાએ કહ્યું કે, ‘આ બધું માત્ર એક નાટક છે. તેઓ મજૂર દિવસ માટે બોલાવવામાં આવેલા ખાસ સત્રની આડમાં આ બધું કરવા માંગતા હતા. તેઓ આ વિશ્વાસ પ્રસ્તાવ લાવ્યા છે કારણ કે તેમને લાગે છે કે લોકોને હવે તેમનામાં કોઈ વિશ્વાસ નથી.’

પંજાબ ભાજપના ધારાસભ્ય અને કાર્યકારી પ્રમુખ અશ્વની શર્માએ પણ કહ્યું કે, ‘તેઓ પહેલેથી જ મજબૂત સ્થિતિમાં છે, તો પછી આ વિશ્વાસ પ્રસ્તાવની શું જરૂર હતી?’
નિષ્ણાતો શું કહે છે?
આજતકના અહેવાલ મુજબ, ગુરુ નાનક યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન વિભાગના નિવૃત્ત પ્રોફેસર કુલદીપ સિંહે જણાવ્યું હતું કે, ‘ગૃહને ફરીથી બોલાવવાની રણનીતિનો હેતુ રાજ્યસભાના 10માંથી 7 સાંસદોના જવાની અસરને ઓછી કરવાનો છે. ઉપરથી તેમણે તેને ‘લેબર ડે’ (કાર્ય દિવસ) નામ આપ્યું છે. કોઈપણ ઠરાવ પસાર થવો એ સરકારમાં વિશ્વાસની નિશાની માનવામાં આવે છે, જે સાબિત કરે છે કે તેમની પાસે જરૂરી સંખ્યાબળ છે. વૈકલ્પિક રીતે, કોઈપણ બિલ પસાર થવું એ બહુમતીનો સંકેત માનવામાં આવે છે.’
પ્રોફેસર કુલદીપ વધુમાં કહે છે કે, ‘તેનો ઉદ્દેશ રાજ્યસભાના સાંસદોના જવાથીની પડચી અસરને બેઅસર અથવા દૂર કરવાનો છે. જો કોઈ નવો રાજકીય ઘટનાક્રમ ઉભરી આવે છે, તો સરકારને ફરીથી બેઠક બોલાવવાનું કહેવામાં આવી શકે છે. એટલે, આજે તમે બહુમતીમાં છો, પરંતુ આવતીકાલે પરિસ્થિતિ બદલાઈ શકે છે. સામાન્ય રીતે આ માટે 6 મહિનાની સમયમર્યાદા હોય છે, પરંતુ ધારો કે પક્ષમાં વિભાજન થાય છે અને ધારાસભ્ય પક્ષ રાજ્યપાલનો સંપર્ક કરે છે, તો પરિસ્થિતિ બદલાઈ શકે છે.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ એક કામચલાઉ રાહત છે. સરકાર પોતાનો સંપૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરી શકશે કે નહીં તે સંપૂર્ણપણે તે સમયના સંજોગો પર નિર્ભર રહેશે. 6 મહિનાની પરંપરા એક અલગ વાત છે, પરંતુ રાજ્યપાલની બંધારણીય જવાબદારીઓથી વાકેફ રહેવું જોઈએ. જો સરકાર પોતાની બહુમતી ગુમાવે છે, તો તેનો અર્થ એ થાય છે કે તેને હવે સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી. ગૃહની વર્તમાન સ્થિતિને જોતા રાજ્યપાલ પાસે અધિકાર છે કે, તેઓ મુખ્યમંત્રીને ગૃહમાં બહુમતી સાબિત કરવા કહી શકે છે.’