
મધ્ય પ્રદેશના જબલપુરમાં જાહેર આરોગ્યસંભાળ પ્રણાલીની કથળતી સ્થિતિનું બીજું એક સ્પષ્ટ ઉદાહરણ પ્રકાશમાં આવ્યું છે. આ ઘટના બાળકોને આપવામાં આવતા પેરાસીટામોલ સીરપ સાથે સંબંધિત છે. સીરપના સમગ્ર બેચના નમૂનાઓ પ્રયોગશાળા પરીક્ષણમાં ફેઇલ થયા છે. જેને કારણે, તેના ઉપયોગ અને વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. જો કે, આ પ્રતિબંધ અર્થહીન બની ગયો છે. આનું કારણ એ છે કે એક વર્ષ અગાઉ સરકારી હોસ્પિટલોમાં સીરપનો સંપૂર્ણ સ્ટોક ખપાવી દેવામાં આવ્યો હતો. આ પરિસ્થિતિ એટલા માટે ઊભી થઈ કારણ કે પરીક્ષણ રિપોર્ટ આવવામાં એક વર્ષનો સમય લાગ્યો.
ઇન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, ‘પેરાસીટામોલ પીડિયાટ્રિક ઓરલ સસ્પેન્શન IP 125’ મિલિગ્રામની ઉત્પાદક કંપની ઇન્દોરમાં સ્થિત મેસર્સ જેનિથ ડ્રગ્સ લિમિટેડ છે. આ કંપનીએ એક વર્ષ પહેલા જબલપુરની જિલ્લા હોસ્પિટલોને પેરાસીટામોલ સીરપ સપ્લાય કરી હતી. તેનો બેચ નંબર 41507 હતો.

રિપોર્ટ મુજબ, જબલપુરના મુખ્ય તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. નવીન કોઠારીએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે સરકારી હોસ્પિટલોમાં દવાઓ માર્ગદર્શિકા અને તપાસ બાદ જ સપ્લાઈ થાય છે, પરંતુ સાવચેતીના પગલા તરીકે પુરવઠો પહોંચાડ્યા પછી નમૂનાઓ ફરીથી પરીક્ષણ માટે મોકલવામાં આવે છે. આ પ્રોટોકોલ અનુસાર ‘પેરાસીટામોલ પીડિયાટ્રિક ઓરલ સસ્પેન્શન IP’ના નમૂનાને વિશ્લેષણ માટે ભોપાલની એક પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યો હતો. રિપોર્ટ આવવામાં એક વર્ષ લાગ્યો, જેમાં પેરાસીટામોલના નમૂના ગુણવત્તા પરીક્ષણમાં ફેઇલ થઈ ગયા.
નમૂનાની ફેઇલ થયા બાદ તમામ હોસ્પિટલો, પેટા-આરોગ્ય કેન્દ્રો અને સંજીવની ક્લિનિક્સમાં પેરાસીટામોલ પીડિયાટ્રિક ઓરલ સસ્પેન્શન IPનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે જ, આ સીરપના હાલના સ્ટોકનું નિરીક્ષણ કરવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર, પેરાસીટામોલ સીરપ નવેમ્બર 2024માં બનાવવામાં આવ્યું હતું, અને તેની એક્સપાયરી ડેટ ઓક્ટોબર 2026 છે.
NDTVના અહેવાલ મુજબ, વર્ષ 2025 દરમિયાન જબલપુર જિલ્લાની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં બાળકોને પેરાસીટામોલ પીડિયાટ્રિક ઓરલ સસ્પેન્શનલની આશરે 16,000 બોટલનું મફત વિતરણ કરવામાં આવ્યું હતું. તાવથી પીડાતા બાળકોની સારવાર માટે તેનો ઉપયોગ નિયમિત રીતે કરવામાં આવી રહ્યો હતો. જાન્યુઆરી 2025 સુધીમાં આખો સ્ટોક ખતમ થઈ ગયો હતો. ત્યારબાદ આ બેચમાંથી કોઈ દવા સ્ટોરેજમાં ન હતી.
‘પેરાસીટામોલ પીડિયાટ્રિક ઓરલ સસ્પેન્શન’નો ટેસ્ટ રિપોર્ટ એપ્રિલ 2026માં પ્રાપ્ત થયો હતો, જ્યારેઆ બેચનો સંપૂર્ણ સ્ટોક જાન્યુઆરી 2025માં પહેલાથી જ ખાલી થઈ ગયો હતો. એટલે કે રિપોર્ટ મળ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી ફક્ત કાગળકામથી વધુ કંઈ નથી; દવા, તો દર્દીઓ સુધી પહોંચી ચૂકી હતી.