fbpx

રાજ્યપાલે વિજયને બે વખત પાછા મોકલ્યા; પ્રકાશ રાજે કહ્યું- રાજ્યપાલ તેમની સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે

Spread the love

રાજ્યપાલે વિજયને બે વખત પાછા મોકલ્યા; પ્રકાશ રાજે કહ્યું- રાજ્યપાલ તેમની સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે

તામિલનાડુમાં સુપરસ્ટાર વિજયની જંગી જીત પછી, જનતા તેમને CM તરીકે શપથ લેતા જોવાની રાહ જોઈ રહી છે. જોકે, તમિલનાડુની 233માંથી સૌથી વધુ 108 બેઠકો જીતવા છતાં, વિજય CM પદથી દૂર છે. તમિલનાડુમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે 118 બેઠકોની જરૂર છે. બુધવારે વિજયે પોતાનો દાવો રજૂ કર્યો ત્યારે, રાજ્યપાલે અપૂરતી બેઠકોનું કારણ આપીને તેમને પાછા મોકલી આપ્યા હતા. ગુરુવારે પણ તેમને ફરીથી પાછા મોકલી આપવામાં આવ્યા. તમિલનાડુમાં રાજકીય જોડાણ માટે વાટાઘાટો ખુબ ઝડપી બની રહી છે.

Tamil-Nadu-TVK-Majority1

એવા અહેવાલો પણ હતા કે, બે મુખ્ય પક્ષો, DMK અને AIADMK, જેને વિજયે તમિલનાડુમાં હરાવ્યા હતા, તેઓ સાથે મળીને સરકાર બનાવવાના વિકલ્પ પર વિચાર કરી રહ્યા હતા. જો કે, આવું થવાની શક્યતા હવે લગભગ અદ્રશ્ય થઈ ગઈ છે. જો કે, વિજયના શપથ ગ્રહણમાં વિલંબને કારણે કમલ હાસન અને પ્રકાશ રાજ જેવી અગ્રણી હસ્તીઓ તમિલનાડુના રાજ્યપાલની ભૂમિકા પર સવાલ ઉઠાવી રહી છે.

દક્ષિણ ભારતના અગ્રણી અભિનેતાઓમાંના એક પ્રકાશ રાજે સોશિયલ મીડિયા પોસ્ટમાં વિજય સાથે રમાઈ રહેલા રાજકારણ અંગે તમિલનાડુના રાજ્યપાલને પ્રશ્ન કર્યો. તેમણે લખ્યું, ‘આપણા મતભેદો હોઈ શકે છે, પરંતુ જનાદેશ વિજય પાસે છે. તેમને વિધાનસભામાં ઉભા રહીને પોતાનો દાવો રજૂ કરવાનો અધિકાર છે.’

Kamal-Haasan-Prakash-Raj

મીડિયા સૂત્રો સાથે વાત કરતા પ્રકાશે કહ્યું, ‘રાજ્યપાલ તેમની સાથે ખરાબ વર્તન કરી રહ્યા છે, તેમણે તેમને સરકાર બનાવવા દેવી જોઈએ. સચ્ચાઈનો નિર્ણય રાજ્યપાલના નિવાસસ્થાને નક્કી કરી શકાતો, તે વિધાનસભામાં થાય છે. તેઓ આવું કેમ કરી રહ્યા છે? તેઓ આ સમયે લાંબી રજા પર કેવી રીતે જઈ શકે છે? બીજા કોઈએ સરકાર બનાવવાનો દાવો કર્યો નથી. વિજય પાસે બહુમતીના આંકડા છે. તેઓ કહી રહ્યા છે કે, તેઓ બહુમતી સાબિત કરી શકે છે. તેમને વિધાનસભામાં તક આપવી જોઈએ, પરંતુ તેમને તે તક આપવામાં આવી રહી નથી. જનાદેશ હોવા છતાં તેમને તેમના લોકશાહી અધિકારથી કેમ વંચિત રાખવામાં આવી રહ્યા છે?’

તમિલ સિનેમાના આઇકોન કમલ હાસને પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં વિજય સાથે રમાઈ રહેલા રાજકારણ પર પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો, જેણે વિજય જેવા કેસ માટે એક ઉદાહરણ સ્થાપિત કર્યું છે. કમલે લખ્યું છે કે, ‘108 બેઠકો જીતનારા વિજયને સરકાર બનાવવા માટે આમંત્રણ ન આપવું એ તમિલનાડુના લોકોના જનાદેશનું અપમાન છે.’

Tamil-Nadu-TVK-Majority3

તેમણે આગળ કહ્યું, ‘SR બોમ્મઈ કેસમાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું હતું કે, બહુમતી વિધાનસભામાં સાબિત થાય છે, રાજભવનમાં નહીં. હું પક્ષની રાજનીતિ વિશે વાત નથી કરી રહ્યો, પરંતુ વ્યક્તિગત ભારતીય નાગરિક માટે બનાવેલી નીતિઓ વિશે વાત કરી રહ્યો છું. તમિલનાડુના લોકોના નિર્ણયનું સન્માન કરવું જોઈએ.’

વિજયની પાર્ટી, TVK, તમિલનાડુમાં 108 બેઠકો જીતી છે. આમાં એવી બે બેઠકોનો સમાવેશ થાય છે જ્યાં વિજય જીત્યા હતા. તેમણે એક બેઠક છોડવી પડશે, તેથી તેમની પાર્ટી પાસે સરકાર બનાવવા માટે 107 બેઠકો છે. કોંગ્રેસે વિજયને તેની 5 બેઠકો સાથે ટેકો આપ્યો છે, જેની સાથે તેમની 112 બેઠકો થઇ છે. બાકીની 6 બેઠકો માટે તમિલનાડુમાં રાજકીય સમીકરણો પર કામ ચાલી રહ્યું છે. આ દરમિયાન, વિજયને ચૂંટનારા લોકો અને અગ્રણી હસ્તીઓએ સમગ્ર મામલા પર પ્રશ્નો ઉઠાવવાનું શરૂ કરી દીધું છે. બધાની નજર હવે વિજયને સરકાર બનાવવા માટે રાજ્યપાલ તરફથી ક્યારે લીલીઝંડી મળશે તેના પર ટકેલી છે.

Leave a Reply

error: Content is protected !!