
થાઇલેન્ડમાં ચામાચીડિયામાં એક નવો કોરોનાવાયરસ મળી આવ્યો છે, જે માનવોને ચેપ લગાવી શકે છે. ટોક્યો યુનિવર્સિટીના વાયરોલોજિસ્ટ્સની એક ટીમે આ શોધ કરી છે. આ વાયરસ SARS-CoV-2 (COVID-19 માટે જવાબદાર વાયરસ) જેવો જ છે. જો કે, નિષ્ણાતોનું કહેવું છે કે તે તાત્કાલિક કોઈ મોટી મહામારી ફેલાવે તેવી શક્યતા નથી, પરંતુ તે ભવિષ્યમાં જોખમ ઉભું કરી શકે છે. આ શોધથી વૈજ્ઞાનિકોને વાયરસ પર દેખરેખ રાખવા માટે ચેતવણી મળી છે.
ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર કેઇ સાતોની આગેવાની હેઠળની ટીમે થાઇલેન્ડના ચાચોએંગસાઓ પ્રાંતમાં ઘોડાની નાળ જેવા કાનવાળા ચામાચીડિયામાં આ નવો વાયરસ જોવા મળ્યો છે. આ વાયરસ ક્લેડ બી નામના ગ્રુપનો છે. આ SARS-CoV-2 સાથે સંબંધિત કોરોનાવાયરસનો એક નવો સમૂહ છે. સંશોધકોએ ચામાચીડિયામાંથી નમૂનાઓ એકત્રિત કરીને તેમને પ્રયોગશાળામાં પરીક્ષણ કર્યા. આ અભ્યાસ 6 મે, 2026ના રોજ પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક જર્નલ ‘Cell’માં પ્રકાશિત થયો હતો.
આનુવંશિક રીતે આ વાયરસ COVID-19 વાયરસથી ખૂબ નજીક છે. પ્રયોગશાળાના જાણવા મળ્યું કે તે માનવ ACE2 રીસેપ્ટર્સ સાથે જોડાઈ શકે છે, એટલે કે તેમાં માનવોમાં ઘૂસવાની ક્ષમતા છે. જો કે, સારી વાત એ છે કે વાયરસ ધીમે-ધીમે વધે છે અને પ્રાણીઓમાં ચેપ ફેલાયો નથી.

વાયરસ કેટલો ખતરનાક છે?
પ્રોફેસર કેઇ સાતો અને તેમની ટીમના મતે, આ વાયરસ હાલમાં મનુષ્યો માટે તાત્કાલિક જોખમી નથી. હાલની COVID-19 રસીઓ અને ઉપચારાત્મક દવાઓ આ નવા વાયરસ સામે અસરકારક હોવાનું જાણવા મળ્યું છે. પ્રયોગશાળા પરીક્ષણોમાં આ વાયરસ નબળો સાબિત થયો છે. તેમ છતાં, વૈજ્ઞાનિકો ચિંતિત છે કારણ કે ચામાચીડિયામાં જોવા મળતા વાયરસ સતત બદલાતા રહે છે. જો તેમાં એક નાના ફેરફાર આવ્યો તો વધુ ચેપી અને ખતરનાક બની શકે છે. એવું અનુમાન છે કે આ વાયરસ યુનાન (ચીન) અથવા ઉત્તરી લાઓસથી આવ્યો હોઇ શકે છે અને ચામાચીડિયાની વસ્તી દ્વારા થાઇલેન્ડ અને આસપાસના પ્રદેશોમાં ફેલાયો હોઈ શકે છે.
પ્રકૃતિમાં હજારો પ્રકારના વાયરસ અસ્તિત્વમાં છે, અને ચામાચીડિયા વાયરસોના ભંડાર છે. એશિયામાં ચામાચીડિયાને સતત દેખરેખ હેઠળ રાખવા જોઈએ. હાલમાં, આ નવા વાયરસથી કોઈ માનવ સંક્રમિત થયાના કોઈ અહેવાલ નથી. તેમ છતા આરોગ્ય અધિકારીઓ સાવચેતી રાખવાની સલાહ આપી રહ્યા છે. વ્યક્તિઓએ ચામાચીડિયાની નજીક જવા અથવા તેમના મળમૂત્રથી દૂષિત વિસ્તારોમાં જવા માટે સાવચેતી રાખવી જોઈએ.

COVID-19 મહામારી પછી સમગ્ર વિશ્વ જાણી ગયું છે કે વાયરસ કેટલી ઝડપથી ફેલાઈ શકે છે. આ નવા વાયરસની શોધ સમયસર થઈ છે. આ અગાઉ પણ, થાઈલેન્ડમાં RacCS203 નામનો વધુ એક SARS-CoV-2-સંબંધિત વાયરસ પણ મળી આવ્યો હતો.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવી શોધોથી આપણે ભવિષ્યની મહામારીને રોકી શકીએ છે. નિયમિત દેખરેખ, સંશોધન અને તૈયારી ખૂબ જરૂરી છે. સામાન્ય લોકોએ ગભરાવાની કોઈ જરૂર નથી; જોકે, જંગલો, ગુફાઓ અથવા ચામાચીડિયાવાળા વિસ્તારોમાં સાવધાની રાખવી જોઈએ.