
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના નાગરિકોને ‘સંયમ’ રાખીને પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરવા અને કોરોનાકાળ જેવી સાવધાની રાખવા વિનંતી કરી છે. વડાપ્રધાન ની ઇંધણ બચાવવાની સલાહ બાદ, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે આ સમયે દેશ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સલાહનું પાલન કરવું શા માટે અનિવાર્ય બની ગયું છે, અને સરકાર હાલમાં ઇંધણના ભાવ વધારવાથી દૂર રહીને કેટલા નુકસાન સહન કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને પગલે અટકળો વધી રહી છે કે સરકાર ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી શકે છે. એવામાં, પ્રશ્ન એ છે કે ક્રૂડ ઓઇલની વધતી કિંમતને કારણે તેલ કંપનીઓ દ્વારા હાલમાં થઈ રહેલા નુકસાનને પહોંચી વળવા માટે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો કરવો પડશે?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને LPGના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. તેલ કંપનીઓ ઊંચા દરે કાચા માલની ખરીદી કરી રહી છે, ત્યારે તેઓ સામાન્ય લોકોને મોંઘવારીના બોજથી બચાવવા માટે અગાઉના અથવા ઓછા દરે પેટ્રોલ-ડીઝલ અને ગેસ વેચી રહી છે. તેથી, સરકારી તેલ કંપનીઓને દૈનિક ₹1,000 કરોડનું ભારે નુકસાન થઈ રહ્યું છે. એવો અંદાજ છે કે ચાલુ ત્રિમાસિક ગાળા દરમિયાન આ તેલ કંપનીઓનું કુલ નુકસાન ₹100,000 કરોડ સુધી પહોંચી શકે છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કેટલો વધારો પડશે?
હાલના અંદાજ મુજબ, તેલ કંપનીઓને હાલમાં પેટ્રોલ પર આશરે ₹18 પ્રતિ લિટર અને ડીઝલ પર ₹25 પ્રતિ લીટરનું નુકસાન ઉઠાવવું પડી રહ્યું છે. આનો અર્થ એ છે કે જો સરકાર પેટ્રોલના ભાવમાં ₹18 પ્રતિ લીટર અને ડીઝલના ભાવમાં ₹25 પ્રતિ લીટરનો વધારો કરે છે, તો BPCL અને HPCL જેવી તેલ કંપનીઓને જે નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે તે શૂન્ય થઈ જશે.
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ પણ તાજેતરમાં સ્વીકાર્યું હતું કે પશ્ચિમ એશિયા સંકટને કારણે આ કંપનીઓ પર ગંભીર નાણાકીય દબાણ છે. પેટ્રોલ, ડીઝલ અને LPG ઉપરાંત, ઘરેલું ઉડાણો માટે ઉપયોગ થતું એવિએશન ટર્બાઇન ફ્યૂઅલ (ATF) એટલે કે જેટ ફ્યૂઅલના વેંચાણ પર પણ કંપનીઓને નુકસાન થઇ રહ્યું છે.

માર્ચના અંતમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં પ્રતિ લિટર ₹10નો ઘટાડો કર્યો હતો. આ ઘટાડાના પરિણામે, સરકારને માસિક ₹14,000 કરોડનું મહેસૂલ નુકસાન થઈ રહ્યું છે. તેમ છતા આંતરરાષ્ટ્રીય ભાવમાં વધારો એટલો ગંભીર છે કે આ ટેક્સ ઘટાડો પણ તેલ કંપનીઓને થતા નુકસાનને ઘટાડવા માટે પૂરતો સાબિત થઈ રહ્યો નથી.