fbpx

સાઉદીની જેલમાં 20 વર્ષ બંધ રહ્યો, પછી લોકોને બ્લડ મની તરીકે 34 કરોડ રૂપિયા ભેગા કરીને આપ્યા ત્યારે કેરળ પહોંચ્યો અબ્દુલ

Spread the love

સાઉદીની જેલમાં 20 વર્ષ બંધ રહ્યો, પછી લોકોને બ્લડ મની તરીકે 34 કરોડ રૂપિયા ભેગા કરીને આપ્યા ત્યારે કેરળ પહોંચ્યો અબ્દુલ

કેરળના અબ્દુલ રહીમની વાર્તા માનવતા અને અતૂટ આશાનું ઉદાહરણ છે. એક દિવ્યાંગ બાળકના મૃત્યુના આરોપમાં સાઉદી અરબમાં 20 વર્ષ જેલમાં વિતાવ્યા પછી અબ્દુલ પોતાના વતન પરત ફર્યો છે. તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી, પરંતુ તેને મુક્ત કરવા માટે બ્લડ મની તરીકે 34 કરોડ રૂપિયાની મોટી રકમ એકઠી કરવામાં આવી હતી. તો ચાલો જાણી લઈએ ધીરજ, આશા અને જેલમાંથી તેની મુક્તિની આખી વાત.

ડિસેમ્બર 2006 કેરળના અબ્દુલ રહીમ માટે એક અંધકારમય સમય હતો, જ્યારે સાઉદી અરેબિયાએ તેને જેલના સળિયા પાછળ મોકલી દીધો. તેના પર તેની દેખરેખ હેઠળ રહેતા એક બાળકના મૃત્યુનો આરોપ મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તેને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. હવે, વર્ષો પછી, તેના વતન પરત ફરવા અને મુક્તિએ સમગ્ર વિશ્વ માટે માનવતાનું ઉદાહરણ સ્થાપિત કર્યું છે. અબ્દુલ માટે એક વિશાળ ક્રાઉડફંડિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી, જેમાં વિશ્વભરના ઉદાર દિલના લોકોએ 34 કરોડ રૂપિયાની રેકોર્ડ બ્લડ મની એકઠી કરી હતી, જેનાથી તેની મુક્તિનો માર્ગ સરળ થયો હતો.

Kerala Abdul Rahim

કેરળના કોઝિકોડ નજીક ફેરોકેમાં રહેતા માચિલાકાથુ પરિવાર માટે, ઈદ 2026 ફક્ત એક તહેવાર જ નહીં, પરંતુ રાહત અને પ્રિયજનો સાથે પુનઃમિલનનો ઐતિહાસિક દિવસ બની ગયો. તેમનો પ્રિય પુત્ર, જે લગભગ બે દાયકાથી સાઉદી અરેબિયાની જેલમાં હતો અને મૃત્યુદંડથી માંડ માંડ બચી ગયો હતો, તે  આખરે બધી મુશ્કેલીઓનો સામનો કરીને સુરક્ષિત રીતે ઘરે પાછો ફર્યો હતો. આખા પરિવાર માટે આ એક ચમત્કારથી ઓછું નહોતું.

ગુરુવારે સવારે સાઉદી અરેબિયાથી એક્ઝિટ વિઝા પર અબ્દુલ રહીમ કેરળમાં તેના ઘરે પહોંચ્યો ત્યારે, દાયકાઓથી જોવાતી રાહ આંસુ અને સ્મિતમાં ફેરવાઈ ગઈ. સજા ભોગવ્યા પછી રહીમનું સ્વાગત કરવા માટે તેના વડીલોના જુના ઘરે એક વિશાળ ભીડ એકઠી થઈ હતી.

ઘણા વડીલો માટે, રહીમ ફક્ત એક દૂરની યાદ જ હતી, જ્યારે યુવાનો માટે, તે એક રોલ મોડેલ હતો, જેની વાર્તાએ વિશ્વભરના કેરળવાસીઓને હલાવી નાખ્યા હતા. તેના કારણે એક અસાધારણ ક્રાઉડફંડિંગ ઝુંબેશ શરૂ થઈ, જેનાથી તેની મુક્તિ શક્ય બની.

કેરળ પહોંચ્યા પછી, રહીમની આંખોમાં આંસુ આવી ગયા. અબ્દુલે તેને નવું જીવન આપનારા બધાનો આભાર માન્યો. તેમણે કહ્યું, ‘હું વિશ્વભરના તમામ કેરળવાસીઓનો આભારી છું, જેમણે મારી મુક્તિ શક્ય બનાવી.’

Kerala Abdul Rahim

જ્યારે તે તેની માતા ફાતિમાને મળ્યો, ત્યારે બંને રડી પડ્યા, વર્ષોથી જમા થયેલું દુઃખ, સંઘર્ષ અને મુશ્કેલીઓ આંસુ બનીને બહાર આવી ગઈ. ધ્રૂજતા અવાજમાં ફાતિમાએ કહ્યું, ‘આખરે, અલ્લાહે મારી દુઆઓને કાબુલ કરી.’

સાઉદી અરેબિયા જતા પહેલા, રહીમ કેરળમાં ઓટો-રિક્ષા અને સ્કૂલ બસ ચલાવતો હતો. તે 6 ભાઈ-બહેનોમાં સૌથી નાનો હતો. તે 28 નવેમ્બર, 2006ના રોજ રિયાધ ગયો, જ્યાં તેને ડ્રાઇવર તરીકે નોકરી મળી.

ટ્રાયલ દરમિયાન રજૂ કરાયેલા નિવેદનો અનુસાર, રહીમને તેના માલિકના 17 વર્ષના પુત્રની સંભાળ રાખવાનું પણ કામ સોંપવામાં આવ્યું હતું, જે લકવાગ્રસ્ત હતો અને શ્વાસ લેવાની મશીન પર નિર્ભર હતો. 24 ડિસેમ્બર, 2006ના રોજ, જ્યારે રહીમ તે બાળકને પાછળ બેસાડીને વાહન ચલાવી રહ્યો હતો, ત્યારે શ્વાસ લેવાની મશીન કથિત રીતે નીકળી ગઈ હતી, જેના કારણે છોકરાનું મૃત્યુ થઇ ગયું.

સાઉદી અરેબિયા પહોંચ્યાના માત્ર 28 દિવસ પછી, 26 વર્ષીય અબ્દુલ રહીમને આ ગંભીર આરોપમાં જેલની સજા ફટકારવામાં આવી, અને 2011માં, સાઉદી કોર્ટે તેને મૃત્યુદંડની સજા ફટકારી. આ સજાને ઉચ્ચ અદાલતોએ પણ માન્ય રાખી હતી, જેના કારણે કેરળમાં રહેતા અબ્દુલના પરિવારને ઘણા વર્ષો સુધી મૃત્યુદંડના ડર હેઠળ જીવવાની ફરજ પડી હતી. એપ્રિલ 2024માં, પીડિત પરિવારે રૂ. 34 કરોડના બ્લડ મની (વળતર)ના બદલામાં રહીમને માફ કરવા સંમતિ આપી હતી.

Kerala Abdul Rahim

રહીમના પરિવાર માટે આ રકમ એકલા એકઠી કરવી અશક્ય હતી. વિશ્વભરના કેરળવાસીઓ દ્વારા સમર્થિત વિશાળ ક્રાઉડફંડિંગ ઝુંબેશ દ્વારા આ રકમ એકઠી કરવામાં આવી હતી. સામાન્ય મજૂરો, NRI, સામાજિક સંગઠનો અને અગ્રણી વ્યક્તિઓ તરફથી યોગદાન જબરદસ્ત હતું, જેના કારણે આ ઝુંબેશ કેરળના સૌથી મોટા સમુદાય-આધારિત ભંડોળ એકત્ર કરવાના પ્રયાસોમાંની એક બની ગઈ.

પીડિત પરિવારે વળતર સ્વીકાર્યા પછી મૃત્યુદંડની સજા રદ કરવામાં આવી હતી. જોકે, સાઉદી અધિકારીઓએ રહીમને 20 વર્ષની જેલની સજા ભોગવવાનો આદેશ આપ્યો હતો. આ કેસમાં અપનાવવામાં આવેલા અરબી કેલેન્ડર મુજબ, આ સજા આ વર્ષની 20 મેના રોજ પૂર્ણ થઈ હતી.

આ સમયગાળો કોઝિકોડમાં રહીમના પરિવાર માટે એક મહત્વપૂર્ણ અગ્નિપરીક્ષા બની રહ્યો. રહીમને જેલ થયાના છ મહિના પછી જ તેના પિતા, મુહમ્મદ કુટ્ટીનું અવસાન થયું. નવેમ્બર 2024 માં તેમને માફી આપવામાં આવ્યા પછી તેમની માતા ફાતિમા તેને ફક્ત એક જ વાર મળી શક્યા હતા. ક્યારેક ક્યારેક વિડીયો કોલ તેમના માટે એકમાત્ર આશ્વાસન હતું, અને પછી આવ્યો ગુરુવારનો દિવસ. જ્યારે આખરે માચિલકાથુ પરિવારની લાંબી રાહનો અંત આવ્યો અને તેમની કઠિન કસોટીનો પણ અંત આવ્યો.

Leave a Reply

error: Content is protected !!