fbpx

ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારો કોણ છે, 3નું છે RSS કનેક્શન, જાણો તમામ માહિતી

Spread the love

ગુજરાતના રાજ્યસભાના 4 ઉમેદવારો કોણ છે, 3નું છે RSS કનેક્શન, જાણો તમામ માહિતી

ભારતીય જનતા પાર્ટી (BJP)એ રાજ્યસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતની 11 રાજ્યસભા સીટમાંથી 4 સીટની 18 જૂને ચૂંટણી યોજાશે. આ ચૂંટણી માટે ભાજપે તમામ 4 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જો કે ભાજપે તેની જૂની પેટર્નની જેમ આ વખતે પણ તદ્દન નવા જ ચહેરા મેદાનમાં ઉતારીને સૌ કોઈને ચોંકાવી દીધા છે. ભાજપે ગુજરાતની રાજ્યસભાની ચૂંટણી માટે રાજુભાઇ શુક્લા, મુકેશભાઇ રાઠવા, માનસિંહ પરમાર અને જિતેન્દ્રભાઈ મેઘજીભાઈ કંજારિયાને મેદાનમાં ઉતાર્યા છે. આ વખતે માત્ર ઉમેદવારો જ નહીં, તેનું બેકગ્રાઉન્ડ તથા ઉંમર પણ ચોંકાવનારી  છે. આ ચારેય ઉમેદવારમાં 3નું કનેક્શન RSS સાથે જોડાયેલુ છે. જ્યારે એક પૂર્વ ધારાસભ્યના પુત્ર છે. તેમજ સૌરાષ્ટ્રના બે તથા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાંથી 1-1 ઉમેદવાર ઉતાર્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, કાસ્ટ ફેક્ટરની વાત કરીએ તો 2 OBC, આદિવાસી અને જનરલ કેટેગરીમાંથી 1-1 ઉમેદવાર છે. ભાજપે OBC પર વધુ ફોક્સ કર્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કારણ કે હાલના રાજ્યસભા સાંસદ મયંક નાયક અને બાબુ દેસાઈ પણ OBC છે. આમ 11માંથી કુલ 4 OBC સભ્ય થશે.

રાજુ શુક્લ, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝારીયા અને મુકેશ રાઠવાની સરેરાશ ઉંમર માત્ર 46 વર્ષ છે. જેનો સીધો એ થયો કે, 50 વર્ષ પાર કરનારાને ટિકિટ હવે ભૂલી જવાની તૈયારીઓ રાખવી પડશે. જેનો પહેલો સંકેત મેયરોની પસંદગીમાં જોવા મળ્યો હતો. તાજેતરમાં જ ભાજપે પસંદ કરેલા 15 મનપાના મેયરની સરેરાશ ઉંમર માત્ર 47 વર્ષ જ છે.

BJP-Candidates

તુ આશ્ચર્યની વાત તો એ છે કે, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડોદરામાં સરદાર રત્ન એવોર્ડ સન્માનિત કરનારા પાટીદારોનું પત્તુ આ વખતે કાપી નાંખવામાં આવ્યું છે. આ વખતે રિટાયર્ડ થયેલા 4 સભ્યમાંથી નરહરી અમીન પાટીદાર ચહેરો હતા અને આ વખતે એકેય પાટીદાર નથી. 11 સીટમાંથી જે 7 સાંસદોની ટર્મ ચાલી રહી છે. તેમાં પણ ગોવિંદ ધોળકિયા એક માત્ર પાટીદાર છે અને તે પણ ઉદ્યોગપતિ. રામ મોકરિયા બ્રહ્મ સમાજથી આવે છે એટલે તેમના સ્થાને બ્રહ્મસમાજના રાજુ શુક્લને ટિકિટ આપી છે.

ગુજરાતની 182 વિધાનસભામાં ભાજપ માટે સોમનાથ વિધાનસભા બેઠક ખૂબ મહત્ત્વપૂર્ણ છે, સોમનાથ સ્વાભિમાન પર્વની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય કક્ષાએ છવાઈ તેવી ઉજવણી થઈ, સોમનાથ ટ્રસ્ટના વડા પીએમ મોદી છે ત્યારે ‘સોનાની થાળીમાં લોઢાની મેખ’ રહેતી હોય તેમ સોમનાથ વિધાનસભા 2 ટર્મથી ભાજપ મેળવવામાં નિષ્ફળ રહ્યું છે, ધાર્મિક, સાંસ્કૃતિક અને રાજકીય દૃષ્ટિએ સોમનાથ વિધાનસભા ભાજપની બને તેવી પક્ષના પાયાથી લઈ વડાપ્રધાન સુધીના આગેવાનોમાં ઈચ્છા પ્રવર્તી રહી છે.

2022ની ચૂંટણીમાં ભાજપે માનસિંહ પરમારને ઉમેદવાર તરીકે ઉતારી એડી ચોટીનું જોર લગાવ્યું હતું, તેમ છતાં ભાજપે 900 મતની નજીવા મતથી સીટ ગુમાવી હતી. ભાજપની હાર પાછળ આ બેઠક ઉપર જ્ઞાતિવાદી સમીકરણો કારણભૂત બન્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમા જે કોળી સમાજમાંથી પ્રતિનિધિત્વ કરે છે તે સમાજના મોતો સાથે લઘુમતી સમાજ અને અન્ય પછાત સમાજના મોતો કોંગ્રેસને આ સીટ ઉપર વધુ ભાજપ કરતાં મજબૂત બનાવે છે. આ સમીકરણોને ધ્યાને રાખી આગામી 2017ની વિધાનસભામાં સોમનાથ બેઠક મેળવવા ભાજપ કારડીયા રાજપૂત સમાજના યુવાન અને ગત વિધાનસભા ચૂંટણીના પરાજીત ઉમેદવાર માનસિંહ પરમારને રાજ્ય સભામાં પસંદ કરી સૌને ચોંકાવી દીધા છે.

mansinh-parmar2

આ ગણિત પાછળ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્યને ભાજપ તરફે લાવી ભાજપના ઉમેદવાર બનાવવા બારી ખુલ્લી મુકાઈ હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે. ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ચોરવાડ નગરપાલિકા ગુમાવી ચૂક્યા છે અને ભાજપ હવે સામ-દામ દંડ ભેદની યુક્તિથી આ બેઠક માટેના વર્તમાન વિકલ્પો ખુલ્લા કરી દીધા છે. ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા બેઠકોમાં જ્ઞાતિ વાઇઝ સમીકરણ તાલાલા વિધાનસભાની ટિકિટ આહિર સમાજના ફાળે જાય છે, ઉના વિધાનસભા કોળી સમાજને ફાળે જાય છે, કોડીનાર બેઠક અનામત રોટેશનમાં જાય છે. જ્યારે બાકી રહેતી સોમનાથ બેઠક ઉપર કારડીયા રાજપૂત સમાજની દાવેદારી રહેતી હતી આજે ભાજપ મોવડી મંડળે માનસિંહ પરમારની પષદંગી રાજ્યસભા માટે કરી તે દાવેદારી નો છેદ ઉડાડી દીધો છે અને 2027ની ચૂંટણીમાં સોમનાથ બેઠક કબ્જે કરવાનું માઇક્રોપ્લનિંગ તૈયાર કર્યું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે.

માનસિંહ પરમાર તો 2022ની વિધાનસભા ચૂંટણી પણ લડી ચૂક્યા છે. સોમનાથ બેઠક પર કૉંગ્રેસના વિમલ ચુડાસમા સામે અંતિમ રાઉન્ડ સુધી કાંટે કી ટક્કર ચાલી હતી. જેમાં વિમલ ચુડાસમા બાજી મારી ગયા અને માનસિંહ પરમારનો હતા. ચૂંટણી પહેલાં સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ગામનાને જીતાડવા અપીલ કરી હતી. રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા ચોરવાડ ગામના રહેવાસી છે. ચૂંટણીમાં વિમલ ચુડાસમાને કુલ 73 હજાર મત મળ્યા હતા જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72 હજાર મત મળ્યા હતા. ખુબ પાતળી સરસાઈ સાથે વિમલ ચુડાસમા ફરી અહીંના ધારાસભ્ય બન્યા હતા.

ત્યાર બાદ માનસિંહ પરમારે તો રાજેશ ચુડાસમા પર આડકતરું નિશાન સાધ્યું હતું. ચૂંટણી પરિણામ બાદ સોમનાથ વિધાનસભા બેઠક પર ભાજપનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ આભાર દર્શન કાર્યક્રમ આક્રોશ પ્રદર્શનમાં ફેરવાયો હતો. આભાર દર્શનમાં માનસિંહ પરમાર અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારે બળાપો કાઢ્યો હતો. માનસિંહ પરમારે જણાવ્યું હતું કે, ‘આજીવન હું આવા લોકોને માફ કરવાનો નથી. સમયાંતરે આ તમામનો હિસાબ થશે અને ખબર પણ પડશે કે તેમણે શું પાપ કર્યા છે. મારા એક સાથે નહીં પરંતુ 2 લાખ 62 હજાર મતદારો સાથે પાપ કર્યું છે. તેમને ક્યારેય માફ નહીં કરીએ. ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ પણ આ વખતે માફ કરવાના મૂડમાં નથી.’ માનસિંહ પરમાર ABVPના કાર્યકર રહી ચૂક્યા છે.

આદિવાસી સમાજના મુકેશ રાઠવાને આદિવાસી એવા રમીલાબેન બારાની જગ્યાએ ટિકિટ આપવામાં આવી છે. માત્ર એટલું જ નહીં, તેમને ચૈતર વસાવાના જવાબ તરીકે પણ જોવામાં આવે છે, કારણ કે તેઓ ચૈતરની જેમ યુવા અને હાઇલી એજ્યુકેટેડ છે. તેમણે 11 વર્ષ સુધી RSSમાં અલગ અલગ જવાબદારી નિભાવી છે.

mukesh-rathva3

આ ઉમેદવારોમાં જીતેન્દ્ર કણઝારીયા પૂર્વ ધારાસભ્ય મેઘજી કણઝારીયાના પુત્ર છે. જ્યારે કડી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાજુ શુક્લએ એક મહિના અગાઉ જ બાયપાસ સર્જરી કરાવી છે અને 4 જૂને તેનું રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર તરીકે નામ જાહેર કરવામાં આવ્યું છે. થોડા વર્ષ અગાઉ તેઓ સક્રિય પત્રકારત્વમાં પણ હતા. તેઓ RSSના તાલીમી વોલીંટિયર નાગર કાર્યવાહ રહી ચૂક્યા છે.

સોમવારે એટલે કે 8 જૂનના ભાજપના તમામ 4 ઉમેદવારો વિજય મુહૂર્તમાં રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારીપત્રો દાખલ કરશે. જ્યારે 18 જૂને મતદાન યોજાશે. વિધાનસભામાં ભાજપ પાસે 161 ધારાસભ્યોનું મજબૂત સંખ્યાબળ હોવાથી ચારેય બેઠકો પર ભાજપનો વિજય લગભગ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાસે માત્ર 12 ધારાસભ્યો હોવાથી ચૂંટણીનું ગણિત તેના પક્ષમાં નથી. આમ આ ચારેય ઉમેદવાર બિનહરિફ થઈ જશે.

નોંધનીય છે કે ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય. કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલ નિવૃત્ત થઈ જશે. એક બેઠક જીતવા માટે 46 મતની જરૂર હોય છે અને કોંગ્રેસ પાસે ગુજરાતમાં માત્ર 12 ધારાસભ્યો છે.

રાજ્યસભાના સાંસદો માટેની ચૂંટણી પ્રક્રિયા અન્ય ચૂંટણીઓ કરતા ઘણી અલગ છે. રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે, એટલે કે તેઓ જનતા દ્વારા નહીં, ધારાસભ્યો દ્વારા ચૂંટાય છે. ચૂંટણીઓ દર બે વર્ષે યોજાય છે કારણ કે રાજ્યસભા એક કાયમી ગૃહ છે અને તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે.

રાજ્યસભાની કુલ બેઠકોની સંખ્યા 245 છે. તેમાંથી 233 બેઠકો પરોક્ષ રીતે ચૂંટાય છે, અને 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત થાય છે. રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે જરૂરી મતોની સંખ્યા પૂર્વનિર્ધારિત છે. મતોની સંખ્યા કુલ ધારાસભ્યોની સંખ્યા અને રાજ્યસભાની બેઠકોની સંખ્યાના આધારે ગણવામાં આવે છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 છે.

હાલ કોણ કોણ છે રાજ્યસભાના સાંસદ?

બાબુભાઈ દેસાઈ, જે.પી. નડ્ડા, ગોવિંદભાઈ ધોળકિયા, મયંક નાયક. એસ જયશંકર, જશવંતસિંહ પરમાર, કેસરીદેવસિંહ ઝાલા

કોની કોની ટર્મ પૂરી થઈ?

રમીલાબેન બારા, રામ મોકરિયા, નરહરિ અમીન, શક્તિસિંહ ગોહિલ.

Leave a Reply

error: Content is protected !!