fbpx

બિહારમાં 8.65 કરોડના પુલ પર ચઢવા લોકોએ ફાળો ભેગો કરી સીડી બનાવી! આની કહાની આશ્ચર્યચકિત કરી દેશે

Spread the love

બિહારમાં 8.65 કરોડના પુલ પર ચઢવા લોકોએ ફાળો ભેગો કરી સીડી બનાવી! આની કહાની આશ્ચર્યચકિત કરી દેશે

બિહારના સમસ્તીપુર જિલ્લાના ખાનપુર બ્લોક અને રોસડા બ્લોકમાં આવેલ કલવાડા ઘાટનો પુલ વિકાસ કરતાં અવ્યવસ્થા અને વહીવટી બેદરકારીની વાર્તા કહે છે. સરકારી યોજના હેઠળ બનેલો આ હાઇટેક પુલ આ વિસ્તારમાં ‘અદ્ભુત પુલ’ તરીકે જાણીતો બન્યો છે. પુલનું બાંધકામ તો પૂરું થઇ ગયું છે, પરંતુ બંને બાજુ એપ્રોચ રોડના અભાવે લોકો તેનો લાભ લઈ શકતા નથી. ગ્રામજનોને પુલ પાર કરવા માટે લોખંડની સીડીઓ પર આધાર રાખવો પડે છે. આ ઉચ્ચ સ્તરીય RCC પુલ 2013માં નાબાર્ડ યોજના હેઠળ બાગમતી નદી પર ડગરુઆ અને બલાહા વચ્ચે આશરે રૂ. 865.517 લાખના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. પુલનો શિલાન્યાસ તત્કાલીન ધારાસભ્ય અશોક કુમાર મુન્ના દ્વારા કરવામાં આવ્યો હતો.

Kalwara-Ghat-Bridge2

બાંધકામ પૂરું થઇ ગયું હોવા છતાં, એપ્રોચ રોડ હજુ સુધી પૂર્ણ થયો નથી. આને કારણે, ખાનપુર અને રોસડા બ્લોકના ડઝનબંધ ગામોના રહેવાસીઓને હજુ પણ લગભગ 5 કિલોમીટરનું વધારાનું અંતર કાપવું પડે છે. લાંબા સમય સુધી ઉકેલ ન આવ્યા પછી, ગ્રામજનોએ પહેલ કરી. તેઓ ગામડે ગામડે ગયા, પ્રતિ ઘર 200થી 400 રૂપિયાનું ભંડોળ એકત્ર કર્યું, અને પુલ પર ચઢવા અને ઉતરવા માટે લોખંડની સીડીઓ લગાવી. હવે, લોકો પુલ પાર કરવા માટે આ સીડીઓનો ઉપયોગ કરીને પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે. આ પરિસ્થિતિ માત્ર આઘાતજનક જ નથી પણ સરકારી તંત્ર અને વિકાસ પ્રોજેક્ટ્સની કામગીરી પર પણ ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.

સ્થાનિક રહેવાસીઓએ અહેવાલ આપ્યો કે 2013થી પુલની સ્થિતિ આવી જ છે. ઉનાળા દરમિયાન, લોકો પુલના નીચેના રસ્તાથી જઈને પોતાનું કામ કરતા હોય છે, પરંતુ વરસાદની ઋતુ દરમિયાન પરિસ્થિતિ વધુ ખરાબ થાય છે. અહેવાલો અનુસાર, જમીન સંપાદન અને વળતરના વિવાદોને કારણે એપ્રોચ રોડનું બાંધકામ લાંબા સમયથી અટકી ગયું છે.

Kalwara-Ghat-Bridge1

ગ્રામજનોએ પુલની ગુણવત્તા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. તેઓ કહે છે કે પુલની જમીનને સ્પર્શ કરવાથી પુલની સપાટી પરથી રેતી ઉખડવા લાગે છે, જેના કારણે બાંધકામની ગુણવત્તા પર પણ શંકા જાય છે. અડધા ડઝનથી વધુ ગામડાઓ અને દસ હજારથી વધુ વસ્તી માટે બનેલો આ પુલ આજે સુવિધાને બદલે સંઘર્ષનું પ્રતીક બની ગયો છે.

Kalwara-Ghat-Bridge

ગ્રામજનોનું કહેવું છે કે, આ વિસ્તારને વિકાસના રસ્તા પર લઇ જશે એવી અપેક્ષા રાખવામાં આવતો આ પુલ હવે મુશ્કેલીનું કારણ બની ગયો છે. ખેડૂતો, વિદ્યાર્થીઓ, દર્દીઓ અને સામાન્ય લોકો દરરોજ જોખમ લેવા માટે મજબુર બન્યા છે. રહેવાસીઓએ માંગ કરી છે કે, વહીવટીતંત્ર શક્ય તેટલી વહેલી તકે એપ્રોચ રોડ પૂર્ણ કરે, પુલની ગુણવત્તાની તપાસ કરે અને જવાબદાર અધિકારીઓ અને એજન્સીઓ સામે પગલાં લે.

Leave a Reply

error: Content is protected !!