
ભારતમાં ઇથેનોલ બ્લેન્ડેડ પેટ્રોલને પ્રોત્સાહન આપવાની સરકારની પહેલ હવે ગ્રાહકો પર અસર કરી રહી છે. આ ઇંધણ ફક્ત બજાર પૂરતું મર્યાદિત નથી પરંતુ વાહન ખરીદનારાઓના વિચારને પણ પ્રભાવિત કરી રહ્યું છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે, ઇથેનોલ બ્લેન્ડ ઇંધણને લગતી વધતી અનિશ્ચિતતાને કારણે મોટી સંખ્યામાં લોકો નવું વાહન ખરીદવાનું મુલતવી રાખવાનું વિચારી રહ્યા છે.
લોકલસર્કલ દ્વારા હાથ ધરવામાં આવેલા એક સર્વે મુજબ, આગામી વર્ષમાં વાહન ખરીદવાની યોજના બનાવી રહેલા 43 ટકા સંભવિત ખરીદદારો E20 પેટ્રોલ અને ભવિષ્યમાં E30 ઇંધણના થનારા અમલીકરણના કારણે કંઈ નક્કી નથી કરી શકતા. આવામાં, તેઓ તેમની ખરીદી મુલતવી રાખી શકે છે અથવા તેમના નિર્ણય પર ફરીથી વિચાર કરી શકે છે.

આ સર્વે દેશભરના 311 જિલ્લાઓમાં હાથ ધરવામાં આવ્યો હતો અને તેમાં 28000થી વધુ સંભવિત વાહન ખરીદદારોના મંતવ્યો લેવામાં આવ્યા હતા. સર્વેમાં જાણવા મળ્યું છે કે, ગ્રાહકો જાણવા માંગે છે કે, તેમના હાલના અથવા નવા વાહનો ઉચ્ચ-ઇથેનોલ બ્લેન્ડ ઇંધણ માટે કેટલા યોગ્ય રહેશે અને વાહન પ્રદર્શન, જાળવણી અને લાંબા ગાળાના ખર્ચ પર તેની શું અસર પડશે.
ભારતીય ઓટોમોબાઈલ બજારમાં ભલે વેચાણ મજબૂત દેખાઈ રહ્યું હોય, પરંતુ ઇથેનોલ બ્લેન્ડ ઇંધણ અંગે ગ્રાહકોની વધતી ચિંતાઓ ઓટોમોટિવ ઉદ્યોગ માટે એક નવો પડકાર ઉભો કરી રહી છે. સર્વેના પરિણામો અનુસાર, ઘણા લોકો અનુકૂળ ઇંધણ અંગે થનારી અનિશ્ચિતતાને કારણે નવા વાહન ખરીદી કરવાનું ટાળી રહ્યા છે.
સર્વેક્ષણકર્તાઓએ જણાવ્યું હતું કે ઘટેલી માઇલેજ, એન્જિનની ટકાઉપણું અને સંભવિત વધેલો જાળવણી ખર્ચ તેમની સૌથી મોટી ચિંતા છે. આ જ કારણ છે કે, ઘણા સંભવિત ખરીદદારો નવા વાહન ખરીદવાના નિર્ણયની રાહ જોવા અથવા તેના પર ફરીથી વિચાર કરવાનું મન બનાવી રહ્યા છે.
આ પરિસ્થિતિ એવા સમયે સામે આવી છે, જ્યારે કેન્દ્ર સરકાર દેશમાં ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામને ઝડપથી આગળ વધારી રહી છે. E20 પેટ્રોલ, જેમાં 20 ટકા ઇથેનોલ હોય છે, તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, તેની ઉર્જા સુરક્ષા અને પ્રદૂષણ ઘટાડવાની વ્યૂહરચનાના ભાગ રૂપે, સરકારે E22, E25, E27 અને E30 જેવા ઉચ્ચ-ઇથેનોલ બ્લેન્ડેડ ઇંધણ માટે ધોરણો સૂચિત કર્યા છે.

આ ફેરફારના પ્રતિભાવમાં, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એપ્રિલ 2026થી E20 પેટ્રોલ માટે ન્યૂનતમ રિસર્ચ ઓક્ટેન નંબર (RON) 95 ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે. ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI)ને એન્જિન પ્રદર્શન, માઈલેજ અને લાંબા ગાળાના પ્રદર્શન પર E25 જેવા ઉચ્ચ-ઇથેનોલ મિશ્રિત ઇંધણની અસરનો અભ્યાસ કરવાનું કામ સોંપવામાં આવ્યું છે.
સર્વેમાં આ બાબતો બહાર આવી: E20 અને ભાવિ E30 ઇંધણને લઈને વધતી અનિશ્ચિતતા વાહન ખરીદીના નિર્ણયોને અસર કરી રહી છે. 43 ટકા સંભવિત ખરીદદારો આગામી 12 મહિનામાં નવું વાહન ખરીદવાનું મુલતવી રાખી શકે છે અથવા પુનર્વિચાર કરે તેવી શક્યતા છે. સર્વેમાં સામેલ લોકોએ ઘટેલી માઈલેજ, એન્જિનનું આયુષ્ય અને વધેલો જાળવણી ખર્ચને તેમની મુખ્ય ચિંતા ગણાવી. ફક્ત 6 ટકા લોકોએ નવી પેટ્રોલ કાર ખરીદવામાં રસ બતાવ્યો, જ્યારે 7 ટકા લોકોએ ઇલેક્ટ્રિક વાહન (EV) ખરીદવામાં અને 7 ટકા લોકોએ હાઇબ્રિડ વાહન ખરીદવામાં રસ દર્શાવ્યો. આનો અર્થ એ થયો કે EV અને હાઇબ્રિડ વાહનો કુલ 14 ટકા હિસ્સો ધરાવે છે, જે પેટ્રોલ વાહનો કરતા બમણાથી પણ વધુ છે. 30 ટકા લોકોએ હાલ પૂરતી વાહન ખરીદીની કોઈ યોજના નથી જણાવી, જ્યારે 12 ટકા ખરીદદારો હજુ પણ નિર્ણય નથી કરી શક્યા. જોકે, ભારતીય ઓટો બજાર મજબૂત રહ્યું છે. FADA મુજબ, મે 2026માં વાહન વેચાણ 25 લાખ યુનિટને વટાવી ગયું હતું, જ્યારે પેસેન્જર વાહન રજીસ્ટ્રેશન પહેલી વાર 4 લાખ યુનિટને વટાવી ગયું હતું. 50,000થી વધુ લોકોના બીજા એક સર્વેમાં, પેટ્રોલ વાહન માલિકોમાંથી અડધાએ 2025ની શરૂઆત પછી માઇલેજ 10 ટકાથી વધુ ઘટી ગઈ હોવાનું જણાવ્યું હતું. લગભગ 30 ટકા વાહન માલિકોએ ઇંધણ પંપ, ઇન્જેક્ટર અને એન્જિન સિસ્ટમમાં ઘસારો વધવાની અથવા જાળવણી ખર્ચમાં વધારો થવાની ફરિયાદ કરી હતી. 2023 પહેલા ખરીદેલા વાહનોના માલિકોએ માઇલેજમાં ઘટાડો અને જાળવણી ખર્ચમાં વધારો થવાને કારણે રૂ. 5000થી રૂ. 25000 સુધી વધારાનો ખર્ચ થયો હોવાની જાણ કરી હતી. ઘણા ગ્રાહકોએ E0 અથવા E10 જેવા ઓછા ઇથેનોલ મિશ્રણવાળા ઇંધણ ચાલુ રાખવાની માંગ કરી હતી.

E20 પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ અને 80 ટકા પેટ્રોલનું મિશ્રણ હોય છે અને તેને દેશભરમાં પ્રમાણભૂત ઇંધણ તરીકે લાગુ કરવામાં આવ્યું છે. આ મિશ્રણ ભારતની આયાતી ક્રૂડ ઓઇલ પરની નિર્ભરતા ઘટાડવા અને કાર્બન ઉત્સર્જન ઘટાડવાની વ્યૂહરચનાનો મુખ્ય ભાગ છે.
જ્યારે, E30 ઇંધણમાં 30 ટકા ઇથેનોલ અને 70 ટકા પેટ્રોલ હોય છે. તેને ભારતના ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમના આગામી સંભવિત તબક્કા તરીકે જોવામાં આવે છે, જેનો ઉદ્દેશ્ય ઉર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા અને સ્વચ્છ અને પર્યાવરણને અનુકૂળ પરિવહનને પ્રોત્સાહન આપવાનો છે.
દેશમાં પેટ્રોલમાં ઇથેનોલ મેળવવાનો ઉપયોગ સતત વધી રહ્યો છે, અને સરકાર તેને ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવા અને પ્રદૂષણ ઘટાડવા માટે એક મહત્વપૂર્ણ પગલા તરીકે જુએ છે. આ જ કારણ છે કે, ઇથેનોલ ઉત્પાદન અને ઇથેનોલ મિશ્રણ બંને ઝડપથી આગળ વધી રહ્યા છે. સરકારના મતે, 31 ઓક્ટોબર, 2025 સુધીમાં ભારતની ઇથેનોલ ઉત્પાદન ક્ષમતા વધીને 1,953 કરોડ લિટર પ્રતિ વર્ષ થઇ ચુકી છે.