
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અંગે એક મોટી ભવિષ્યવાણી સામે આવી છે. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પા માને છે કે આગામી વર્ષોમાં સૂર્યકુમાર મુંબઈ ઈન્ડિયન્સ છોડીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)માં વાપસી કરશે. આટલું જ નહીં, ઉથપ્પાએ તેમને KKRનો સંભવિત કેપ્ટન કે પણ ગણાવ્યો છે.
CommBoxTV યુટ્યુબ ચેનલ પર વાતચીત કરતા ઉથપ્પાએ સૂર્યકુમાર યાદવના ભવિષ્ય અંગે પોતાના રસપ્રદ વિચારો શેર કર્યા. તેણે કહ્યું કે, વર્તમાન પરિસ્થિતિઓને જોતા સૂર્યકુમાર માટે KKRમાં જવું સંપૂર્ણપણે શક્ય છે. આ ચર્ચા એવા સમયે વેગ પકડી રહી છે જ્યારે સૂર્યકુમાર યાદવની કારકિર્દી ઉતાર-ચઢાવમાંથી પસાર થઇ રહી છે. માત્ર 3 મહિના પહેલા તેણે ઘરઆંગણે ભારતને ત્રીજા T20 વર્લ્ડ કપ અપાવનારના રૂપમાં ઇતિહાસ રચ્યો હતો.
જોકે, ત્યારબાદ પરિસ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ. તેની પાસેથી ભારતીય T20 કેપ્ટનશીપ છીનવી લેવામાં આવી અને આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની શ્રેણી તેમજ એશિયન ગેમ્સ માટે જાહેર કરાયેલી ટીમમાં પણ જગ્યા ન મળી. IPL 2026માં તેના નિરાશાજનક પ્રદર્શનને આ પાછળનું મુખ્ય પરિબળ માનવામાં આવે છે.

આ દરમિયાન, સૂર્યકુમારની સોશિયલ મીડિયા ગતિવિધિએ પણ અટકળોને વેગ આપ્યો છે. 35 વર્ષીય બેટ્સમેને હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર મુંબઈ ઇન્ડિયન્સને અનફોલો કરી દીધી હતી. જોકે તેણે પછીથી ફરીથી ટીમને ફોલો કરી હતી, આ ઘટનાએ ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો વચ્ચે વિવિધ પ્રકારની અટકળોને જન્મ આપી દીધો, ઘણા લોકોએ તેને ફ્રેન્ચાઇઝી અને ખેલાડી વચ્ચે સંભવિત ઘર્ષણના સંકેત માન્યો.
આ સંદર્ભમાં રોબિન ઉથપ્પાએ ટિપ્પણી કરી હતી કે, સૂર્યાના દૃષ્ટિકોણથી જોઇએ તો તે KKRમાં જઇ શકે છે. તેનું પુનરાગમન KKR માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે IPL 2026માં ટીમનું પ્રદર્શન અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નહોતું. કેપ્ટન અજિંક્ય રહાણે ટીમને સતત પ્રોત્સાહિત કરવામાં સફળ રહ્યો નહોતા, જ્યારે ઉપ-કેપ્ટન રિંકુ સિંહ હજુ સુધી કેપ્ટનશીપની જવાબદારીઓ નિભાવવા માટે સંપૂર્ણપણે તૈયાર માનવામાં આવતો નથી. એવામાં સૂર્યકુમાર જેવો અનુભવી ખેલાડી ફ્રેન્ચાઇઝીને મજબૂત નેતૃત્વ પૂરું પાડી શકે છે.
એક મોટો સંકેત આપતા ઉથપ્પાએ ગૌતમ ગંભીરની સંભવિત વાપસી વિશે વાત કરી. તેમનું માનવું છે કે 2027ના ODI વર્લ્ડ કપ પછી ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે ગંભીરનો કાર્યકાળ સમાપ્ત થયા પછી તેઓ ફરી KKRમાં જોડાઈ શકે છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર કેપ્ટન અને ગંભીર તેના મેન્ટર અથવા કોચની ભૂમિકા ભજવી શકે છે. ઉથપ્પાએ કહ્યું કે, “આ એવી શક્યતા ફરી જીવિત કરે છે કે ગૌતમ ગંભીર ભારતીય ટીમ સાથેનો કાર્યકાળ સમાપ્ત થયા પછી KKRમાં મેન્ટર અથવા કોચ તરીકે પાછા આવી શકે છે. આ પરિસ્થિતિમાં સૂર્યકુમાર કેપ્ટન અને ગંભીર તેના મેન્ટર હોઇ શકે છે.

સૂર્યકુમાર યાદવ અને ગૌતમ ગંભીરનો KKR સાથે જૂનો સંબંધ છે. સૂર્યકુમાર 2014 થી 2017 દરમિયાન ગંભીરની કેપ્ટનશીપ હેઠળ રમ્યો હતો અને આ સમયગાળા દરમિયાન તે ટીમ માટે એક વિશ્વસનીય મધ્યમ ક્રમના બેટ્સમેન તરીકે ઉભરી આવ્યો હતો. તેની નેતૃત્વ ક્ષમતાને ઓળખીને ગંભીરે તેને ઉપ-કેપ્ટનની ભૂમિકા પણ સોંપી હતી. માનવામાં આવે છે કે આ અનુભવે આગળ જઇને સૂર્યકુમારના કેપ્ટન તરીકેની કારકિર્દીનો મજબૂત પાયો નાખ્યો. જોકે હાલમાં સૂર્યકુમાર યાદવ KKRમાં જવા અંગે કોઈ સત્તાવાર માહિતી નથી, રોબિન ઉથપ્પાની ભવિષ્યવાણી IPL વર્તુળોમાં ચર્ચાનો મુખ્ય વિષય બની ગઈ છે.