
ગુજરાતમાં નેશનલ ફૂડ સિક્યુરિટી (NFS) યોજના હેઠળ આવતા 55 લાખ રેશનકાર્ડ ધારકો માટે મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. આ રેશનકાર્ડ ધારકોની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ હોવા છતા તેઓ NFS યોજનાનો લાભ લઈ રહ્યા હતા. ભારત સરકારે આવા લોકોના ઇન્કમટેક્સ રિટર્ન, આધારકાર્ડ અને પાનકાર્ડના ડેટાના આધારે આ માહિતી ગુજરાત રાજ્યની પુરવઠા કચેરીને મોકલી છે. આ ડેટાના આધારે, જિલ્લા કક્ષાએ પુરવઠા અધિકારીઓ દ્વારા 55 લાખ રેશનકાર્ડ ધારકોને નોટિસ મોકલવામાં આવી છે.
etvbharat.comના અહેવાલ મુજબ, નોટિસ પ્રાપ્ત કરનાર રેશનકાર્ડ ધારકોને 21 દિવસમાં મામલતદાર સમક્ષ પોતાની રજૂઆત કરવાનો સમય આપવામાં આવ્યો છે. આ રજૂઆત બાદ તેમના રેશનકાર્ડ રદ કરવા કે માન્ય રાખવા અંગે નિર્ણય લેવામાં આવશે. જોકે, આ 55 લાખ રેશનકાર્ડ ધારકોને હવેથી સસ્તા અનાજનો લાભ મળશે નહીં, અને તેમના રેશનકાર્ડ NFSમાંથી સામાન્ય (non-NFS) કાર્ડમાં ફેરવવામાં આવશે.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, સુખી સંપન્ન પરિવારો પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રેશનકાર્ડ મેળવી ગરીબ લાભાર્થી બની બેઠા હતા. જેમની પાસે આલીશાન બંગલા છે, વૈભવી કાર છે, ખેતીલાયક જમીનો છે અને જેઓ નિયમિત ઈનકમ ટેક્સ ભરે છે, આ ઉપરાંત કંપનીના ડિરેક્ટરો પણ ગરીબ બનીને મફત અનાજ અનાજ મેળવી કરી રહ્યા હતા.
ગરીબોના હકનું અનાજ આવા ધનિકોના ઘરે પહોંચાડવાનું કૌભાંડ સરકારી તંત્રની સિસ્ટમની સામે અનેક સવાલો ઊભા કરે છે. કેન્દ્રના નાગરિક પુરવઠા વિભાગે રાજ્યસભામાં વિગતો રજૂ કરી છે કે, કેન્દ્રીય એજન્સીઓએ ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ, કૃષિ મંત્રાલય, ગૃહ મંત્રાલય, પોસ્ટ વિભાગ અને આરટીઓ પાસેથી લિંક થયેલા ડેટા મેળવ્યા હતા. આ તમામ ડેટાના ક્રોસ-વેરિફિકેશનમાં ધનિકોની પોલ ખુલી ગઈ છે અને ખોટા લાભાર્થીઓનો પર્દાફાસ થયો છે.
સરકારે રેશનકાર્ડની ચકાસણી કર્યા વિના બારોબાર હજારો ટન અનાજ વહેંચીને વાહીવાહી તો મેળવી લીધી. પરંતુ હવે જ્યારે લાખો નકલી રેશનકાર્ડ હોવાનો ખુલાસો થયો છે ત્યારે અન્ન નાગરિક પુરવઠા વિભાગે મૌન સાધી રાખ્યું છે સ્થાનિક સ્તરે સરકારી બાબુઓ અને રાશનિંગ દુકાનદારોની મિલીભગત વગર આ કૌભાંડ વર્ષો સુધી કેવી ચાલી શકે? તે એક મોટો પ્રશ્ન છે. તંત્રની આ ઢીલી નીતિને લીધે સરકારી ભંડોળનો દુરુપયોગ થયો છે.

સરકારી આંકડા મુજબ, ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 15.58 લાખ બોગસ રેશનકાર્ડ રદ કરી દેવામાં આવ્યા છે. પરંતુ સવાલ એ થાય છે કે, અત્યાર સુધી 15 લાખ જેટલાં બોગસ કાર્ડધારકોના નામે હજારો ટન અનાજ કોણ લઈ ગયુ? કોના આશીર્વાદ હેઠળ બોગસ રેશનકાર્ડ બનાવવામાં આવ્યા હતાં? કયા સરકારી અધિકારીઓની મિલીભગત હતી.
એવી માંગ ઉઠી રહી છે કે, ગરીબોના મોંમાંથી કોળિયો છીનવી લેતા આવા નકલી ગરીબો સામે માત્ર રેશન કાર્ડ રદ કરવા પૂરતી કાર્યવાહી ન હોવી જોઈએ. સરકારના ટેક્સ અને સંસાધનોની લૂંટ કરનારા આ તત્ત્વો પાસેથી અત્યાર સુધી મેળવેલા અનાજની બજાર કિંમત વસૂલવી જોઇએ અને તેમના પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે.
દેશમાં ગરીબોનો હક છીનવી લેનારા લોકોને પાઠ ભણાવવા માટે કેન્દ્ર સરકારે ડેટા રાજ્ય સરકારને સોંપ્યા છે. આ ડેટા પ્રમાણે વધુ આવક ધરાવતા લોકો પણ સસ્તા અનાજની દુકાનમાંથી અનાજ લેતા હોવાનું બહાર આવ્યું છે. આ ડેટાના આધારે જિલ્લા અધિકારી દ્વારા પગલાં લેવામાં આવ્યાં છે. દરેક જિલ્લામાં આવા રેશનકાર્ડ ધારકોને નોટીસ આપવામાં આવી છે. જો આ નોટીસનો જવાબ સંતોષકારક નહીં હોય તો રેશનકાર્ડ દ્વારા અપાતુ અનાજ બંધ કરવામાં આવશે અને કાર્ડ પણ સામાન્ય રેશનકાર્ડમાં તબદીલ કરાશે.