
સુરતના પાંડેસરા વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો કિસ્સો સામે આવ્યો છે. પાંડેસરા વિસ્તારમાં ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ હેઠળ આંગણવાડી કેન્દ્રો મારફતે સગર્ભા અને ધાત્રી માતાઓ કઠોળનો જે જથ્થો વિતરણ કરવા માટે મોકલાયો હતો, તેની એક્સપાયરી ડેટ જૂન 2026માં પૂરી થઈ ગઇ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આંગણવાડી કાર્યકરોની તપાસમાં આ ગંભીર બેદરકારી સામે આવતા વહીવટી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે. સગર્ભા મહિલાઓ અને તેમના આવનારા નવજાત બાળકોના આરોગ્ય પ્રત્યે સરકારી તંત્ર લાપરવાહી દાખવી રહ્યું હોવાનો ઘાટ સર્જાયો છે. પાંડેસરા વિસ્તારમાં આવેલી 25થી વધુ આંગણવાડીઓમાં ‘ભેરુ ભવાની માર્કેટિંગ યુનિટ’માંથી સગર્ભા અને ધાત્રી માતાઓને જરૂરી પ્રોટીનયુક્ત આહાર મળી રહે તે માટે તુવેર દાળ-ચણા જેવો રાશનનો જથ્થો સપ્લાય કરવામાં આવે છે. જ્યારે આંગણવાડીની કાર્યકર બહેનો માલની ચકાસણી કરવા માટે પહોંચી, ત્યારે પેકેટો પર છપાયેલી એક્સપાયરી ડેટ પૂરી થઈ ચૂકી હતી.
આ મામલે દુકાન નંબર U-48ના માલિક સંજયકુમાર નટવરલાલ શાહે કહ્યું કે, આ માલ સરકારી ગોડાઉનમાંથી જ ‘એક્સપાયર્ડ ડેટ’વાળો મોકલવામાં આવે છે. જ્યારે સુરતના સરકારી ગોડાઉનમાંથી રાશનનો માલ મોકલવામાં આવે છે, ત્યારે વેપારીઓએ તે ફરજિયાત સ્વીકારવો પડે છે. જો વેપારીઓ આ ખરાબ કે એક્સપાયર્ડ માલ પરત કરવાનો પ્રયાસ કરે, તો સરકારી ગોડાઉન અને સંબંધિત અધિકારીઓ ઉપરથી રિટર્ન લેવાની ચોખ્ખી ના પાડી દે છે. આમ, વાસી માલ પધરાવીને વેપારીઓના માથે ચોંટાડી દેવામાં આવે છે.

સંજયકુમાર શાહે વધુમાં જણાવ્યું કે, તેમની દુકાન હેઠળ કુલ 24 આંગણવાડીનો માલ આવે છે. જૂન- જુલાઈ દરમિયાન 28 જૂને આવેલો આ માલ જ્યારે ખોલીને જોવામાં આવ્યો, ત્યારે જ તે એક્સપાયર્ડ હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તેમની દુકાનમાં 2311 કિલો ચણા અને 1980 કિલો દાળનો મોટો જથ્થો સડી રહ્યો છે. આટલો મોટો જથ્થો સ્ટોક કરી રાખવાના કારણે તેમની દુકાનમાં જગ્યાની ભારે અછત સર્જાઈ છે. ચોમાસાની ઋતુ હોવાથી જો આ માલ બહાર મૂકવામાં આવે તો વરસાદમાં પલળીને વધુ ખરાબ થઈ જાય તેમ છે. વળી, કંટ્રોલનો અન્ય સામાન્ય માલ રાખવા માટે પણ જગ્યા બચી નથી.
આક્ષેપ છે કે, એક્સપાયર્ડ માલ આવ્યા બાદ વેપારી દ્વારા ગોડાઉન મેનેજર તેમજ ઝોનલ ઓફિસર કેતુ કાવડને રૂબરૂ અને ટેલિફોનિક રજૂઆતો કરવામાં આવી હતી. અધિકારીઓએ આશ્વાસન આપ્યું હતું કે, આંગણવાડીની બહેનો પાસે લેખિતમાં લેવડાવીને માલ પરત લઈ લેવાશે, પરંતુ વારંવાર રજૂઆતો અને ફોન કરવા છતાં આજદિન સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ઊલટાનું આંગણવાડી કાર્યકરો પણ હવે આ માલ સ્વીકારવા કે પરત લેવાની ના પાડી રહ્યા છે. અધિકારીઓ માત્ર એકબીજા પર દોષનો ટોપલો ઢોળીને પોતાની જવાબદારીમાંથી છટકી રહ્યા હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.

હવે જ્યારે નવા મહિનાનો પોષણનો જથ્થો વિતરણ માટે આવ્યો છે, ત્યારે વેપારીઓમાં એક નવો ડર ઊભો થયો છે. નવા પોષણ માટે જ્યારે લાભાર્થી કે આંગણવાડી બહેનો અંગૂઠા મારશે, ત્યારે સિસ્ટમમાં આ જૂના અને એક્સપાયર્ડ દાળ-ચણાના જથ્થાના પણ અંગૂઠા પડી જશે અને ચોપડે વિતરણ થઈ ગયું હોવાનું દર્શાવી દેવાશે! જો આમ થશે તો આટલો મોટો વાસી માલ બારોબાર સગેવગે થઈ જશે અથવા સગર્ભા મહિલાઓના પેટમાં જશે. આ ગંભીર બેદરકારી સામે તુરંત કડક તપાસ કમિટી નીમી દોષિત અધિકારીઓ અને સપ્લાયરો સામે કડકમાં કડક પગલાં લેવાય તેવી માગ ઊઠી છે.
ઉલ્લેખનીય છે કે રાશન માતા અને બાળકના સ્વાસ્થ્ય માટે ‘સંજીવની’ બનવો જોઈતો હતો, તે વહાવટીતંત્રની બેદરકારીના કારણે આરોગ્ય માટે જોખમી બની ચૂક્યો હતો. જો આવા એક્સપયાર્ડ રાશન દ્વારા સગર્ભા કે ધાત્રી માતાઓ અને તેમના બાળકોને નુકસાન થાય તો તેના માટે કોણ જવાબદાર રહેશે? શું આ મામલે બેદરકારી દાખવનારા સરકારી બાબુઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે કે પછી આંખ આડા કાન કરી દેવાશે?