
અયોધ્યામાં રામ મંદિરમાં દાનની ચોરી અંગે વધી રહેલા પ્રશ્નો વચ્ચે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)એ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના વડા ચંપત રાયથી પોતાને દૂર કરી લીધું છે. VHPએ હવે ચોરીની ઘટનાની સંપૂર્ણ તપાસની માંગ કરી છે.
ઇન્ડિયા ટૂડેને આપેલા ઇન્ટર્વ્યૂમાં, VHP આંતરરાષ્ટ્રીય પ્રમુખ આલોક કુમારે જણાવ્યું હતું કે રામ મંદિર ટ્રસ્ટના તાજેતરના નિર્ણયો માટે સંગઠન કોઈ જવાબદારી લેતું નથી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે રામ જન્મભૂમિ આંદોલનમાં VHPની ભૂમિકા ત્યારે જ સમાપ્ત થઇ ગઇ હતી, જ્યારે તે સ્થળ પર મંદિર બનાવવાનો ઉદ્દેશ્ય પૂર્ણ થઇ ગયું હતું.

આલોક કુમારે કહ્યું કે, અમારી ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે. દેશમાં ક્યાંય પણ મંદિરો બનાવવાનું કે તેનું સંચાલન કરવાનું VHPનું કામ નથી. ટ્રસ્ટ જ તેનું સંચાલન કરશે, અને ટ્રસ્ટમાં જે કંઇ થશે, તેની જવાબદારી ટ્રસ્ટની જ રહેશે. આ બાબતો માટે RSS અથવા સરકારને જવાબદારી સોંપવી ખોટી હશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ તરીકે હું ચંપત રાયના કાર્યોથી પોતાને અલગ કરી રહ્યો છું.’ આ નિવેદન રાજકીય રીતે એવા સમયે આવ્યું છે જ્યારે દેશના સૌથી મહત્ત્વપૂર્ણ સ્થળોમાંથી એકની દેખરેખ કરનાર ટ્રસ્ટના કામકાજ અને ભક્તોના દાનના ઉપયોગ અંગે તપાસ તેજ બની રહી છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ બનતા પહેલા લાંબા સમય સુધી VHP સાથે સંકળાયેલા ચંપત રાયે નાણાકીય અનિયમિતતાના વધતા આરોપો વચ્ચે નૈતિક ધોરણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રારંભિક તપાસ દ્વારા ઉભા થયેલા દબાણને પગલે ટ્રસ્ટી અનિલ મિશ્રાએ પણ રાજીનામું આપી દીધું છે.
સંગઠન સાથે ચંપત રાયના લાંબા સમયના જોડાણ અંગેના પ્રશ્નો વચ્ચે, આલોક કુમારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે મંદિરના નિર્માણ માટે માર્ગ મોકળો કર્યો ત્યારથી ટ્રસ્ટ સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યું છે. અયોધ્યામાં જે બન્યું તે ખરેખર શરમજનક અને અપમાનજનક છે. વિશ્વભરના હિન્દુઓ, ખાસ કરીને દાન આપનારા કાર સેવકો અને તેમના પરિવારો આ બાબતથી ખૂબ જ દુઃખી છે.
કુમારે તર્ક આપ્યો કે કે મંદિરના વહીવટની જવાબદારી ટ્રસ્ટની છે, VHPની નહીં. રામ જન્મભૂમિના ચૂકાદા બાદ સંગઠનના વલણને યાદ કરતા તેમણે કહ્યું કે સંગઠને સ્પષ્ટપણે કહ્યું હતું કે તે ન તો મંદિરનું નિર્માણ કરશે કે ન તો તેને ચલાવશે.