
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ સોમવારે એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, ભવિષ્યમાં દિલ્હીની બસો મ્યુનિસિપલ કચરામાંથી બનેલા હાઇડ્રોજન પર દોડી શકે છે. તેમણે કહ્યું કે, આ બધું શક્ય છે. છેલ્લા 50 વર્ષમાં શું ક્યારેય એવું બન્યું છે કે, મારી કોઈ આગાહી સાચી ન પડી હોય? કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ 2027 સુધીમાં સમગ્ર દેશમાંથી કચરો દૂર કરવાની યોજના પર પણ ચર્ચા કરી હતી.

દિલ્હી BJPના યુવા સંમેલનને સંબોધતા કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, ભવિષ્યમાં દિલ્હીની બસો મ્યુનિસિપલ કચરામાંથી બનેલા હાઇડ્રોજન પર દોડશે. લોકો પૂછે છે કે, આ કેવી રીતે થશે? હું માનું છું કે આ બધું શક્ય છે. શું છેલ્લા 50 વર્ષમાં ક્યારેય એવું બન્યું છે કે મારી કોઈ આગાહી સાચી ન પડી હોય?
નિતીન ગડકરીએ એવી દુનિયાની પણ કલ્પના કરી હતી, જ્યાં વાહનોને પાવર આપવા માટે હાઇડ્રોજનનો ઉપયોગ કરવામાં આવશે. હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે પાણીનો ઉપયોગ કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રીએ 2027 સુધીમાં સમગ્ર દેશમાંથી કચરો નાબૂદ કરવાની યોજનાની રૂપરેખા આપી.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, દિલ્હીમાં એક્સપ્રેસવેના નિર્માણમાં લેન્ડફિલ્સમાંથી 80 લાખ ટન કચરો પહેલેથી જ ઉપયોગમાં લેવાયો છે. ભવિષ્યમાં, કચરાને અલગ અલગ કરવામાં આવશે. આ કચરાનો ઉપયોગ બાયો-ડાયજેસ્ટર્સ દ્વારા હાઇડ્રોજન ઉત્પન્ન કરવા માટે કરવામાં આવશે, દિલ્હીની બસો આનાથી જ ચાલશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કચરામાંથી આવક ઉત્પન્ન કરવાની સંભાવના વિશે પણ ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે તેમના મતવિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ટ્રીટેડ ગંદા પાણીનું વેચાણ કરીને વાર્ષિક આશરે રૂ. 325 કરોડ કમાય છે.

તાજેતરમાં, પેટ્રોલ સાથે ઇથેનોલના મિશ્રણની ટીકા વચ્ચે, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આનાથી તેલની આયાતમાં ખુબ મોટી બચત થઈ શકે છે. વૈકલ્પિક ઇંધણ પર ચાલતા વાહનો હવે ઉપલબ્ધ છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CAs)ના ઉપ-પ્રાદેશિક પરિષદને સંબોધતા, ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર ઇથેનોલ, મિથેનોલ અને બાયોડીઝલ જેવા વૈકલ્પિક ઇંધણને પ્રોત્સાહન આપીને પેટ્રોલિયમ આયાત પર નિર્ભરતા ઘટાડવા તરફ કામ કરી રહી છે.
એક સમાચાર એજન્સીના અહેવાલ મુજબ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, આપણે ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનના ક્ષેત્રમાં ઝડપથી પ્રગતિ કરી રહ્યા છીએ. હવે સ્થિતિ એવી છે કે ભારતમાં ઉત્પાદિત ઇલેક્ટ્રિક સ્કૂટર્સની નિકાસ પણ થઈ રહી છે. આપણે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને વિકાસ યોજનાઓ તૈયાર કરવી પડશે. હાઇડ્રોજન અને અન્ય સ્વચ્છ ઇંધણ તકનીકોના વિસ્તરણથી ગ્રામીણ વિસ્તારોમાં રોજગારની નવી તકો ઊભી થશે.