

અમદાવાદ (ગુજરાત) [ભારત], 17 ઓગસ્ટ: અમેરીકા ખાતે આધ્યાત્મિક યાત્રાનાં અવિસ્મરણીય પડાવ સમી રામકથાનો દિવ્ય આરંભ થયો.ઐતિહાસિક યુનિવર્સિટીની આધ્યાત્મિક યાત્રામાં બહોળી સંખ્યામાં કથાકારો, સાહિત્યકારો,વિદ્વાનો, વિચારકો સામેલ થયા. હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક વિશ્વવિદ્યાલયોનું જાણે મિલન સર્જાયું!
પોતાના તિરસ્કારને પકડી રાખી એનું રક્ષણ કરે એ ગ્રંથિ,એમાંથી સ્વીકાર તરફ મોકળો માર્ગ બનાવે એ ગ્રંથ છે. “મારું કોઈ મિશન નથી પણ મીઠો મનોરથ છે કે હૃદય વિચારક બને બુદ્ધિ ગુણાતિત થઈ જાય.” શબ્દ કૃત્ય ન બને ત્યાં સુધી વાત બનતી નથી,આ સેવનીય શાસ્ત્ર છે લૌકિક-અલૌકિકને છોડીને મૌલિક થઈ જવું ખૂબ સારું રહેશે. ભારતીય ધર્મ જગતનો એક વિશિષ્ટ ગૌરવપૂર્ણ દિન ભારતનો 80મા સ્વતંત્રતા દિવસ-૧૫ ઓગસ્ટનાં, મોરારી બાપુની આધ્યાત્મિક યાત્રાની એક મહત્વની કડી જેવો દિવસ જ્યારે સેન્ડર્સ થિયેટર મેમોરિયલ હોલ-હાર્વર્ડ યુનિવર્સિટી-અમેરીકા ખાતે બાપુની રામકથાની ચોપાઈ તલગાજરડી વ્યાસપીઠથી ગુંજી ઊઠી.
અમેરીકા ખાતે ૧૫મી ઓગસ્ટનાં સાંજથી મોરારી બાપુની ૯૮૨મી રામકથાનો ગરિમાપૂર્ણ આરંભ થયો. ત્યારે આરંભે દીપ પ્રજ્વલન અને વેદનાં ઘનપાઠની વિધિ પછી અહીંના આયોજકો દ્વારા તેમજ મનોરથી લોર્ડ ડોલર પોપટ દ્વારા સ્વાગત વિધિ થયો. ભારતથી પધારેલા સંતો-મહંતો,કથા વાચકો, હાર્વર્ડનાં ઐતિહાસિક સભાગારમાં સ્કોલરની ભવ્ય બેઠક વ્યવસ્થાની બેંચ પર શ્રોતાઓએ સ્થાન ગ્રહણ કર્યું ત્યારે વિશ્વવિખ્યાત વિન્ટેજ હેરિટેજ જેવા સેન્ડર્સ હોલમાં હાર્વર્ડમાં હાર્ડવર્ક અને હાર્ટવર્ક(બાપુ) વિશ્વવિદ્યાલયોનુ જાણે મિલન સર્જાયું!

પરમાત્માની અસીમ કૃપાથી આ વિશ્વ વિદ્યાલયનાં આંગણામાં શ્રાવણ મહિનામાં આ રામકથાનો આરંભ,અહીં આવી શક્યા એ કથાકારો,સાહિત્યકારો,વિચાર જગતના મનીષીઓની સામે બાપુએ કહ્યું કે આજે રાષ્ટ્ર અને વિશ્વને સાધુભાષાની જરૂર છે. પાવન પોપટે, ડોલર પોપટ,સંધ્યા બહેન,રુપિન અને શિવાંગ-આખા પરિવારને કારણે ગજબ તો નહીં પણ અજબ કામ કર્યું છે.હાર્વર્ડ યુનિવર્સિટીમાં હાર્ડવર્ક અને હાર્ટવર્કનાં કારણે આ થયું છે.
યુનિવર્સિટી તરફથી એક સભ્ય વ્યવસ્થા માટે તલગાજરડા આમંત્રણ લઈને આવેલા એની વાત કરીને આનંદપૂર્ણ સદભાવ,આવકાર અને આદર બદલ બાપુએ ધન્યવાદ પ્રગટ કર્યો.આ થવાનું હતું એટલે થઈ રહ્યું છે.આ ઐતિહાસિક નહીં આધ્યાત્મિક અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે. જ્યારે સવારે ગુજરાતથી આવેલા સુભાષ ભટ્ટ,નેહલ ગઢવી,જય વસાવડાએ સનાતન મંદિરમાં પ્રવચન કર્યું ત્યારે જ જાણે મંગલાચરણ થઈ ગયું એમ કહી બાપુએ કહ્યું કે લૌકિક-અલૌકિકને છોડીને જે મૌલિક થઈ જાય છે એ ખૂબ સારું રહેશે. અહીં સંખ્યામાં અનેક ગુરુઓ થયા હશે,કેટલાય રાજનેતાઓ,નોબલ પુરસ્કાર વિજેતાઓ અને ઉદ્યોગપતિઓ પણ અહીં ભણેલા હશે.
રામચરિત માનસમાં અલગ-અલગ ૩૩ વખત પ્રસાદ શબ્દમાં ત્રણ વખત ‘ગુરુપ્રસાદ’ શબ્દ આવ્યો છે એના ઉપર સંવાદ કરશું.વિશ્વને પણ સંવાદની જરૂર છે. માનસમાં જ્ઞાન,ભક્તિ,કર્મ અને ઉપાસનાનાં ઘાટ પર સંવાદ થયા છે.
યુનિવર્સિટીમાં રામકથા? સ્વાભાવિક પ્રશ્ન છે.પણ સાહિત્ય આને મહાકાવ્ય કહે છે તો એ યુનિવર્સિટીમાં થાય અને ગોસ્વામીજી માત્ર મહાકાવ્ય નહીં મહામંત્ર કહે છે.ગ્રંથ,ગ્રંથિ મુક્ત છે. આ ગ્રંથ નહીં સદગ્રંથ છે,ત્રિભુવનીય વિચાર છે, વૈશ્વિક વિચાર છે.આપણે પૂજન કરીએ છીએ,સેવન નથી કરતા.શબ્દ કૃત્ય ન બને ત્યાં સુધી વાત બનતી નથી,આ સેવનીય શાસ્ત્ર છે.સત્ય-પ્રેમ-કરુણા માનસની પ્રસ્થાનત્રયિ છે.પોતાના તિરસ્કારને પકડી રાખી એનું રક્ષણ કરે એ ગ્રંથિ,એમાંથી સ્વીકાર તરફ મોકળો માર્ગ બનાવે એ ગ્રંથ છે.આનું માહાત્મ્ય મહિમા ગાન તો છે જ પણ વક્તા ગ્રંથનો પરિચય પણ કરાવે છે.
કથા વિશેષ
આ રામકથા રૂપી આધ્યાત્મિક યાત્રા ઘણી બધી રીતે વિશિષ્ટ છે.
બાપુની આ કથા,કથાક્રમની ૯૮૨ની રામકથા છે.
આ કથાનાં મનોરથી અમેરીકા સ્થિત લોર્ડ ડોલર પોપટ પરિવાર છે.
યોગાનુયોગ શુભ સંયોગ એ છે કે આ રામકથાનું ગાન વિશ્વપ્રસિદ્ધ હાર્વર્ડ યુનિવર્સિટીનાં સ્થાન પરથી ભારતનાં 80મા સ્વતંત્રતા દિવસ પર્વનાં દિવસે શરૂ થઈ રહ્યું છે.
અમેરિકાની ધરતી પર મોરારી બાપુ આ પહેલા 39 વખત કથાગાન કરી ચૂક્યા છે.આ કથા દ્વારા અમેરીકામાં 40મી વખત વ્યાસપીઠ મુખર થઈ રહી છે. આ કથાગાન દરમિયાન પહેલી વખત વિદેશની ધરતી પર તુલસી જન્મોત્સવની ઉજવણી થશે.