
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો આજે અંતિમ દિવસ છે. આજે મહત્ત્વના ગણાતા ગુજરાત ભાડા બિલ, ગુજરાત ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ગુજરાતની ખેતીની જમીનના ટુકડા પડતા અટકાવવા અને તેનું એકત્રીકરણ કરવા સુધારા બિલ રજૂ કરાશે. આ અગાઉ પ્રશ્નોતરી કાળ થયો હતો.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ગૃહમાં કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ આ બાબતે તાકીદની ચર્ચાની માંગણી કરતા જણાવ્યું હતું કે, જે જિલ્લાઓમાં વરસાદ ઓછો છે તેને સત્વરે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા જોઈએ. આ ચર્ચામાં ઝંપલાવતા વિમલ ચુડાસમાએ વરસાદના અભાવે પાક નિષ્ફળતાના કિસ્સામાં ખેડૂતોના દેવા માફ કરવાની માંગણી કરી હતી. આ મુદ્દે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ વ્યાજ માફી અંગે લોકોમાં ખોટો સંદેશ જવાની શક્યતા દર્શાવતા જણાવ્યું કે NPA થયેલા કેસમાં જ લોન માફી મળતી હોય છે.

તેમણે જણાવ્યું હતું કે દુષ્કાળ નક્કી કરવા માટે માત્ર વરસાદ જ નહીં, પણ વાવેતરની સ્થિતિ, NDVI વેજિટેશન ઇન્ડેક્સ જમીનનો ભેજ અને ભૂગર્ભજળ જેવા વૈજ્ઞાનિક માપદંડોને ધ્યાને લેવામાં આવે છે. તેમજ સંસદીય મંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે, સરકાર ખેડૂતોના હિત માટે કટિબદ્ધ છે અને ઘાસચારો તથા વીજળીની વ્યવસ્થા કરવામાં આવી છે. પીવાના પાણી માટે નર્મદા ડેમનો જથ્થો અનામત રખાયો છે અને સિંચાઈ માટે પણ યોગ્ય વ્યવસ્થા છે. વધુમાં 12-15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી હોવાથી સરકાર હાલમાં સ્થિતિ પર નજર રાખી રહી છે અને ડેટાના આધારે જ યોગ્ય નિર્ણય લેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, 3 સપ્ટેમ્બર 2026 સુધીના આંકડા મુજબ રાજ્યમાં 94.43% સરેરાશ વરસાદ નોંધાયો છે, તેમ છતાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં ખેડૂતો પાણી માટે વલખાં મારી રહ્યા છે.
પાદરા તાલુકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના પાક પર સંકટ ઊભું થયું હોવાના આક્ષેપ સાથે પાદરા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને તાત્કાલિક પાક સહાય આપવાની માંગ સાથે પાદરા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીર ગઢડા તાલુકામાં આ વર્ષે ઓછો અને અનિયમિત વરસાદ પડ્યો છે. આ કારણે સર્જાયેલી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને બંને તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઉઠી છે. ઉના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી તાત્કાલિક રાહત આપવા વિનંતી કરી છે. ધારાસભ્યએ મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે ઉના અને ગીર ગઢડા તાલુકા મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર આધાર રાખે છે. આ વર્ષે ઓછા વરસાદને કારણે દુષ્કાળ જેવી કપરી સ્થિતિ બની છે. વરસાદ ખેંચાતા ઘણા વિસ્તારોમાં પાક નિષ્ફળ જવાની શક્યતા છે, જેનાથી ખેડૂતો, પશુપાલકો અને સામાન્ય લોકોને જીવન ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે.
રજૂઆતમાં વધુમાં કહેવાયું છે કે વરસાદ ન હોવાથી ખેતી માટે પાણીની મોટી સમસ્યા છે અને જમીનમાં પાણીનું સ્તર પણ નીચે ગયું છે. બીજી તરફ, બંને તાલુકામાં પશુઓની સંખ્યા ઘણી મોટી હોવાથી પશુપાલકો માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની છે.ધારાસભ્ય કાળુભાઈ રાઠોડે માંગ કરી છે કે ગીર ગાયો સહિત પશુઓને બચાવવા માટે તાલુકા મથકોએ તાત્કાલિક સરકારી ઘાસ ડેપો શરૂ કરવામાં આવે. આ ઘાસ રાહત દરે અથવા જરૂરિયાત મુજબ મફત આપવાની પણ માંગ છે. સાથે જ, ખેડૂતોને વાવેતર કરેલા પાકમાં નુકસાન થયું હોય તો તેનું સર્વે કરાવી યોગ્ય પાક નુકસાની સહાય ચૂકવવામાં આવે.
આ ઉપરાંત, ખેડૂતો માટે ખાસ રાહત પેકેજ જાહેર કરી પાક નુકસાનીની સહાય, ખેતીના વીજ બિલમાં રાહત અને અન્ય સરકારી રાહત યોજનાઓનો લાભ તાત્કાલિક પહોંચાડવા પણ રજૂઆત કરાઈ છે. ધારાસભ્યએ પત્રના અંતે ઉના અને ગીર ગઢડા તાલુકાની આ મુશ્કેલ પરિસ્થિતિને ગંભીરતાથી ધ્યાનમાં લઈ બંને તાલુકાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને ખેડૂતો-પશુપાલકોને રાહત મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા મુખ્યમંત્રીને વિનંતી કરી છે.