ભાજપના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ 23 માર્ચ 2024ના દિવસે એક સભામાં જે નિવેદન આપેલું તેને કારણે ક્ષત્રિય સમાજના લોકો નારાજ થયા હતા. આજે એ વાતને એક મહિનાથી વધારેનો સમય થયો છે છતા આંદોલન સમેટાયું નથી. ક્ષત્રિય સમાજે અગાઉ રૂપાલાને રાજકોટ બેઠક પરથી હટાવવા માંગ કરી હતી, પરંતુ ભાજપે રૂપાલાને હટાવ્યા નથી.
હવે ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ-2ની જાહેરાત કરી છે અને 24 એપ્રિલથી ધર્મ રથ ગુજરાતભરમાં ભ્રમણ કરાવવાની યોજના બનાવી છે. ક્ષત્રિય સમાજનો આ ધર્મ રથ 27 એપ્રિલે મહેસાણા જિલ્લાના વિસનગરમાં જશે અને ત્યાં મહાસંમેલન કરવામાં આવશે. 28 એપ્રિલે દક્ષિણ ગુજરાતના બારડોલીમાં જશે. 1 મેના દિવસે આણંદ અને 2 મેના દિવસે જામનગરમાં મહાસંમેલન કરવામાં આવશે.