fbpx

શું મંદી આવી છે? અમેરિકાના એક અહેવાલે દુનિયાભરના શેરબજારોને હચમચાવી નાખ્યા

Spread the love

દુનિયાભરના શેરબજારોમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. ભારતના શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો બોલી ગયો હતો. જાપાનમાં 7.3 ટકા, તાઈવાનમાં 7.7 ટકા અને દક્ષિણ કોરિયામાં 6.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

છેવટે, વિશ્વભરના શેરબજારોમાં આટલા મોટા ઘટાડાનું કારણ શું છે? હકીકતમાં આ માટે અમેરિકાના નોકરીઓના આંકડાને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. શુક્રવારે અમેરિકાએ નોકરીઓનો ડેટા જાહેર કર્યો. અમેરિકામાં બેરોજગારીનો દર સતત વધી રહ્યો હોવાનું બહાર આવ્યું છે. જેના કારણે અમેરિકામાં મંદીનો ભય ઉભો થયો છે.

અમેરિકામાં જાહેર થયેલા આ જોબ ડેટાએ દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. સવાલ એ ઉઠવા લાગ્યો છે કે, શું વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા મંદીમાં સપડાઈ રહી છે?

ગયા શુક્રવારે, અમેરિકાના બ્યુરો ઑફ લેબર સ્ટેટિસ્ટિક્સે નોકરીઓ અંગેનો ડેટા જાહેર કર્યો. એમાં એવું કહેવામાં આવ્યું હતું કે, જુલાઈમાં માત્ર 1.14 લાખ લોકોને જ નોકરી મળી છે. જ્યારે અત્યાર સુધી દર મહિને સરેરાશ 2.15 લાખ નોકરીઓ મળતી હતી.

એવું કહેવામાં આવ્યું છે કે, જુલાઈ સતત ત્રીજો મહિનો હતો જ્યારે બેરોજગારી દરમાં વધારો થયો હતો. જુલાઈમાં બેરોજગારીનો દર 4.3 ટકા હતો. જ્યારે, અગાઉ તે જૂનમાં 4.1 ટકા અને મેમાં 4 ટકા હતો. જુલાઈમાં બેરોજગારીનો આંકડો ઓક્ટોબર 2021 પછી સૌથી વધુ હતો.

આંકડા દર્શાવે છે કે, પુરુષોમાં બેરોજગારીનો દર 4 ટકા અને સ્ત્રીઓમાં 3.8 ટકા હતો. સૌથી વધુ બેરોજગારીનો દર અશ્વેત અને આફ્રિકન-અમેરિકનોમાં હતો. અશ્વેત અને આફ્રિકન-અમેરિકનોમાં બેરોજગારીનો દર 6.3 ટકા હતો, જ્યારે જુલાઈ 2023માં તે 5.7 ટકા હતો.

જુલાઈમાં બેરોજગારીનો દર 0.2 ટકા વધીને 4.3 ટકા થયો. આ મહિને 3.52 લાખ લોકો બેરોજગાર બન્યા છે. અમેરિકામાં જુલાઈ સુધી કુલ 72 લાખ લોકો બેરોજગાર હતા.

બેરોજગારોમાં અંદાજે 11 લાખ લોકો એવા છે જેમને અસ્થાયી ધોરણે નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે. તેનો અર્થ એ કે, તેઓને પાછળથી ફરી નોકરી પર રાખી શકાય છે. જ્યારે 17 લાખ લોકો એવા છે જેમને કંપનીઓએ કાયમી ધોરણે નોકરીમાંથી કાઢી મૂક્યા છે.

અમેરિકામાં લાંબા ગાળાના બેરોજગારોની સંખ્યામાં પણ એક વર્ષમાં ત્રણ લાખથી વધુનો વધારો થયો છે. જુલાઈ સુધી અમેરિકામાં 15 લાખથી વધુ લોકો એવા હતા જે લાંબા સમયથી બેરોજગાર હતા. જ્યારે એક વર્ષ પહેલા સુધી આવા બેરોજગારોની સંખ્યા 12 લાખ જેટલી હતી.

એટલું જ નહીં, એક મહિનામાં લોકોની સરેરાશ કમાણીમાં પણ થોડો ઘટાડો થયો છે. જૂનમાં વ્યક્તિની સરેરાશ સાપ્તાહિક કમાણી 1,200.16 ડૉલર હતી. જુલાઈમાં તે થોડો ઘટીને 1,199.39 ડૉલર થયો.

અમેરિકી સરકારે જુલાઈ માટે બેરોજગારી અંગે જાહેર કરેલા આંકડાઓએ મંદીની આશંકા વ્યક્ત કરી છે. અમેરિકામાં મંદીને લઈને એક નિયમ છે. આ નિયમ ભૂતપૂર્વ અર્થશાસ્ત્રી ક્લાઉડિયા સેમ દ્વારા બનાવવામાં આવ્યો હતો. આ નિયમ કહે છે કે, જો બેરોજગારીનો દર સતત ત્રણ મહિના સુધી પાછલા વર્ષના નીચા સ્તરથી અડધા પોઈન્ટથી પણ વધે છે, તો એવું માની લેવું જોઈએ કે મંદી આવી છે.

આંકડા દર્શાવે છે કે, અમેરિકામાં સતત પાંચ મહિનાથી બેરોજગારીનો દર વધી રહ્યો છે. માર્ચમાં બેરોજગારીનો દર 3.8 ટકા હતો, જે જુલાઈમાં વધીને 4.3 ટકા થયો.

આટલું જ નહીં, અમેરિકામાં જુલાઈમાં લગભગ 2.5 લાખ લોકોને કંપનીઓએ છટણી કરીને છૂટા કર્યા. ગયા વર્ષે પણ એપલ, માઇક્રોસોફ્ટ અને ગૂગલ જેવી મોટી ટેક કંપનીઓએ લગભગ બે લાખ છટણી કરી હતી.

આનાથી અમેરિકામાં મંદીના સંકેત દેખાઈ રહ્યા છે. જો કે, કેટલાક નિષ્ણાતો માને છે કે, બેરોજગારી દર અને છટણી મંદીનો સંકેત આપતા નથી. નિષ્ણાતો માને છે કે, બેરોજગારી દરમાં વધારો છટણીને કારણે નથી, પરંતુ શ્રમ બજારમાં ઇમિગ્રન્ટ્સની સંખ્યામાં વધારો થવાને કારણે છે.

ફેડરલ રિઝર્વ બેન્કના વડા જેરોમ પોવેલે પણ મંદીની શક્યતાને નકારી કાઢી છે. તેમનું કહેવું છે કે હજુ મંદીના કોઈ ચિહ્નો દેખાતા નથી. GW સેન્ટર ફોર ઇકોનોમિક રિસર્ચના ડિરેક્ટર તારા સિંકલેરે મીડિયા સૂત્રને જણાવ્યું કે, બેરોજગારી દરના આંકડા મંદીની શરૂઆતનો સંકેત આપતા નથી.

શુક્રવારે બેરોજગારીનો અહેવાલ આવ્યા પછી અમેરિકન શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. શુક્રવારે ડાઉ જોન્સ 600 પોઈન્ટ તૂટ્યો હતો. હવે સોમવારે વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

ભારતમાં સોમવારે સેન્સેક્સમાં 2000 પોઈન્ટ્સ અને નિફ્ટીમાં 650 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ માટે અમેરિકાના જોબ રિપોર્ટને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે. કારણ કે આ રિપોર્ટના કારણે અમેરિકામાં મંદીનો ડર વધી ગયો છે. તેની અસર શેરબજારમાં જોવા મળી રહી છે. હકીકતમાં, જ્યારે પણ અમેરિકામાં અર્થવ્યવસ્થા નબળી પડવાના સંકેત મળે છે, ત્યારે રોકાણકારો તેમના પૈસા ઉપાડવાનું શરૂ કરે છે, જેના કારણે શેરબજાર નીચે આવે છે. અમેરિકન શેરબજારમાં ઘટાડાને કારણે ભારતીય બજારમાં પણ વેચવાલી વધી છે. લોકો તેમના પૈસા ઉપાડવાનું શરૂ કરે છે.

આ સિવાય અમેરિકામાં મંદીની સીધી અસર ભારતીય ઉદ્યોગો પર પણ પડી છે. ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જે અમેરિકા પર નિર્ભર છે. જેમ કે, ઓટો, એનર્જી અને IT સેક્ટર મોટાભાગે અમેરિકા પર નિર્ભર છે. આ સેક્ટરના શેરોમાં ઘટાડો જોવા મળ્યો છે.

બીજું મોટું કારણ એ પણ છે કે, અમેરિકામાં બેરોજગારીનો દર વધી રહ્યો છે અને મેન્યુફેક્ચરિંગમાં ઘટાડો વૈશ્વિક માંગમાં ઘટાડા તરફ દોરી જાય છે. તેની ભારતની નિકાસ પર નકારાત્મક અસર પડી છે, જેની અસર શેરબજારમાં જોવા મળી રહી છે.

error: Content is protected !!