fbpx

શેખ હસીના ભાગીને ભારત આવ્યા, જાણો શું થયું છે બાંગ્લાદેશમાં…

Spread the love

પાડોશી દેશ બાંગ્લાદેશ હિંસાની આગમાં સળગી રહ્યો છે. બગડતા સંજોગો વચ્ચે શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે. તે આર્મીના હેલિકોપ્ટરમાં બેસીને સલામત સ્થળે જવા રવાના થઈ ગયા છે. તેમની બહેન પણ તેમની સાથે છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, શેખ હસીના જે પ્લેનમાં રવાના થયા હતા, તે ગાઝિયાબાદના હિંડોન એરબેઝ પર લેન્ડ થયું છે. અગાઉ, બાંગ્લાદેશથી મળેલી તસવીરો દર્શાવે છે કે ઢાકામાં PMના આવાસને ટોળાએ કબજે કરી લીધું હતું. આ પછી દેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને રાષ્ટ્રને સંબોધન કર્યું અને કહ્યું કે વચગાળાની સરકાર દેશને ચલાવશે. તેમણે કહ્યું કે, તેઓ દેશમાં શાંતિ પાછી લાવશે. તેમણે પોતાના દેશના નાગરિકોને હિંસા બંધ કરવા પણ વિનંતી કરી.

બાંગ્લાદેશમાં રવિવારે હિંસક શેરી અથડામણમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે. દેખાવકારોએ આજે લાદવામાં આવેલા કર્ફ્યુને અવગણ્યો અને ઢાકા સુધી લોંગ માર્ચનું આહ્વાન કર્યું.

શેખ હસીનાના રાજીનામા પછી આર્મી ચીફ વકાર ઉઝ જમાને પ્રેસ કોન્ફરન્સમાં વિદ્યાર્થીઓને તેમની માંગણીઓ પૂરી કરવાનું કહ્યું અને એમ પણ કહ્યું કે તમે લોકો અમારી સાથે આવો તો અમે પરિસ્થિતિ બદલી નાખીશું. લડાઈ, અરાજકતા અને સંઘર્ષથી દૂર રહો. સાથે જ આર્મી ચીફે કહ્યું છે કે, તેઓ ટૂંક સમયમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર બનાવશે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે, જો બાંગ્લાદેશમાં બળવા પછી આર્મી શાસન લાદવામાં આવે છે, તો આર્મી ચીફ પાસે સમગ્ર દેશની કમાન હશે. હાલમાં વકાર ઉઝ ઝમાન દેશના આર્મી ચીફ છે.

બાંગ્લાદેશના પૂર્વ PM અને BNP નેતા ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે. તારિક રહેમાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, ‘શેખ હસીનાનું રાજીનામું એ લોકોની શક્તિનો પુરાવો છે અને ભવિષ્યની પેઢીઓ માટે એક ઉદાહરણ બની રહેશે, જે દર્શાવે છે કે લોકોની હિંમત કેવી રીતે અત્યાચારોને દૂર કરી શકે છે. સમાજના તમામ વર્ગોના વિદ્યાર્થીઓ અને વિરોધ કરનારાઓને અભિનંદન. આ ઐતિહાસિક દિવસે, ન્યાયની તેમની નિઃસ્વાર્થ ભાવના અને તેમના સાથીદારો માટે પ્રેમ મજબૂત થયો છે. ચાલો આપણે સાથે મળીને બાંગ્લાદેશને લોકશાહી અને વિકસિત રાષ્ટ્ર તરીકે પુનઃનિર્માણ કરીએ, જ્યાં તમામ લોકોના અધિકારો અને સ્વતંત્રતાઓ સુરક્ષિત હોય.’

બાંગ્લાદેશમાં થઈ રહેલા ભારે વિરોધને કારણે શેખ હસીનાએ રાજીનામું આપવું પડ્યું હતું. સોમવારે પ્રદર્શનકારીઓ ઢાકામાં PMના આવાસમાં ઘૂસી ગયા હતા. બાંગ્લાદેશમાં વિવાદાસ્પદ ક્વોટા સિસ્ટમ સામે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. આ સિસ્ટમ હેઠળ, 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડતમાં ભાગ લેનારાઓના સંબંધીઓને 30 ટકા સરકારી નોકરીઓ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, આ સિસ્ટમ દ્વારા શેખ હસીના અને તેમની પાર્ટી તેમના વફાદારોને ફાયદો પહોંચાડે છે.

error: Content is protected !!