
ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ અને વિધાનસભા પક્ષના નેતા અમિત ચાવડાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને જીમ-11ની આગની ઘટનામાં તક્ષશીલાની જેમ બિલ્ડર અને સુરત મહાનગર પાલિકાના જવાબદાર અધિકારી સામે ગુનો દાખલ કરવાની માંગ કરી છે. અમિત ચાવડાએ કોઇનું નામ નથી લખ્યું, પરંતુ આ ઇશારો અનિલ રૂંગટાની સામે છે, કારણકે જીમ-11ની પ્રોપર્ટીના માલિક અનિલ રૂંગટા છે અને પોલીસે હજુ સુધી તેમની સામે ગુનો દાખલ કર્યો નથી.

ચાવડાએ લખ્યુ કે, મીડિયાના માધ્યમથી જાણવા મળ્યુ કે, આ મિલ્કતના માલિક સુરતના વગદાર અને મોટા બિલ્ડર છે અને વિશ્વ હિંદુ પરિષદ સાથે સંકળાયેલા છે. તેથી એવું લાગે છે કે તંત્ર દ્રારા તેમને રક્ષણ આપવામાં આવી રહ્યું છે. જો પોલીસ કોઇ કાર્યવાહી ન કરશે તો જાગૃત સંગઠનો દ્રારા હાઇકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવશે.
