

ટ્યુબરક્યુલોસિસ (ક્ષયરોગ) નાબૂદ કરવાની લડતને મજબૂતી આપવા માટે ડૉ. પારુલ વડગામા મહત્વની જવાબદારી સંભાળશે: IMA નેશનલ વર્કિંગ ગ્રુપના ચેરમેન તરીકે નિયુક્ત કરાયા
ભારતમાંથી ટ્યુબરક્યુલોસિસ (TB) સંપૂર્ણપણે નાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) દ્વારા “ટ્યુબરક્યુલોસિસ કેર માટેના નેશનલ વર્કિંગ ગ્રુપ” ( National Working Group on Standards of TB Care in India ) ની રચના કરવામાં આવી છે. આ ગ્રુપ “ધ ઇન્ટરનેશનલ યુનિયન અગેઇન્સ્ટ ટ્યુબરક્યુલોસિસ એન્ડ લંગ ડિઝીઝ” અને IMA વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)ને અમલમાં મુકશે.


IMA છેલ્લા ઘણા દાયકાઓથી દેશમાં TBની સારવાર, જાગૃતિ અને નિવારણ માટે મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષમાં, IMAએ અગણિત ડોકટરોને TBની સફળ સારવાર માટે તાલીમ આપી છે. સાથે જ, દેશવ્યાપી સ્તરે TB નિયંત્રણ માટે અનેક જનજાગૃતિ અભિયાન ચલાવ્યા છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં TB અંગેની સમજણ વિકસાવવી, લક્ષણોની ઓળખ કરીને દર્દીઓને સંપૂર્ણ સારવાર પૂરું પાડવી જેવા વિષયો પર કામ કરાયું છે. IMAના નેતૃત્વ હેઠળ, પેશન્ટ-સેન્ટ્રિક કેર માટે નવીનતમ પદ્ધતિઓ અપનાવવામાં આવી છે, જેથી TBના દર્દીઓને સારી અને ઝડપભરી સારવાર મળી શકે.
IMAના નેશનલ પ્રેસિડેન્ટ ડૉ. દિલીપ ભાનુશાળી, નેશનલ પ્રેસિડેન્ટ ઈલેક્ટ ડૉ.અનીલ નાયક અને સેક્રેટરી જનરલ ડૉ. સરબારી દત્તા દ્વારા આ ગ્રુપના અધ્યક્ષ તરીકે ડૉ. પારુલ વડગામા (સુરત, ગુજરાત)ની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે ડૉ. સુધીર પ્રસાદ (હૈદરાબાદ, તેલંગાણા) સંયોજક તરીકે અને ડૉ. સંદીપ દત્તા (દિલ્હી) સભ્ય તરીકે કામ કરશે. ડૉ. પારુલ વડગામા જાણીતા મેડીકો સોસ્યો એક્ટીવીસ્ટ છે. તેમજ તેઓ સુરત સિવિલમાં ટીબી અને ચેસ્ટ વિભાગના હેડ તરીકે ઉમદા કામગીરી કરી કરી રહ્યા છે. તેમને હોસ્પિટલ ખાતે અને વ્યક્તિગત ઢોરને અગણિત દર્દીઓને ટીબી મુક્ત કર્યા છે. તેમનો આ અનુભવ રાષ્ટ્રીય સ્તરે ખુબ જ ઉપયોગી રહેશે.
