fbpx

અમેરિકામાં જઈને રાહુલે મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- 2 કલાકમાં 65 લાખ લોકોએ…

Spread the love
અમેરિકામાં જઈને રાહુલે મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો, કહ્યું- 2 કલાકમાં 65 લાખ લોકોએ...

ભારતીય સંસદમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના બોસ્ટન પહોંચી ગયા છે. અહીં તેમણે બ્રાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે એક સત્ર કર્યું. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર ચૂંટણીનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, દેશની ચૂંટણી પ્રણાલીમાં ‘ગંભીર સમસ્યા’ છે.

તેમણે કહ્યું, ‘સરળ શબ્દોમાં કહીએ તો, મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મતદાન કરનારા યુવાનોની સંખ્યા કરતા વધારે સંખ્યામાં મતદાન થયું છે. આ એક હકીકત છે. ચૂંટણી પંચે અમને સાંજે 5:30 વાગ્યા સુધીના મતદાનના ડેટા આપ્યા હતા અને 5:30 થી 7:30 વાગ્યાની વચ્ચે, જ્યારે મતદાન બંધ થવું જોઈતું હતું, ત્યારે 65 લાખ મતદારોએ મતદાન કર્યું. હવે, જ્યારે આવું થવું શારીરિક રીતે અશક્ય છે, ખરું ને? કારણ કે એક મતદારને મતદાન કરવામાં લગભગ 3 મિનિટ લાગે છે અને જો તમે ગણતરી કરો, તો તેનો અર્થ એ થશે કે મતદારો મોડી રાતના 2 વાગ્યા સુધી મતદાન કરવા લાઈનમાં ઉભા રહ્યા હતા અને તેઓ આખી રાત મતદાન કરતા રહ્યા, અને એવું થયું તો નહીં જ હોય.’

Rahul Gandhi

રાહુલ ગાંધીએ આગળ કહ્યું, ‘તો અમે તેમને પૂછ્યું કે શું વીડિયોગ્રાફી થઈ રહી છે. તેમણે માત્ર વીડિયોગ્રાફીનો ઇનકાર જ કર્યો નહીં, પરંતુ કાયદો પણ બદલી નાખ્યો, તેથી હવે તમે વીડિયોગ્રાફી માટે કહી શકતા નથી.’

રાહુલે વધુમાં કહ્યું, ‘અમારા માટે એ વાત ખૂબ જ સ્પષ્ટ હતી કે, ચૂંટણી પંચે તેમની સાથે સમજૂતી કરી લીધી છે. એ વાત ખૂબ જ સ્પષ્ટ છે કે સિસ્ટમમાં કંઈક ખૂબ જ ખોટું થઇ રહ્યું છે. અમે આ વાત જાહેરમાં કહી છે, મેં તેને ઘણી વાર કહી છે.’

Rahul Gandhi

BJPએ લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પર તેમની વિદેશ યાત્રાઓ દરમિયાન ભારતની ટીકા કરવાનો આરોપ લગાવ્યો છે. BJPના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી વારંવાર ભારતની સંસ્થાઓને નબળી પાડવાનું કામ કરે છે.

BJPના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યું કે, રાહુલ ગાંધી એક રાજકીય પક્ષ સાથેના અંગત મુદ્દાઓને કારણે વિદેશી ધરતી પર ભારતની ટીકા કરતા રહે છે. આ વખતે તેમણે ફરી એકવાર ચૂંટણી પંચની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. જ્યારે સમગ્ર દુનિયા સામાન્ય ચૂંટણીઓ અને જમ્મુ અને કાશ્મીરમાં નોંધપાત્ર કામગીરી બદલ ચૂંટણી પંચની પ્રશંસા કરી રહી છે, ત્યારે રાહુલ ગાંધી વારંવાર ભારતની સંસ્થાઓને નબળી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે પહેલેથી જ કહ્યું છે કે તેઓ ભારતીય રાજ્ય સામે લડી રહ્યા છે, પછી તેઓ વિદેશમાં જાય છે અને ભારતીય સંસ્થાઓ પર પણ હુમલો કરે છે. ભારતની સંસ્થાઓનું અપમાન કરવું એ રાહુલ ગાંધીની ઓળખ બની ગઈ છે.

તેમણે વધુમાં કહ્યું કે, રાહુલ ગાંધી કહે છે કે, લોકશાહી ખતમ થઈ ગઈ છે. અમેરિકા અને બ્રિટને હસ્તક્ષેપ કરવો જોઇએ. તેમનું કહેવું છે કે, ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ યોગ્ય રીતે કામ કરી રહ્યા નથી, પરંતુ જ્યારે ચૂંટણી પંચ એવી ચૂંટણીઓ કરાવે છે જેમાં રાહુલ ગાંધીનો આખો પક્ષ જીતી જાય છે, ત્યારે તેમને કોઈ સમસ્યા નથી થતી. જ્યારે ન્યાયતંત્ર રાહુલ ગાંધીને રાહત આપતો નિર્ણય આપે છે, ત્યારે તે ઠીક છે. નહિંતર, તે બધા ખતમ થઈ ગયા છે અને લોકશાહી જોખમમાં છે. આ બંધારણ પ્રત્યે શરતી પ્રતિબદ્ધતા દર્શાવે છે અને એ પણ દર્શાવે છે કે રાહુલ ગાંધી PM મોદીનો વિરોધ કરવા માટે કોઈપણ હદ સુધી નીચે જઈ શકે છે. તેઓ બંધારણીય સંસ્થાઓ, લશ્કર પર પણ સવાલ ઉઠાવી શકે છે.

error: Content is protected !!