

દેશની અગ્રણી સરકારી બેંકોમાંની એક, પંજાબ નેશનલ બેંક (PNB)એ ફરી એકવાર ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પરના વ્યાજ દરમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. નવા વ્યાજ દરો 1 મે, 2025થી લાગુ થઇ ચુક્યા છે. જોકે, આ ફેરફાર એવા રિટેલ ગ્રાહકોને લાગુ પડશે જેમની થાપણો 3 કરોડ રૂપિયાથી ઓછી છે. આ રીતે, હવે સામાન્ય ગ્રાહકોને FD પર 3.50 ટકાથી 7.10 ટકા સુધીનું વ્યાજ મળશે.

અગાઉ એપ્રિલ 2025માં પણ, બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો પર FD વ્યાજમાં ફેરફાર કર્યો હતો. આ વખતે, બેંકે કેટલાક ટૂંકા ગાળાના અને મધ્યમ ગાળાના FD પરના વ્યાજ દરમાં મહત્તમ 25 બેસિસ પોઈન્ટ (0.25 ટકા)નો ઘટાડો કર્યો છે.
આ ફેરફાર પછી, સામાન્ય નાગરિકોને પંજાબ નેશનલ બેંક (PNB)માં 7 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 3.50 ટકાથી 7.10 ટકા સુધીનું વ્યાજ મળશે. 390 દિવસની FD પર સૌથી વધુ વ્યાજ આપવામાં આવશે જે 7.10 ટકા છે.
180 થી 270 દિવસના સમયગાળા માટે વ્યાજ દર હવે 6.25 ટકાથી ઘટાડીને 6 ટકા કરવામાં આવ્યો છે. જ્યારે, 271 થી 299 દિવસના સમયગાળા માટે, વ્યાજ દર હવે 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થઈ ગયો છે. જ્યારે 303 દિવસની FD માટે વ્યાજ દર હવે 6.4 ટકાથી ઘટીને 6.15 ટકા થઈ ગયો છે. આ ઉપરાંત, 304 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળા માટે, વ્યાજ દર 6.5 ટકાથી ઘટીને 6.25 ટકા થયો છે. જ્યારે, 1 વર્ષની FD માટે વ્યાજ દર હવે 6.8 ટકાથી ઘટીને 6.7 ટકા થઈ ગયો છે.
60 વર્ષથી વધુ અને 80 વર્ષથી ઓછી ઉંમરના વરિષ્ઠ નાગરિકોને 5 વર્ષ સુધીના સમયગાળા માટે 3 કરોડ રૂપિયાથી ઓછી રકમની થાપણો માટે સામાન્ય દરો કરતાં 0.50 ટકા વધુ વ્યાજ દર અને 5 વર્ષથી વધુ સમયગાળા માટે 0.80 ટકા વધુ વ્યાજ દર મળશે. આ રીતે, વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 4.00 ટકાથી 7.60 ટકા સુધીના છે.

પંજાબ નેશનલ બેંક 80 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને તમામ FD પર સામાન્ય દર કરતાં 0.80 ટકા વધુ વ્યાજ આપે છે. આ રીતે, સુપર સિનિયર સિટીઝનને 4.30 ટકાથી 7.90 ટકા સુધીનું વ્યાજ મળશે.