

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ સોમવારે (19 મે, 2025) પહેલગામ ઘટના બાદ થયેલા ભારત-પાકિસ્તાન સૈન્ય સંઘર્ષ પર સંસદીય સમિતિને માહિતી આપી હતી. જાણકારો મુજબ, સમિતિના ઘણા સભ્યોએ ડોનાલ્ડ ટ્રમ્પની ટ્વીટને લઈને પણ સવાલ પૂછ્યા હતા કે, શું ટ્રમ્પની મધ્યસ્થતાના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયો? આ સવાલના જવાબમાં, સરકાર તરફથી કહેવામા આવ્યું કે, આ સાચું નથી. આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો હતો અને એજ રીતે યુદ્ધવિરામનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોઈ અન્ય દેશને જમ્મુ-કાશ્મીરના મુદ્દાઓ પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી. ટ્રમ્પ અમને પૂછીને વચ્ચે કુદ્યા નહોતા, હવે તેઓ અચાનક આવી ગયા છે તો આપણે શું કરી શકીએ છીએ.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશો વચ્ચેના સંઘર્ષને રોકવામાં પોતાના પ્રશાસનની ભૂમિકા હોવાનો દાવો કર્યો હતો. વિદેશ સચિવે સરકારના વલણને પુનરાવર્તિત કર્યું કે, સૈન્ય કાર્યવાહી રોકવા પર દ્વિપક્ષીય સહમતિ બની હતી. જોકે, ટ્રમ્પે બાદમાં પોતાના નિવેદન પર સ્પષ્ટતા કરી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, ‘હું એમ કહેતો નથી કે મેં મધ્યસ્થતા કરાવી, મેં સમસ્યા ઉકેલવામાં મદદ કરી.’

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરની અધ્યક્ષતામાં વિદેશ બાબતોની સંસદીય સ્થાયી સમિતિની બેઠકમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના અભિષેક બેનર્જી, કોંગ્રેસના રાજીવ શુક્લા અને દીપેન્દ્ર હુડ્ડા, AIMIMના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી અને ભાજપના અપરાજિતા સારંગી અને અરુણ ગોવિલ વગેરેએ ભાગ લીધો હતો. જાણકારો મુજબ, બદલાતા સુરક્ષા માહોલ વચ્ચે ભારત કઈ રીતે પોતાની વિદેશ નીતિની પ્રાથમિકતાઓને પુનર્નિરધારીત કરી રહ્યું છે, તેને લઈને પણ સંસદીય સમિતિને માહિતી આપવામાં આવી હતી. વિદેશ સચિવે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર તરફથી જાહેર કરાયેલા આતંકવાદીઓ પાકિસ્તાનમાં ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને ભારત વિરુદ્ધ હિંસા સતત ભડકાવી રહ્યા છે.