

અઠવાલાઇન સ્થિતિ વી.ટી. ચોક્સી સાર્વજનિક લો કોલેજના કન્ઝ્યુમર ક્લબ દ્રારા રવિવારે એડવોકેટ શ્રેયસ દેસાઇ તથા લો કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇરમલા દયાળ દ્વારા લીખિત સુપ્રીમ કોર્ટના કન્ઝ્યુમર અંગેના ચુકાદા આધારિત પુસ્તકનું વિમોચન ગુજરાત સ્ટેટ કન્ઝ્યુમર રીડ્રેશલ કમિશનના પ્રેસીડન્ટ ન્યાયમૂર્તિ આશુતોષ શાસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના પ્રમુખ જ્જ પી.પી. મેખિયાએ જણાવ્યું હતું કે, આજકાલ કાયદાના વિદ્યાર્થીઓને વાંચનમાં ઓછો રસ હોય છે. જેને કારણે કોર્ટ સમક્ષ પોતાના કેસના સબમિશન કરવામાં એમને મુશ્કેલી નડે છે. જેથી કાયદાના વિદ્યાર્થીઓએ જ્જને કન્વિન્સ કરવા માટે અને પોતાના કાયદાના લો પોઇન્ટ સમજાવવા માટે વિશાળ વાંચન હોવું જરૂરી છે. એડવોકેટ શ્રેયસ દેસાઇને તો વાચનનો શોખ છે. પણ એમના કેસોના સમર્થનમાં જે ચૂકાદાઓ રજૂ કરે છે. એને અમારે પણ વાચન કરીને જજમેન્ટ આપવાના રહે છે. જ્જોને પણ જુનિયર વકીલો પાસેથી ઘણું શીખવા મળે છે.

જ્યારે ગ્રાહક સુરક્ષાને લગતા કાયદાના પર્યાય ગણાતા એડવોકેટ શ્રેયસ દેસાઇએ આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોને શબ્દો દ્રારા પરિચય અને સ્વાગત કરતા જણાવ્યું હતું કે, કાયદાના વિદ્યાર્થીઓમાં જેટલું વાંચન વધુ હશે એટલું તેમના માટે આ ક્ષેત્રમાં આગળ આવવાની તક વધુ રહેશે. આ પ્રંસગે વી.ટી. ચોક્સી કોલેજના પ્રિન્સિપાલ ડો. ઇરમલા દયાલે ઉપસ્થિત મહાનુભાવોનું શબ્દો દ્વારા સ્વાગત કરીને વ્યસ્ત શિડ્યુઅલ વચ્ચે પણ પુસ્તક સમયસર પ્રકાશિત કરવામાં પ્રત્યક્ષ રીતે સહાય કરનાર તમામનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે સ્ટેટ કમિશનના ન્યાયમૂર્તિ આશુતોષ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, લોકશાહીમાં એકમાત્ર ન્યાયતંત્ર પર જ લોકોને ન્યાય મળી રહે તેવો વિશ્વાસ આજે પણ અડીખમ છે. કાયદાના વિદ્યાર્થીઓ માટે આ ક્ષેત્રમાં વિકાસ માટેની બહોળી તક છે. કાયદાના વિદ્યાર્થીઓએ બહોળું વાંચન કરવું જરૂરી છે. ન્યાયતંત્રમાં પણ સમય સાથે ઘણીવાર સારા નરસા બદલાવ આવતા હોય છે. ન્યાયતંત્રના નબળા પાસા સામે આંગળી ચીંધાવા મુદ્દે એમણે જણાવ્યું હતું કે, અમુક અપવાદ હોઇ શકે પણ લોકશાહીને ટકાવી રાખવા લોકો નિષ્પક્ષ ન્યાયતંત્ર સામે જ મીટ માંડે છે.
જ્યારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના વાઇસ ચેરમેન આશિષ વકીલે એડવોકેટ શ્રેયદ દેસાઇ તથા પ્રિન્સિપાલ ડો. ઇરમલા દયાળ દ્વારા સુપ્રીમ કોર્ટના 14 જેટલા જજમેન્ટ અંગે છણાવટ કરતા પુસ્તકના વીમોચન પ્રસંગે જણાવ્યું હતું કે, આ પુસ્તકથી કાયદાના વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષાને લગતા પોતાના કેસના સમર્થનમાં આ ચૂકાદાઓને સમજવામાં અને રજૂ કરવામાં સરળતા રહેશે. જ્યારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના માજી ચેરમેન આશિત ગાંધીએ પ્રસંગોચિત પ્રેરક ઉદબોધન કર્યું હતું.
આ પ્રસંગે સાયબર લો સંબંધી કોર્ષમાં નોંધપાત્ર કામગીરી બદલ વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના આયોજનમાં ડો. અનિશા સાહુવાલા, એડવોકેટ નિકુંજ રાઠોડ તેમજ એડવોકેટ એક્તા સિંગાપુરી અને એડવોકેટ ઇશાન દેસાઇએ સક્રિય ફાળો આપ્યો હતો.