fbpx

બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે

Spread the love
બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે

બેંગ્લોરમાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL વિજેતા બનતા તેમના સન્માનમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પણ ભીડ એટલી વધી ગઈ હતી, કે લોકો એક બીજા પર પડી રહ્યા હતા અને ભાગદોડ પણ થઈ ગઈ હતી, જેમાં અનેક લોકો દબાય ગયા હતા અને તેમાંથી 7 લોકોએ જીવ ગુમાવી દીધા છે, તેવી ખબર આવી રહી છે, આ સિવાય મોટી સંખ્યામાં લોકો ઈજાગ્રસ્ત થયા છે અને અનેક લોકોની હાલત ગંભીર છે.

મૃતકોમાં મહિલા પણ શામેલ છે, જેઓ RCB ટીમના સન્માન કાર્યક્રમમાં સામેલ થવા માટે સ્ટેડિયમની અંદર જવા માગતા હતા, પરંતુ કોઈપણ આયોજન વગર ટૂંક સમયમાં આ કાર્યક્રમનું આયોજન થતા હજારોની સંખ્યામાં ફેન્સ ઉમટી પડ્યા હતા, જેને કારણે આ ઘટના બની હતી.

હાલમાં સ્ટેડિયમની બહાર એમ્બ્યુલન્સોની લાઈનો લાગી ગઈ છે. આ પહેલા એવી પણ ખબર આવી હતી  કે કર્ણાટક વિધાનસભાથી સ્ટેડિયમ સુધી બસમાં વિજય પરેડ કાઢવામાં આવશે, પરંતુ પોલીસે સુરક્ષા કારણોસર તે વિજય પરેડને કેન્સલ કરી દીધી હતી.

હાલમાં સ્ટેડિયમની બહાર અનેક લોકોએ જીવ ગુમાવી દીધો છે અને સ્ટેડિયમની અંદર રંગારંગ કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી સહિત મોટા નેતાઓ સામેલ થયા છે. RCBની ટીમ પણ સ્ટેડિયમની અંદર છે, જેમનું સન્માન કરવામાં આવવાનું છે.

આખું સ્ટેડિયમ ખચાખચ ભરાઈ ગયું છે અને બહાર પણ હજુ લોકોની ભારે ભીડ છે. ઉલ્લેખનીય છે કે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 18 વર્ષ બાદ પહેલીવાર IPLની ટ્રોફી જીતી છે, જેને કારણે આખા કર્ણાટક અને ખાસ કરીને બેંગ્લોરમાં દિવાળી જેવો માહોલ છે.

error: Content is protected !!