fbpx

શું સંજૂ સેમસન CSKનો કેપ્ટન બનવાનો છે? બદલામાં ધોનીના 2 હુકમના એક્કા પર દાવ લગાવી શકે છે RR

Spread the love
શું સંજૂ સેમસન CSKનો કેપ્ટન બનવાનો છે? બદલામાં ધોનીના 2 હુકમના એક્કા પર દાવ લગાવી શકે છે RR

પૂર્વ ભારતીય ઓપનર અને વર્તમાન ક્રિકેટ વિશ્લેષક આકાશ ચોપરાએ પુષ્ટિ કરી છે કે સંજુ સેમસનને લઈને ઘણી IPL ફ્રેન્ચાઇઝીઓ, ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ રસ દાખવ્યો છે. આ સંભવિત ટ્રેડ 2026 સીઝન અગાઉ થઈ શકે છે. ચોપરાએ કહ્યું કે, તેઓ એ જોવા માટે ઉત્સુક છે કે રાજસ્થાન રોયલ્સ આવી ઓફર પર કેવી પ્રતિક્રિયા આપે છે, ખાસ કરીને વાતચીત CSK સાથે આગળ વધે છે. તેમણે એ પણ સંકેત આપ્યો કે રાજસ્થાન બદલામાં રવિન્દ્ર જાડેજા જેવા ઉચ્ચ પ્રોફાઇલ ખેલાડીની માગ કરી શકે છે.

sanju1

PTIના રિપોર્ટ મુજબ, ટ્રેડિંગ વિન્ડોની શરૂઆત 4 જૂન (2025 IPL ફાઇનલના આગામી દિવસથી) અને 2026ની હરાજીના એક અઠવાડિયા અગાઉ સુધી ખુલ્લી રહેશે. હરાજી બાદ ટ્રેડ વિન્ડો ફરીથી ખુલશે અને નવી સીઝનની શરૂઆતના એક મહિના અગાઉ સુધી ચાલશે. ચોપરાએ પોતાના YouTube શૉમાં કહ્યું કે, ‘શું આ ટ્રેડ થશે? CSKએ રસ દાખવ્યો છે, પરંતુ અત્યારે નામોને લઈને ચર્ચા હજુ શરૂ થઈ નથી. જો આ ટ્રેડ આગળ વધે છે, તો રાજસ્થાન રવિન્દ્ર જાડેજા અથવા રવિચંદ્રન અશ્વિનની માગ કરી શકે છે. આવું કરવાનો તેમનો અધિકાર છે.’

સંજૂ સેમસન વર્ષ 2018માં દિલ્હી કેપિટલ્સના 2 વર્ષના બ્રેક બાદ રાજસ્થાન રોયલ્સ સાથે પાછો ફર્યો હતો. ત્યારથી તે ટીમનો મુખ્ય ચહેરો રહ્યો છે. 2025ના મેગા ઓક્શન અગાઉ રાજસ્થાને તેને 18 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો. ચોપરાએ કહ્યું કે, ‘CSK એક એવા વિકેટકીપર-બેટ્સમેનની શોધમાં છે જે ધોનીના વારસાને આગળ વધારી શકે. એવામાં સેમસન સ્વાભાવિક ઉત્તરાધિકારી હોય શકે છે.’

sanju

IPL 2025માં છેલ્લા નંબરે રહેલી CSKએ ગુજરાતના અનકેપ્ડ ઉર્વિલ પટેલને વિકેટકીપર તરીકે સામેલ કર્યો હતો, જેણે આયુષ મ્હાત્રે અને ડેવાલ્ડ બ્રેવિસ સાથે સારી રમત બતાવી, પરંતુ ધોનીના સ્તરના ઉત્તરાધિકારીને લઈને અત્યારે પણ શંકાઓ છે. મહેન્દ્ર સિંહ ધોની, જે આગામી વર્ષે 45 વર્ષનો થઈ જશે, તેણે અત્યાર સુધી સ્પષ્ટ કર્યું નથી કે તે IPL 2026 રમશે કે નહીં. જોકે, CSKએ હવે પોસ્ટ-ધોની યુગની તૈયારી શરૂ કરવી જ પડશે.

error: Content is protected !!