fbpx

‘હવે જે વર્ષે કમાણી, એજ વર્ષે ટેક્સ’, નાના વેપારીઓ અને નોકરિયાતો માટે મોટો બદલાવ

Spread the love
‘હવે જે વર્ષે કમાણી, એજ વર્ષે ટેક્સ’, નાના વેપારીઓ અને નોકરિયાતો માટે મોટો બદલાવ

દેશની ટેક્સ સિસ્ટમમાં છેલ્લા ઘણા દાયકા બાદ મોટો ફેરફાર થવા જઈ રહ્યા છે. સોમવારે લોકસભામાં આવકવેરા બિલ 2025 રજૂ થવાનું હતું, પરંતુ હોબાળાને કારણે રજૂ થઈ શક્યું નહીં. નવું આવકવેરા બિલ 1961થી ચાલી રહેલા જૂના આવકવેરા કાયદાને પૂરી રીતે બદલી નાખશે. તેનાથી કર ચૂકવતા દરેક વ્યક્તિ પર અસર થશે, પછી ભલે તે પગારદાર વ્યક્તિ હોય, નાના વેપારી હોય કે ફ્રીલાન્સર હોય.

આ નવા કાયદાની વિશેષતા શું છે?

સરકારનો દાવો છે કે નવો કાયદો નાનો, સરળ અને સીધો છે. જૂના કાયદામાં જ્યાં 819 કલમો અને 47 અધ્યાય હતા, તો નવા ડ્રાફ્ટમાં તેને ઘટાડીને 536 કલમો અને 23 અધ્યાય કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, કાયદાની પરિભાષા પણ અડધી કરી દેવામાં આવી છે. હવે તેને વાંચવામાં અને સમજવામાં સરળતા રહેશે. સરળ ભાષામાં 57 કોષ્ટકો જોડવામાં આવ્યા છે જે પહેલા માત્ર 18 હતા. તેનો હેતુ છે ઓછી મૂંઝવણ, ઓછા કેસ અને વધુ સ્પષ્ટતા.

income tax

અત્યાર સુધી આપણી જે સામાન્ય સમજ હતી તે મુજબ આપણે આ વર્ષની આવક પર આવતા વર્ષે ટેક્સ ભરવાનો છે, જે હવે બદલાઈ જશે. નવો કાયદો કહે છે કે, જે વર્ષે તમે કમાણી કરશો, એજ વર્ષે તેના પર ઇનકમ ટેક્સ ચૂકવવો પડશે એટલે કે, ‘આકારણી વર્ષ’ અને ‘પાછલું વર્ષ’ જેવી પરિભાષા દૂર કરવામાં આવી રહી છે અને માત્ર એક જ સરળ શબ્દ ‘કર વર્ષ’ લાવવામાં આવી રહ્યું છે.

શા માટે જરૂરી છે આ બદલાવ?

જૂના કાયદામાં 1,200થી વધુ જોગવાઈઓ અને 900 સ્પષ્ટિકરણ હતા, જેના કારણે દરેક ટેક્સપેયર મૂંઝવણમાં મુકાઇ જતા હતા. તેની સાથે જોડાયેલી ઘણી કાયદાકીય લડાઈઓ પણ ચાલતી રહી. સરકાર ઇચ્છે છે કે આ નવો કાયદો આ મૂંઝવણનો અંત લાવે અને સામાન્ય માણસ માટે ટેક્સ ચૂકવવાનું સરળ થઈ જાય.

કોને-કોને થશે સીધો ફાયદો?

નોકરી-વ્યવસાયવાળા લોકો: ટેક્સ કેલ્ક્યૂલેશન અને ફાઇલિંગ હવે સરળ થશે.

વેપારીઓ અને સ્ટાર્ટઅપ્સ: TDS અને TCS જેવા નિયમો વધુ સ્પષ્ટ થશે.

NGO અને ચેરિટેબલ ટ્રસ્ટ: તેમના માટે પણ સ્પષ્ટ દિશા-નિર્દેશ નક્કી કરવામાં આવ્યા છે.

income-tax2

હવે આગળ શું થશે?

21 જુલાઈથી શરૂ થયેલું ચોમાસુ સત્ર 21 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન, આ બિલ પર સંસદમાં ચર્ચા કરવામાં આવશે અને સૂચનો જોડી શકાય છે. જો તે કાયદો બને છે તો તેને ભારતની ટેક્સ વ્યવસ્થામાં સૌથી મોટો સુધારો માનવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે આ નવો કાયદો ઈમાનદાર કરદાતાઓ માટે રાહત લાવશે અને દેશમાં ટેક્સ વ્યવસ્થાને વધુ પારદર્શી અને ભરોસાપાત્ર બનાવશે.

error: Content is protected !!