
અમેરિકામાં JAMA Internal Medicine દ્વારા કરાયેલા લેટેસ્ટ અભ્યાસનો રિપોર્ટ કેટલીક મહત્ત્વની જાણકારી આપે છે. રિપોર્ટ બતાવે છે કે યુવાનો એટલે કે 50 વર્ષથી ઓછી વયના લોકોમાં કેન્સરના કેસો વધી રહ્યા છે. પરંતુ તેની પાછળનું કારણ ચોંકાવનારૂં છે. આ અભ્યાસ બતાવે છે કે કેસોની સંખ્યા વધવાનું કારણ નિદાનની આધુનિક પદ્ધતિઓ અને લોકોમાં કેન્સર મામલે આવી રહેલી જાગૃતિ છે. આ વસ્તુ સારી છે. કારણ કે જો પહેલાથી નિદાન થઇ જાય તો યોગ્ય સારવાર આપી શકાય. આ રિપોર્ટ કહે છે કે કેસોની સંખ્યા વધી રહી છે પરંતુ તેનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે મૃત્યુદરમાં કોઇ વધારો થયો નથી. કેટલાક કિસ્સાઓમાં તો મૃત્યુદરમાં ઘટાડો થયો છે.
આમ, એકંદરે કહીએ તો નિદાનની નવી પદ્ધતિઓને કારણે કેસોની સંખ્યા વધી રહી છે. નવી પદ્ધતિઓથી ચોક્કસ અને ઊંડાણપૂર્વકનું નિદાન થઇ શકે છે. તે સારી વાત છે. સાથે જ બીજી સારી વાત એ છે કે મૃત્યુદરમાં વધારો થયો નથી.

તો ચાલો જોઇએ આ અભ્યાસના મુખ્ય પોઇન્ટ્સ
1. નવા કેસ વધવાનું મુખ્ય કારણ સ્ક્રીનિંગ: અભ્યાસ સૂચવે છે કે 50 વર્ષથી નાની ઉંમરના લોકોમાં કેન્સરના વધતા કેસો મોટાભાગે સુધારેલી અને વધુ નિયમિત તપાસ (Screening) અને નિદાનની સઘનતાને કારણે છે.
2. મૃત્યુદર સ્થિર: મોટાભાગના કેન્સર (જેમ કે થાઇરોઇડ, કિડની, ગુદા, સ્વાદુપિંડ) માટે, કેસની સંખ્યા વધી હોવા છતાં, યુવાન વયસ્કોમાં મૃત્યુદર (Mortality Rate) માં કોઈ ફેરફાર થયો નથી અથવા તે ઘટ્યો છે.
3. વધતા જોખમી કેન્સર: અભ્યાસ કરેલા આઠ કેન્સરમાંથી, માત્ર બે કેન્સર –કોલોરેક્ટલ (આંતરડાનું) અને એન્ડોમેટ્રિયલ – માં મૃત્યુદરમાં નજીવો વધારો જોવા મળ્યો છે.
4. સ્તન અને કોલોરેક્ટલ કેન્સર: આ બંને કેન્સરમાં યુવાન વયસ્કોમાં કેસ વધ્યા છે, પરંતુ વહેલા નિદાન અને સારવાર (જેમ કે ઇમ્યુનોથેરાપી) ને કારણે મૃત્યુદર લગભગ અડધો થઈ ગયો છે.
5. વહેલું સ્ક્રીનિંગ: વહેલું નિદાન શક્ય બનાવવા માટે, યુ.એસ.માં સ્તન કેન્સર સ્ક્રીનિંગની ઉંમર 50 થી ઘટાડીને 40 અને કોલોન કેન્સર સ્ક્રીનિંગની ઉંમર 50 થી ઘટાડીને ૪૫ કરવામાં આવી છે.

યુએસના ડોક્ટરો કહે છે કે, જેમ જેમ ડોક્ટરો વધુ શક્તિશાળી પરીક્ષણોની રીતો શોધે છે, તેમ તેમ તેઓ એવા કેન્સર પણ શોધી કાઢે છે જે કદાચ ક્યારેય વ્યક્તિના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે નહીં. એવા કેન્સરની સારવાર કરવી જે “ક્લિનિકલી અર્થપૂર્ણ” એટલે કે ખતરનાક નથી, તે યુવાન દર્દીઓ માટે ખર્ચનો બોજ અને માનસિક ચિંતા ઊભી કરે છે. ડૉક્ટરોએ દરેક શોધાયેલા કેન્સરમાં તુરંત સારવાર કરવાને બદલે, તે જોખમી છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવું જોઈએ. જો ગાંઠ નાની હોય, તો દર્દીની સંમતિથી તેની સતત દેખરેખ રાખવાની વ્યૂહરચના વધુ સારી છે.
