
વિશ્વભરમાં સ્થૂળતા અને ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે, ઘણી કંપનીઓએ GLP-1 અને સેમેગ્લુટાઇડ દવાઓ વિકસાવી છે, જે ડાયાબિટીસને નિયંત્રિત કરે છે અને વધુ વજનવાળા વ્યક્તિઓને વજન ઘટાડવામાં મદદ કરે છે. ભારતમાં અત્યાર સુધી મોન્જારો અને વેગોવીને સત્તાવાર રીતે લોન્ચ કરવામાં આવી હતી, પરંતુ હવે એવા અહેવાલ આવ્યા છે કે, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ નોવો નોર્ડિસ્કની બ્લોકબસ્ટર દવા, ઓઝેમ્પિક (સેમેગ્લુટાઇડ ઇન્જેક્શન)ને ભારતમાં ઉપયોગ માટે મંજૂરી આપી છે. આ મંજૂરી, જે 26 સપ્ટેમ્બર, 2025ના રોજ મળી હતી, તે ટાઇપ 2 ડાયાબિટીસ માટે ખાવાનું અને કસરત કરવાની સાથે ઓઝેમ્પિકનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે.

ભારતમાં ડાયાબિટીસ અને સ્થૂળતાની વધતી જતી સમસ્યાને ઓળખીને, જે ઓઝેમ્પિક ઇન્જેક્શન લોન્ચ કરવામાં આવ્યું છે તે અઠવાડિયામાં એકવાર લેવામાં આવશે. કંપની કહે છે કે, ઓઝેમ્પિક બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, અને ક્લિનિકલ અભ્યાસોમાં એ પણ સાબિત થયું છે કે, તે હૃદય અને કિડની માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. જો કે હાલમાં, ઓઝેમ્પિકને સ્થૂળતાની સારવાર માટે માન્યતા નથી મળી.
જ્યારે તમે ખાવાનું ખાવ છો અને તમારું બ્લડ સુગર વધે છે, ત્યારે ઓઝેમ્પિક શરીરને વધુ ઇન્સ્યુલિન છોડવાનો સંકેત આપે છે, જેનાથી બ્લડ સુગરનું સ્તર ઓછું થાય છે. આ સાથે ઓઝેમ્પિક ખાધેલા ખોરાકને ધીમે ધીમે પચાવવાની મંજૂરી આપે છે, જેના કારણે શુગર લેવલ અચાનક નથી વધતું અને તમને લાંબા સમય સુધી પેટ ભરાયેલું હોય એવું લાગે છે. આ જ કારણ છે કે, ઘણા લોકો વજન ઘટતું હોય એવો અનુભવ કરે છે.

ઓઝેમ્પિક (સેમાગ્લુટાઇડ) ઇન્જેક્શન (0.5 મિલિગ્રામ, 1 મિલિગ્રામ, અથવા 2 મિલિગ્રામ)એ એક ઇન્જેક્ટેબલ પ્રિસ્ક્રિપ્શન દવા છે, જેનો ઉપયોગ ટાઇપ 2 ડાયાબિટીસ અને હાઈ બ્લડ સુગર (ગ્લુકોઝ) સુધારવા માટે આહાર અને કસરત કરવાની સાથે થાય છે.
નોવો નોર્ડિસ્ક કંપનીની દવા વેગોવી પણ થોડા મહિના પહેલા જ ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી અને તેને સ્થૂળતાની સારવાર માટે મંજૂરી આપવામાં આવી છે. તેની સાથે જ, માર્ચ 2025માં લોન્ચ કરાયેલ એલી લિલીનું મોન્જારો ઇન્જેક્શન, ડાયાબિટીસ અને સ્થૂળતા બંનેની સારવાર માટે વાપરી શકાય છે.
નોવો નોર્ડિસ્ક ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર વિક્રાંત શ્રોત્રિયાએ જણાવ્યું હતું કે, ‘ઓઝેમ્પિકથી શુગરના સ્તરને નિયંત્રિત કરવાની સાથે સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને હૃદય અને કિડનીના જોખમોને પણ ઘટાડે છે. આનો અર્થ એ છે કે તે દર્દીઓને અનેક પ્રકારના ફાયદાઓ પહોંચાડી શકે છે.’ તેમણે બતાવ્યું કે, ‘ભારતમાં આશરે 10 કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે, જ્યારે 25 કરોડથી વધુ લોકો મેદસ્વી અથવા વધુ વજનની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. હૃદય રોગ દેશમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. આના કારણે ગુણવત્તાયુક્ત દવાઓની જરૂરિયાત આમ પણ વધી જાય છે.’

કંપની પહેલાથી જ રાયબેલ્સસ (સેમાગ્લુટાઇડનું મૌખિક સ્વરૂપ) અને વેગોવીનું બજારમાં વેચાણ કરી રહી છે. કંપની કહે છે કે, ઓઝેમ્પિકનો ઉમેરો નોવો નોર્ડિસ્કના પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. શુગરનું નિયંત્રણ, વજન ઘટાડવું અને હૃદય અને કિડનીના ફાયદા સહિતના તેના ઘણા ફાયદાઓ તેને ડોકટરોમાં પસંદગીની દવા બનાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે, DPP-4 ઇન્હિબિટર્સ, SGLT-2 ઇન્હિબિટર્સ અને ઇન્સ્યુલિન જેવી જૂની સારવારનો ઉપયોગ ચાલુ રહેશે, પરંતુ GLP-1 વર્ગની દવાઓને પણ એટલું જ મહત્વ મળી રહ્યું છે.
કંપનીનો દાવો છે કે, ઓઝેમ્પિકનો ઉપયોગ વિશ્વભરમાં 72 લાખથી વધુ લોકો દ્વારા પહેલાથી જ કરવામાં આવે છે. કંપની માને છે કે ડોકટરો અને દર્દીઓમાં જાગૃતિ વધતાં ભારતમાં તેનો ઉપયોગ ઝડપથી વધશે. ભારતમાં પુરવઠાની કોઈ સમસ્યા રહેશે નહીં, અને કંપની ટૂંક સમયમાં હૃદય, કિડની, અલ્ઝાઇમર અને લીવર રોગ (MASH) જેવા નવા રોગો માટે દવાઓ રજૂ કરવાની તૈયારી કરી રહી છે.
ભારતમાં આની પ્રાઇઝની જાહેરાત હજુ નથી થઈ પરંતુ અમેરિકામાં આ દવા 1000 ડોલરમાં વેચાય છે. એક્સપર્ટ્સ કહે છે આ ઈન્જેક્શનો ભાવ 17થી 26 હજારની વચ્ચે હોય શકે છે.
