
રાહુલ દ્રવિડ અને તેમની બેટિંગ કુશળતાને કોણ નથી જાણતું? પરંતુ હવે તેમનો દીકરો પણ આ માર્ગ પર આગળ વધી રહ્યો છે. આપણે અહી દ્રવિડના 2 દીકરાઓમાંથી નાના અન્વય બાબતે વાત કરી રહ્યા છીએ, જેને 5 ઓક્ટોબરે KSCAના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં સન્માનિત કરવામાં આવ્યો હતો. અન્વય દ્રવિડને આ સન્માન ક્રિકેટના મેદાન પર તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે મળ્યું હતું. KSCA દ્વારા વાર્ષિક પુરસ્કાર સમારોહમાં અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં કર્ણાટક માટે સૌથી વધુ રન બનાવવા બદલ સન્માનિત કરવામાં આવ્યો હતો. આ સતત બીજી વખત છે જ્યારે KSCAએ અન્વયના પ્રદર્શનની પ્રશંસા કરી છે.

અન્વય દ્રવિડને KSCAએ આ એવોર્ડથી સન્માનિત કર્યો કારણ કે તેણે 48 છગ્ગા અને ચોગ્ગા સાથે 459 રન બનાવ્યા હતા. આ રન એક મેચ કે ઇનિંગમાં નહીં, પરંતુ 6 મેચોની 8 ઇનિંગમાં 91.80ની સરેરાશથી બનાવ્યા હતા, જેમાં 2 સદી પણ સામેલ હતી. આ દરમિયાન તેણે 46 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. અન્વય દ્રવિડ અંડર-16 વિજય મર્ચન્ટ ટ્રોફીમાં કર્ણાટક માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ટૂર્નામેન્ટમાં તેની સરેરાશ પણ સૌથી વધુ છે.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના વાર્ષિક પુરસ્કાર સમારોહમાં અન્વય દ્રવિડ એકમાત્ર એવો ખેલાડી નથી, જેને સન્માનિત કરવામાં આવ્યો હોય. રાહુલ દ્રવિડના પુત્ર ઉપરાંત, મયંક અગ્રવાલ અને આર. સ્મરણને પણ એવોર્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. મયંક અગ્રવાલને આ એવોર્ડ વિજય હજારે ટ્રોફીમાં કર્ણાટક તરફથી સૌથી વધુ રન બનાવવ બદલ મળ્યો હતો, તેણે 93ની સરેરાશથી 651 રન બનાવ્યા હતા.

યુવા બેટ્સમેન આર. સ્મરણને રણજી ટ્રોફીમાં તેના પ્રદર્શન માટે સન્માનિત કરવામાં આવ્યો હતો. ડાબા હાથના બેટ્સમેન સ્મરણે 64.50ની સરેરાશથી 516 રન બનાવ્યા હતા, જેમાં 2 સદીનો પણ સમાવેશ થાય છે. KSCA વાર્ષિક પુરસ્કાર સમારોહમાં કર્ણાટકના વિકેટકીપર-બેટ્સમેન કેએલ શ્રીજીતને પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. તેને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં સૌથી વધુ રન 213 રન બનાવવા બદલ એવોર્ડ મળ્યો.
